આજે 09 મેને શુક્વારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
અમદાવાદની CBI કોર્ટે આગ વીમા છેતરપિંડીના બે અલગ-અલગ કેસમાં મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે પૂર્વ સર્વેયર સહિત 4 આરોપીઓને 3 વર્ષની સખત કેદની સજા ફટકારી છે, સાથે જ દરેક આરોપીને 50,000 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.
CBIએ વર્ષ 2003માં આ બંને ગુના નોંધ્યા હતા અને તપાસ બાદ વર્ષ 2004માં આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી. ટ્રાયલ દરમિયાન 3 આરોપીઓના મૃત્યુ થતા તેમની સામેની કાર્યવાહી બંધ કરવામાં આવી હતી.
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી 6 દિવસ માટે હિટવેવની આગાહી કરવામાં આવી છે, જેના કારણે લોકોને અંગ દઝાડતી ગરમીનો અનુભવ થશે.
અમદાવાદમાં આવતીકાલથી સતત 6 દિવસ માટે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં તાપમાનમાં હજી પણ 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે.
દેવભૂમિ દ્વારકા પોલીસની એલસીબી (LCB) શાખાએ 36 વર્ષ જૂના અપહરણના કેસનો ભેદ ઉકેલી નાખ્યો છે. વર્ષ 1990માં એક સગીરાનું અપહરણ કરી ફરાર થયેલો આરોપી કેરળમાં છુપાયો હોવાની બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી.
એલસીબી અને સાયબર ક્રાઈમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ટેકનિકલ સર્વેલન્સની મદદથી કેરળના અલાપુઝામાં દરોડા પાડ્યા હતા. આ કામગીરી દરમિયાન પોલીસે 59 વર્ષીય આરોપી વેણુની ધરપકડ કરી છે. ત્રણ દાયકાથી વધુ સમય બાદ આરોપી ઝડપાતા પોલીસ વિભાગની આ મોટી સફળતા માનવામાં આવે છે.
અમદાવાદ જિલ્લાના મોરૈયા પાસે આવેલી એક ખાનગી કંપનીમાં આજે ભીષણ આગ લાગવાની ઘટના બની છે. આગની તીવ્રતા જોતા તાત્કાલિક સાણંદ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી, જેના પગલે ફાયર ફાઈટરો ઘટનાસ્થળે દોડી આવ્યા છે. ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. જો કે, આ આગ કયા કારણોસર લાગી છે, તે હજી સુધી જાણી શકાયું નથી.
અમદાવાદના ગિફ્ટ સિટીમાં ડેટા સેન્ટર બનાવવાના નામે આશરે ₹400 કરોડની છેતરપિંડી આચરવામાં આવી છે, જેમાં દેશભરના 33 હજાર લોકો ભોગ બન્યા હોવાની આશંકા છે. એપ્રિલ 2023માં બિઝનેસ ઓફર આપી જૂન 2024થી રોકાણ શરૂ કરાવ્યા બાદ જાન્યુઆરી 2026 સુધી દર મહિને ₹1650 રિટર્ન આપવામાં આવતું હતું.
જો કે, સ્કીમ પૂર્ણ થતા જ કંપનીએ રકમ ક્લિયર કરવા ડૉલરમાં ચુકવણીની માંગ કરી છે. આ કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર મોડાસાના ઉત્પલ પટેલ અને તેમના પાર્ટનર તરીકે એક કોંગ્રેસી નેતાનું નામ સામે આવ્યું છે. છેલ્લા 10 દિવસથી ગિફ્ટ સિટીની ઓફિસ બંધ હોવાથી અત્યાર સુધીમાં 28 લોકોએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
રાજધાની દિલ્હીમાં આતંકવાદી હુમલાની ચેતવણી મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ હાઈ એલર્ટ પર છે. DDU માર્ગ પર ભારતીય જનતા પાર્ટીના દિલ્હી કાર્યાલય અને નજીકના સરકારી કાર્યાલયોમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે.
માહિતી મુજબ આતંકવાદી સંગઠનો દિલ્હી ભાજપ મુખ્યાલય અને સરકારી સંસ્થાઓને નિશાન બનાવી શકે છે.
ચેતવણી મળ્યા બાદ, દિલ્હી પોલીસ, અર્ધલશ્કરી દળો અને અન્ય સુરક્ષા એજન્સીઓને સંપૂર્ણ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. આ વિસ્તારમાં અર્ધલશ્કરી જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા છે.
DDU માર્ગ અને આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં બેરિકેડ ઉભા કરીને ચેકિંગ વધુ તીવ્ર બનાવવામાં આવ્યું છે.
બધા વાહનો અને શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડોદરા આગમનને લઈને શહેર પોલીસ તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે સુરક્ષા વ્યવસ્થા અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, એરપોર્ટથી સરદાર ધામ સુધીના સમગ્ર રૂટ પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. VVIP મુવમેન્ટને ધ્યાને રાખીને 1 JCP સહિત 1000થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે. ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે વિવિધ સ્થળોએ ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. વધુમાં, એરપોર્ટથી અવરજવર કરનારા મુસાફરોને ફ્લાઈટ સમય કરતા વહેલા પહોંચવા માટે પોલીસ કમિશનર દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે.
દેશભરમાં સહકારી ડેરી નેટવર્કને મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે સ્થપાયેલી બહુ-રાજ્ય સહકારી સંસ્થા SPCDF ના હોદ્દેદારોની સત્તાવાર વરણી કરવામાં આવી છે. GCMMF (અમૂલ) ના એમડી ડૉ. જયેન મહેતાને સંસ્થાના ચેરમેન અને બનાસ ડેરીના પ્રતિનિધિ શ્રી સંગ્રામ ચૌધરીને વાઇસ-ચેરમેન તરીકે ચૂંટવામાં આવ્યા છે. ગાંધીનગર કલેક્ટર શ્રી રવિન્દ્ર ડી. ખટાલે દ્વારા આ પરિણામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. આ બંને હોદ્દેદારો 05 મે 2026 થી કાર્યભાર સંભાળશે. આ પહેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સહકાર મંત્રી અમિત શાહના “વ્હાઇટ રિવોલ્યુશન 2.0” ના વિઝનને વેગ આપશે, જેનો લક્ષ્ય 20 રાજ્યોના 20 લાખથી વધુ દૂધ ઉત્પાદકોને સંગઠિત સહકારી માળખા સાથે જોડવાનો છે.
પિમ્પરી ચિંચવડમાં મેટ્રોના નિર્માણ કાર્ય દરમિયાન સુરક્ષામાં ગંભીર ખામી સામે આવી છે. ભક્તિ શક્તિ ચોક પાસે મેટ્રો બ્રિજનું એક મોટું લોખંડનું પતરું અચાનક નીચે પડતા અફરાતફરી મચી ગઈ હતી. ભારે પવનના કારણે આ પતરું હવામાં ઉડીને સીધું ચાલુ રસ્તા પર આવી પડ્યું હતું, જેમાં એક રાહદારીનો જીવ માંડ-માંડ બચ્યો હતો. મેટ્રો તંત્ર દ્વારા વારંવાર થતી આવી જીવલેણ ભૂલોને કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી, પરંતુ સુરક્ષા વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા થયા છે.
વડોદરાના વેમાલી પાસે આવેલ એક ખુલ્લા પ્લોટમાં પડેલા જૂના-નવા સામાનના જથ્થામાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળી હતી. આકાશમાં દૂર-દૂર સુધી કાળા ધુમાડાના ગોટેગોટા દેખાતા સ્થાનિક રહીશોમાં ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી છે અને સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો કરી રહી છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. હાલ ફાયર વિભાગ દ્વારા આગ સંપૂર્ણપણે શાંત કરવા માટે કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે, જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી.
આતંકી હુમલાની ચેતવણી બાદ દિલ્હીમાં ભાજપ હેડક્વાર્ટર ‘કિલ્લા’માં ફેરવાયું, સુરક્ષા એજન્સીઓ ખડેપગે.
યોગી કેબિનેટનું આવતીકાલે વિસ્તરણ થઈ શકે છે. સૂત્રોનું કહેવું છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે સાંજે 6 વાગ્યે રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે મુલાકાત કરશે. આ મુલાકાત બાદ આવતીકાલે મંત્રીમંડળનું વિસ્તરણ થશે. જાણવા મળી રહ્યું છે કે અંદાજે અડધો ડઝન નવા મંત્રીઓના નામ ફાઈનલ થઈ ચૂક્યા છે અને હવે માત્ર સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે. હાલના મંત્રીમંડળમાં અત્યારે 6 જગ્યાઓ ખાલી છે. મંત્રીમંડળના વિસ્તરણની સાથે કેટલાક વર્તમાન મંત્રીઓના વિભાગોમાં ફેરબદલ પણ કરવામાં આવશે.
ચર્ચા છે કે આ કેબિનેટ વિસ્તરણમાં ભૂપેન્દ્ર ચૌધરી, મનોજ પાંડે અને પૂજા પાલને પણ સ્થાન મળી શકે છે. જોકે, હજુ સુધી આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી અને આ માત્ર અટકળો છે.
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન સુવેન્દુ અધિકારીના PA ની હત્યા કેસમાં, ગાંધીનગર FSL ની ટીમની લેવાઇ મદદ છે. 3 બેલિસ્ટીક એક્સ્પર્ટની સ્થળ પર જઇને કરી તપાસ.
બનાસકાંઠાના પાલનપુરમાં વધુ એક હની ટ્રેપની પાલનપુર તાલુકા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ. આધેડ કોન્ટ્રાક્ટરને દવાના બહાને ચંડીસર ખાતેની ઓફિસમાં બોલાવી અને હની ટ્રેપમાં ફસાવ્યો. દવા અંગેની વાતચીત કરવા કોન્ટ્રાક્ટર ઓફિસમાં ગયા તો મહિલાએ અશ્લીલ વર્તન કરી કોન્ટ્રાક્ટરને ફસાવ્યો. ઓફિસમાં મહિલાએ, કોન્ટ્રાક્ટર સાથે ચેનચાળા કરી રહી હતી ત્યારે બહારથી અજાણ્યા ત્રણ માણસોએ આવી અને કોન્ટ્રાક્ટરને ધમકી આપી અને પાંચ લાખ પડાવ્યા. અક્ષય ઉજેઠીયા ડાયાભાઈ ભાગળિયા એક મહિલા અને અજાણ્યા પુરુષો સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે હની ટ્રેપની નોંધાઈ ફરિયાદ. પાલનપુર તાલુકા પોલીસે અક્ષય ઉજેઠીયા અને ડાયા ભાગળીયાની કરી ધરપકડ. પાલનપુરમાં ત્રણ દિવસમાં બે હની ટ્રેપની પોલીસ ફરિયાદો નોંધાઈ છે. બે દિવસ અગાઉ ડીસાના એક વ્યક્તિને હની ટ્રેપમાં ફસાવી અને 50 લાખની માગણી કરી હતી જેમાં એલસીબી કર્મચારીની પણ સંડોવણી સામે આવી હતી. પાલનપુર તાલુકા પોલીસે હની ટ્રેપ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરાના અલકાપુરીની એવરેસ્ટ ઓનિક્સ બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ. હાઈરાઈઝ બિલ્ડિંગના છઠ્ઠા માળે આવેલા સ્પા સેન્ટરમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. વીજ પુરવઠો કપાતા લિફ્ટમાં 3 લોકો ફસાયા હતા, જેમને ફાયર વિભાગે સુરક્ષિત બહાર કાઢ્યા. વડીવાડી ફાયર સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોચીને સતત પાણીનો મારો ચલાવી આગ પર મેળવ્યો કાબૂ. આગની ઘટનામાં કોઈ જાનહાનિ નહીં, સ્પાનો સામાન બળીને ખાખ, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ, એફએસએલની મદદ લેવાય તેવી શક્યતા છે.
અમદાવાદના રાણીપ પોલીસ મથકે, ભૂતપૂર્વ જેલ સુપ્રીન્ટેન્ડન્ટ અરવિંદ સોલંકી સામે તેમની જ પુત્રવધુએ ધમકી આપવા, અશ્લિલ માંગણી, શારીરિક માનસિક ત્રાસ, દહેજ અંગે ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ પતિ, સાસુ, સસરા વિરુદ્ધ નોંધાવી ફરિયાદ. સસરા પૂર્વ જેલ સુપ્રિટેન્ડન્ટ હોવાથી આપતા હતા ધમકી. સસરા અરવિંદ સોલંકી અશ્લિલ માંગણીઓ કરતા હતા. પરણીતાએ દહેજ, શારીરિક માનસિક ત્રાસ સહિતની કલમ હેઠળ નોંધાવી ફરિયાદ. પતિ નીરવ અન્ય યુવતીઓ સાથે સબંધ ધરાવતા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ. પતિ દ્વારા જબરજસ્તીથી પોર્ન બતાવીને શરીર સબંધ બાંધવામાં આવતો. સસરા દ્વારા રૂમમાં હિડન કેમેરા લગાવી કપડા બદલતા વીડિયો લેવામાં આવતા હતા. રાણીપ પોલીસે ફરિયાદને આધારે વધુ તપાસ શરૂ કરી છે.
પશ્ચિમ બંગાળના રાજકીય ઇતિહાસમાં આજે નવો સૂર્યોદય થયો..આઝાદી બાદ પહેલીવાર રાજ્યમાં ભાજપની સરકાર બની છે અને શુભેન્દુ અધિકારીએ મુખ્યપ્રધાન પદની શપથ લઈને ઇતિહાસ રચ્યો છે..કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં યોજાયેલા ભવ્ય શપથગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખાસ ઉપસ્થિતીમાં સરકાર રચાઇ ગઇ..બંગાળમાં હવે ‘સુવેન્દુ યુગ’ની સત્તાવાર થઇ શરૂઆત.
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની જીત બાદ બાંગ્લાદેશ આવામી લીગના પ્રમુખ અને બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાએ મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીને અભિનંદન આપ્યા.
મથાભંગા મતવિસ્તારના ધારાસભ્ય નિસિથ પ્રમાણિકે પણ શપથ લીધા. ટીએમસીથી રાજકીય કારકિર્દી શરૂ કરનાર નિસિથ 2019 માં ભાજપમાં જોડાયા હતા અને અગાઉ કૂચ બિહારથી સંસદ સભ્ય (એમપી) તરીકે સેવા આપી ચૂક્યા છે. નિસિથે કેન્દ્રીય રાજ્યમંત્રી પદ પણ સંભાળ્યું છે.
રાણીબંધ મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કરતી પહેલી વાર ધારાસભ્ય બનેલા ખુદીરામ ટુડુએ પણ મંત્રી પદના શપથ લીધા. વ્યવસાયે શિક્ષક, ખુદીરામ બંગાળ ભાજપનો આદિવાસી ચહેરો છે.
બોનગાંવ ઉત્તરના નવા ચૂંટાયેલા ધારાસભ્ય અશોક કિર્તનિયાએ પણ પદના શપથ લીધા. તેમણે સતત બે ટર્મ માટે ધારાસભ્ય તરીકે સેવા આપી છે અને માતુઆ સમુદાયના કલ્યાણ માટે સક્રિય રીતે કામ કર્યું છે.
અગ્નિમિત્રા પૌલે પણ ભાજપના દિગ્ગજ નેતાઓની હાજરીમાં શપથ લીધા. ફેશન ડિઝાઇનરમાંથી રાજકારણી બનેલા અગ્નિમિત્રા આસનસોલ દક્ષિણના નવા ચૂંટાયેલા ધારાસભ્ય છે. તેમને બંગાળના રાજકારણમાં એક અગ્રણી મહિલા ચહેરા તરીકે ગણવામાં આવે છે.
સુવેન્દુ અધિકારી પછી, દિલીપ ઘોષે મંત્રી પદના શપથ લીધા. રાજ્યપાલે તેમને શપથ લેવડાવ્યા, ત્યારબાદ દિલીપ ઘોષે પીએમ મોદી અને તમામ નેતાઓના આશીર્વાદ લીધા.
પશ્ચિમ બંગાળમાં આજે 5 મંત્રીઓ શપથ લઈ રહ્યા છે: આ નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે.
શપથ લીધા પછી તરત જ, સુવેન્દુ અધિકારીએ પીએમ મોદીના પગ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લીધા. ત્યારબાદ, પીએમ મોદીએ તેમને ભેટી પડ્યા. સુવેન્દુએ મંચ પર હાજર દરેક નેતા સાથે એક પછી એક હાથ મિલાવ્યા અને બધાએ તેમને અભિનંદન આપ્યા. જ્યારે સુવેન્દુ યોગી આદિત્યનાથનો સંપર્ક કર્યો, ત્યારે તેમણે પોતાનો ખેસ પોતાની આસપાસ ઓઢીને તેમનું સ્વાગત કર્યું.
બંગાળી ભાષામાં બંગાળના નવા CM સુવેન્દુ સરકારે લીધા શપથ, PM મોદીની ઉપસ્થિતિમાં લીધા શપથ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ કોલકાતા પહોંચ્યા છે. આજે, તેઓ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરવા જઈ રહેલા સુવેન્દુ અધિકારીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે.
Narendra Modi આવતીકાલથી બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે, જેને લઈને રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. 10 મેના રોજ વડાપ્રધાન મોદીનું Jamnagar ખાતે આગમન થશે, જ્યાં તેઓ ભવ્ય રોડ શોમાં ભાગ લેશે અને ત્યારબાદ રાત્રિ રોકાણ કરશે. 11 મેના રોજ તેઓ Somnath Temple ખાતે વિશેષ પૂજા અર્ચના કરશે તેમજ જનસભાને સંબોધશે
સુવેન્દુ અધિકારી આજે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લેવાના છે. સુવેન્દુના મંત્રીમંડળમાં જોડાનારા અન્ય નેતાઓની એક કામચલાઉ યાદી પણ સામે આવી છે, જેમાં અગ્નિમિત્રા પોલ, રૂપા ગાંગુલી, દિલીપ ઘોષ અને સ્વપ્ન દાસગુપ્તાના નામનો સમાવેશ થાય છે.
TCS નાશિક કેસમાં ધરપકડ બાદ, નિદા ખાનને 11 મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવી છે.
ભાજપ વિધાનસભા પક્ષના નેતા સુવેન્દુ અધિકારી આજે પશ્ચિમ બંગાળના સ્વતંત્રતા પછીના પ્રથમ ભાજપ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
પશ્ચિમ બંગાળમાં ભાજપની નવી સરકારનો શપથગ્રહણ સમારોહ આજે યોજાઈ રહ્યો છે. સુવેન્દુ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે, જ્યારે અગ્નિમિત્ર અને નિસિથ નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. કોલકાતાના બ્રિગેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ સમારોહ ભાજપ માટે શક્તિ પ્રદર્શન તરીકે પણ સેવા આપે તેવી અપેક્ષા છે. વડા પ્રધાન મોદીની સાથે, ભાજપ-એનડીએ શાસિત રાજ્યોના ઘણા કેન્દ્રીય પ્રધાનો અને મુખ્યમંત્રીઓ આ કાર્યક્રમમાં હાજરી આપશે.
Published On - 8:06 am, Sat, 9 May 26