ગુજરાતમાં સતત વધી રહેલા Corona ના કેસ બાદ પોલીસે લગ્નમાં Corona નિયમોનો ભંગ કરનારા વિરુદ્ધ કડક કાર્યવાહી કરી રહી છે તેમજ રાજ્યભરમાં લગ્ન દરમ્યાન માસ્ક, સામાજિક અંતર અને રાત્રિ કર્ફ્યુના ઉલ્લંઘન બદલ 41 દિવસમાં 700 લોકોની ધરપકડ કરી છે. જેમાં આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં કોવિડ પ્રોટોકોલ ભંગ બદલ ગુરુવારે રાત્રે છ જો ડીજે ની અટકાયત કરવામાં આવી હતી અને તેમના સાધનો જપ્ત કરવામાં આવ્યા છે.
હાલમાં ગુજરાતના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના 36 શહેરો રાત્રે 8 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યુ હેઠળ છે, આ દરમિયાન લગ્ન પ્રસંગો કે સમારંભોને મંજૂરી નથી. વધુમાં લગ્નમાં મહત્તમ 50 લોકોની હાજરીને જ મંજૂરી આપવામાં આવી છે. તેમજ લગ્ન કરવા ઇચ્છતા પક્ષોએ અગાઉથી ઓનલાઇન નોંધણી કરાવવી પડે છે.
ગુજરાતના પોલીસ મહાનિર્દેશક આશિષ ભાટિયાની કચેરીએ જાહેર કરેલી વિગતો મુજબ,તાજેતરના સમયમાં Corona પ્રોટોકોલના ઉલ્લંઘનના 540 જેટલા કેસ નોંધાયા હતા અને 700 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાત પોલીસે આપેલી વિગતો મુજબ 19 ડિસેમ્બર, 2020 થી 24 એપ્રિલ, 2021 સુધી માસ્ક અને કોવિડ માર્ગદર્શિકાના ભંગના 867 કેસો નોંધાયા હતા અને 254 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ એક મહિનામાં 2 મે સુધીમાં 471 જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને છેલ્લા 10 દિવસમાં 200 વધુ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
20 એપ્રિલના રોજ ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ એક નિવેદન બહાર પાડ્યું હતું કે 25, 26 અને 27 એપ્રિલની શુભ તારીખો માટે મોટી સંખ્યામાં લગ્નો ગોઠવવામાં આવ્યા હતા અને જો માર્ગદર્શિકા ભંગની કોઇ ફરિયાદ હશે તો તે વિસ્તારના પોલીસ કર્મચારી જવાબદાર ગણાશે. સીએમ રૂપાણીએ કહ્યું હતું કે ‘જો લગ્નમાં ભીડ વધારે હોય, પરવાનગીની સંખ્યા કરતાં વધારે લોકો હશે તો જવાબદાર અધિકારી સામે પણ પગલાં લેવામાં આવશે.’
તે પછી જ ગુજરાત ડીજીપીએ પોલીસ અધિકારીઓને ડિજિટલ ગુજરાત પોર્ટલ પર આયોજિત લગ્ન સમારોહની સમીક્ષા કરવા કોવિડ પ્રોટોકોલનું પાલન સુનિશ્ચિત કરવા માટે તેમના સંબંધિત વિસ્તારોમાં લગ્નો પર નિરીક્ષણ રાખવા જણાવ્યું હતું. ડીજીપીએ ડીજે અને લગ્નના આયોજકોને અપીલ પણ કરી હતી કે તેઓ કોવિડ પ્રોટોકોલનું ઉલ્લંઘન ન કરે અથવા પોલીસ કાર્યવાહીનો સામનો કરવા તૈયાર રહે.