Bharuch : ભરૂચ માટે કહેવત રહી છે કે ભાંગ્યું ભાંગ્યું તોય ભરૂચ… ગુજરાતની જીવાદોરી નર્મદા દર વર્ષે ચોમાસામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરે છે અને નર્મદાના પૂરના પાણી વિનાશ વેરે છે. પરિસ્થિતિ સામે હાર ન માની પૂરના પાણી ઓસર્યા બાદ ભૃગુકચ્છ ફરી બેઠું થઇ જાય છે. ચોમાસામાં નર્મદા ડેમ(Narmada Dam) તરફથી નદીમાં જળસ્તર વધવાના અહેવાલો સાંપડે કે તુરંત ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારના હજારો લોકો અને ખેડૂતોના જીવ તાળવે ચોંટી જાય છે.
1,312 કિમિ લાંબી નદીના મુખપ્રદેશમાં વસવાટ છતાં ભરૂચવાસીઓએ હવે પૂરની જોખમી પરિસ્થિતિના ભયનો નહીંવત સામનો કરવો પડશે. આ સમસ્યા રાજ્યના ખ્યાતિપ્રાપ્ત સનદી અધિકારી અને ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ હલ કરી છે. તુષાર સુમેરાએ નર્મદાના પૂર અને ડેમમાંથી છોડાતા પાણીના પ્રમાણ સામેની અસરનો ઉંડાણપૂર્વકનો અભ્યાસ કરી એક ફોર્મ્યુલા તૈયાર કરી છે. આ ફોર્મ્યુલા ચોક્કસ સમયે ચોક્કસ માત્રામાં પાણી ડાઉન સ્ટ્રિમમાં છોડવાનું ગણિત છે જે ગતવર્ષે પ્રાયોગિક ધોરણે અજમાવવામાં આવતા નુકસાનને મહત્તમ અંશે ટાળી શકવાના કારણે હવે સત્તાવાર અમલ કરવામાં આવશે.
સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ ભરાય એટલે ડાઉન સ્ટ્રિમમાં પાણી છોડવાનો તંત્ર નિર્ણય લે છે. ઉપરવાસમાં ભારે વરસાદ બાદ ઇન્દિરા સાગર ડેમના 12 મીટરના 12 સ્પિલવે ગેટ ખોલવામાં આવ્યા છે સાથે 08 પાવર હાઉસમાંથી કુલ 34736 ક્યુમેક્સ એટલે કે, આશરે 12.26 લાખ ક્યુસેક છોડવામાં આવે છે અને ઓમકારેશ્વર ડેમમાંથી પણ છોડવામાં આવે છે. હાલ સરદાર સરોવર જળાશય ભરવાનું ચાલુ રાખવામાં આવ્યું છે.
સરદાર સરોવર નર્મદા બંધમાં આજે તારીખ 16/09/2023 ના રોજ 11:00 કલાકે જળાશયનું સ્તર 135.82 મીટરે પહોંચ્યું છે. સરદાર સરોવર ડેમના રેડિયલ ગેટ્સને ઓપરેટ કરવાની જરૂર પડી શકે છે. આ માટે વડોદરા, નર્મદા અને ભરૂચ જિલ્લાઓ માટે નદી કિનારે આવેલા ડાઉનસ્ટ્રીમ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. પાણીની આવકમાં 2 કલાક્મા 3.64 લખ ક્યુસેકનો વધારો થયો છે. પાણીની આવક હાલ 5.31 લાખ ક્યુસેક છે. તંત્રએ ડાઉન સ્ટ્રિમમાં પાણી છોડવાની તૈયારી હાથ ધરી કાંઠાના ગામોને એલર્ટ કર્યા છે.
ભરૂચમાં ફ્લડ વોર્નિંગ અને ફ્લડ મેનેજમેન્ટ સિસ્ટમ લાગુ કરવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ ચોક્કસ અભ્યાસ બાદ ભરૂચમાં અલગ – અલગ સ્થળે વોર્નિંગ અને સેન્સર પોઇન્ટ ઇન્સ્ટોલ કરાવ્યા છે. આ સિસ્ટમ વધતા જળસ્તરની માહિતી અને વોર્નિંગ આપશે. બીજી તરફ ડેમમાંથી વધુ માત્રામાં પાણી છોડવાના કારણે ભરૂચ નજીક નર્મદામાં પૂરની સ્થિતિ સર્જાય છે. આ પાણી ઓસરવાની ગતિ ભરતી -ઓટના સમયે વધુ અસર દર્શાવતી હોય છે. તંત્ર હવે સમુદ્રનું ભરતીના ગણિતના આધારે ડેમમાંથી પાણી છોડશે જેના કારણે એક ચોક્કસ માત્ર સુધી છોડાતું પાણી જે અત્યારસુધી પૂરનું સ્વરૂપ ધારણ કરતું હતું જે મહદંશે અસર પણ વર્તાવશે નહીં.
ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ જણાવ્યું હતું કે નર્મદાનું જળસ્તર રિઅલટાઈમ મોનિટર કરવા અને સ્થિતિનો અભ્યાસ કરવા AI ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ચોક્કસ સમયે ડેમમાંથી પાણી છોડવામાં આવે તો પૂરનું સંકટ મહદઅંશે ટાળી શકાય તેમ છે.
Published On - 2:52 pm, Sat, 16 September 23