જનતાના જીવ સાથે ક્યાં સુધી રમત ? જોખમી બ્રિજે લોકોના ધબકારા વધાર્યા, લોખંડના સળિયા બહાર આવતા અકસ્માતનો ભય
વાહનચાલકો અને સ્થાનિક લોકોની ચિંતા વધારતા એક અગત્યના સમાચાર સામે આવ્યા છે. મુખ્ય માર્ગ પર આવેલો એક મહત્વનો બ્રિજ હાલમાં બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયો છે.

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકામાં ચૂડેલ ગામ પાસે આવેલ બ્રિજ હવે વાહનચાલકો માટે જોખમ રૂપ સાબિત થઈ રહ્યો છે. પાવીજેતપુરથી રંગલી ચોકડીને જોડતા મુખ્ય માર્ગ પર આવેલા આ બ્રિજના જોઇન્ટના પાટા ખુલ્લા પડી ગયા છે, લોખંડના સળિયા બહાર આવી ગયા છે અને માર્ગ પર ખાડા સર્જાતા અકસ્માતનો ભય ઊભો થયો છે. બીજું કે, ચોમાસું નજીક હોવાથી સ્થાનિકોમાં વધુ ચિંતા વ્યાપી છે.
બ્રિજ હાલમાં બિસ્માર હાલતમાં
પાવીજેતપુરથી રંગલી ચોકડીને જોડતા વ્યસ્ત માર્ગ પર આવેલ ચૂડેલ ગામ નજીકનો બ્રિજ હાલમાં બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. બ્રિજના જોઇન્ટ પર લગાવવામાં આવેલા લોખંડના પાટા ખુલ્લા પડી ગયા છે અને તેના સળિયા બહાર આવી ગયા છે.
સાથે સાથે જોઇન્ટની જગ્યાએ મોટા ખાડા પડી જતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દિવસ દરમિયાન તો વાહનચાલકો સાવચેતી રાખીને પસાર થઈ જાય છે. વધુમાં, રાત્રિના સમયે આ ખુલ્લા પાટા અને સળિયા અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.
આ માર્ગ પાવીજેતપુર અને રંગલી ચોકડી વચ્ચેનો મહત્વનો ગણાય છે. રોજબરોજ હજારોની સંખ્યામાં નાના-મોટા વાહનો આ માર્ગ પરથી પસાર થાય છે. ટ્રક, બસ, ટ્રેક્ટર અને ખાનગી વાહનો માટે આ મુખ્ય માર્ગ હોવાથી ટ્રાફિકનો સતત ધસારો રહે છે. ખુલ્લા પડી ગયેલા પાટા અને બહાર આવેલા સળિયાઓને કારણે વાહનચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જોઇન્ટના પાટો ખુલીને ઊભો થઈ ગયો છે. એક તરફ પુષ્કળ પ્રમાણમાં ધૂળ ઊડી રહી છે, ત્યારે સામે આવતા વાહનને કેટલીક વાર આ પાટો દેખાતો નથી.
ચોમાસામાં પણ જોખમ
સ્થાનિક લોકોની ચિંતા માત્ર બ્રિજની હાલત પૂરતી મર્યાદિત નથી. પાવીજેતપુર નજીક ભારજ નદી પર આવેલ બ્રિજ ત્રણ વર્ષથી તૂટેલી હાલતમાં છે અને હાલમાં નદીના પટમાં જ ડાયવર્ઝન બનાવી વાહન વ્યવહાર ચાલુ રાખવામાં આવ્યો છે. અગાઉ ત્રણ વખત આ ડાયવર્ઝન વરસાદી પાણીમાં ધોવાઈ ચૂક્યું છે. જો આ વર્ષે પણ ચોમાસામાં ડાયવર્ઝન ધોવાઈ જાય તો લોકોને આશરે 40 કિલોમીટરનો વધારાનો ચકરાવો કરવો પડી શકે છે.
એવામાં હાલ જે માર્ગ પર હજારો વાહનોનો ભાર છે, એ જ માર્ગ પર આવેલા આ જોખમી બ્રિજની સ્થિતિ વધુ ચિંતાજનક બની રહી છે. ચોમાસાના સમયે છોટાઉદેપુર , બોડેલી અને વડોદરા તરફ જતા વાહનોને આ માર્ગ ઉપર ડાયવર્ટ કરવામાં આવે છે. જો આ માર્ગ ઉપર વધુ ખાડા પડે છે, તો તે લોકો માટે જોખમ કારક સાબિત થઈ શકે છે. આથી જલ્દીથી જલ્દી બ્રિજ પરના માર્ગ પર રિપેરિંગ કામ કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.