
સુરત શહેરના નાસિર નગરમાં થયેલા ‘ભૂતિયા ડિમોલિશન’નો મામલો હવે ભારે ગરમાયો છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થતાં જ આ આખા કિસ્સામાં અનેક ગંભીર સવાલો ઊભા થયા છે.
વાયરલ વીડિયોના આધારે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, વર્ષ 2023માં અહીંના ઝૂંપડા ખાલી કરાવવા માટે આશરે 385 જેટલા ઝૂંપડાવાળાઓને 80-80 હજાર રૂપિયા રોકડા આપવામાં આવ્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે, આ આખો આર્થિક વહીવટ ભાજપના પૂર્વ માઈનોરિટી પ્રમુખ અને કોંગ્રેસના એક નેતા દ્વારા મળીને કરવામાં આવ્યો હોવાનો દાવો થઈ રહ્યો છે.
દાવો છે કે, આ વહીવટ ભાજપના પૂર્વ માઈનોરિટી પ્રમુખ ઝાકીર શાહ તેમજ કોંગ્રેસના મરહુમ ઐયબ દ્વારા કરાયો હતો. આ સમગ્ર મામલે જ્યારે વિવાદ વધ્યો અને મીડિયા દ્વારા સવાલો પૂછવામાં આવ્યા, ત્યારે ભાજપના પૂર્વ માઈનોરિટી પ્રમુખ ઝાકીર શાહ આ બાબતે સીધો જવાબ આપવાને બદલે ગોળ ગોળ વાતો કરતા નજરે પડ્યા હતા.
તેમણે બચાવ કરતા જણાવ્યું હતું કે, અગાઉ પણ અહીં ઝૂંપડપટ્ટી ધારકોને પાકા મકાનો મળ્યા હતા, તેથી આ લોકોને પણ મકાન મળવા જોઈએ. જો કે, આ ‘ભૂતિયા ડિમોલિશન’ના મામલામાં ઝાકીર શાહની ભૂમિકા પહેલેથી જ શંકાના દાયરામાં રહી છે અને હવે આ વાયરલ વીડિયો સામે આવ્યા બાદ રાજકારણમાં મોટો ગરમાવો આવી ગયો છે.