
આજે 7 જુન બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. સાથે જ વાંચો ઓડીશામાં થયેલા ભીષણ ટ્રેન અકસ્માતની તમામ અપડેટસ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
ઉત્તર અફઘાનિસ્તાનમાં એક મિનિબસ દુર્ઘટનાગ્રસ્ત થતાં નવ બાળકો અને 12 મહિલાઓ સહિત કુલ 25 લોકોનાં મોત થયાં હતાં. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે, સર-એ-પુલ પ્રાંતના ઉબડખાબડ રસ્તાઓવાળા પહાડી વિસ્તારમાં જ્યારે મિનિબસમાં સવાર લોકો લગ્ન સમારોહમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. સ્થાનિક પોલીસ કમાન્ડરના પ્રવક્તા દીન મોહમ્મદ નઝારીએ અકસ્માત માટે મિનિબસ ડ્રાઇવરને જવાબદાર ગણાવ્યો હતો.ડ્રાઇવરની બેદરકારીને કારણે મિનિબસ ઊંડી ખીણમાં પડી હતી, એમ તેમણે જણાવ્યું હતું.
ઉદ્ધવ જૂથના નેતા અને પ્રવક્તા આનંદ દુબેને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ઉદ્ધવ ઠાકરેને સાથ આપશે તો તેમને ગોળી મારી દેવામાં આવશે તેવી ધમકી આપવામાં આવી છે. મુંબઈના સમતા નગર પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે કયા નંબર પરથી ધમકીભર્યો કોલ આવ્યો હતો.
કેન્દ્રમાં ભાજપ સરકારને હરાવવા માટે વિપક્ષે પુરી તાકાત લગાવી દીધી છે. વિપક્ષનો મુખ્ય લક્ષ્યાંક 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપને હરાવવાનો છે. આ માટે 23મી જૂને પટનામાં બેઠક યોજાશે. તમામ પક્ષો સાથે ચર્ચા કર્યા બાદ 23 જૂનની તારીખ નક્કી કરવામાં આવી છે. જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ લલ્લન સિંહે કહ્યું કે પહેલા આ બેઠક 12 જૂને જ થવાની હતી, પરંતુ આ તારીખે પટના પહોંચવામાં ઘણા નેતાઓને અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો હતો. આવી સ્થિતિમાં, બધા સાથે વાત કર્યા પછી, 23 જૂનની તારીખ નક્કી કરવામાં આવી છે.
ડ્રગ્સ કેસમાં ફસાયેલા ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિમ્બાચિયાને NDPS કોર્ટમાંથી રાહત મળી છે. એનસીબીએ બંનેના જામીન રદ કરવાની માંગ કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી છે.
દૂરદર્શનની જાણીતી અને પ્રથમ અંગ્રેજી ન્યૂઝ એન્કર ગીતાંજલિ અય્યરનું બુધવારે 76 વર્ષની વયે નિધન થયું છે. લગભગ 30 વર્ષ સુધી, તેમણે નેશનલ બ્રોડકાસ્ટર પર સેવા આપી હતી. ગીતાંજલિ 1971માં દૂરદર્શનમાં જોડાઈ હતી. તેમના ત્રણ દાયકાના કાર્યકાળ દરમિયાન તેમને ચાર વખત શ્રેષ્ઠ સમાચાર એન્કરનો એવોર્ડ મળ્યો હતો.
રાજકોટમાં ભાજપ યુવા મોરચના મંત્રી કરણ સોરઠીયાએ, સોરઠીયા વાડી સર્કલ નજીક બે રાઉન્ડ ફાયર કર્યું છે. રાજકોટના ડિલકસ પાન પાસે બે રાઉન્ડ ફાયરિંગ કર્યાનો બનાવ બનતા સમગ્ર રાજકોટ શહેરમાં ચકચાર મચી જવા પામી છે. ગોળીબારની ઘટનાની જાણ થતા જ ભક્તિનગર પોલીસે ત્વરીત ઘટના સ્થળે પહોચીને તાનમાં આવેલ ભાજપ યુવા મોરચના મંત્રી કરણ સોરઠીયાની અટકાયત કરીને પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. પોલીસે કરણ સોરઠીયાની કબજે કરેલ કારની તપાસ કરતા, પોલીસને કારમાંથી ”મંત્રી” રાજકોટ શહેર યુવા ભાજપ લખેલું બોર્ડ મળ્યું હતું.
મણિપુરમાં હિંસા ખતમ થવાનું નામ નથી લઈ રહી. હિંસાને એક મહિનાથી વધુ સમય વીતી ગયો છે, પરંતુ રોજે રોજ ક્યાંકને ક્યાંક આગચંપી અને ગોળીબારના અહેવાલો સામે આવી રહ્યાં છે. હિંસા વચ્ચે સુરક્ષા દળોએ મણિપુરમાંથી 57 હથિયારો, 318 દારૂગોળો અને પાંચ બોમ્બ જપ્ત કર્યા છે. અત્યાર સુધીમાં રિકવર કરાયેલા હથિયારો અને દારૂગોળાની કુલ સંખ્યા અનુક્રમે 868 અને 11,518 થઈ ગઈ છે.
મુખ્તાર અંસારીના નજીકના સાથીદાર સંજીવ મહેશ્વરી ઉર્ફે જીવાની લખનૌ કોર્ટ પરિસરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. સીએમ યોગી આદિત્યનાથે આ મામલાની તપાસ માટે SITની રચના કરી છે. સમગ્ર મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની SITની રચના કરવામાં આવી છે. ટીમને એક સપ્તાહમાં તપાસ પૂર્ણ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
બિહારની રાજધાની પટનામાં 23 જૂને વિરોધ પક્ષોની બેઠક યોજાશે. જેડીયુ નેતા લાલન સિંહે જણાવ્યું કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, ઝારખંડના સીએમ હેમંત સોરેન, સપા પ્રમુખ અખિલેશ યાદવ, બંગાળના સીએમ મમતા બેનર્જી, ડાબેરી સીતારામ યેચુરી, ડેરાજા, એનસીપી ચીફ શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, તમિલનાડુના સીએમ અને અન્ય વિપક્ષી નેતાઓ. જેમાં તમામ આગેવાનો હાજર રહેશે. આ બેઠકમાં રાહુલ ગાંધી પણ હાજરી આપશે.
કુસ્તીબાજો અને રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર (Anurag Thakur) સાથેની બેઠક પૂરી થઈ ગઈ છે. આ બેઠક લગભગ 5 કલાક સુધી ચાલી હતી. આ બેઠક બાદ સાક્ષી મલિકે કહ્યું કે સરકારે પોલીસ તપાસ પૂર્ણ કરવા માટે 15 જૂન સુધીનો સમય આપ્યો છે. આ દરમિયાન કુસ્તીબાજો પ્રદર્શન નહીં કરે. બજરંગ, રિયો ઓલિમ્પિક્સની બ્રોન્ઝ મેડલ વિજેતા સાક્ષી મલિક અને તેના કુસ્તીબાજ પતિ સત્યવ્રત કડિયાન બુધવારે સવારે અનુરાગ ઠાકુરના ઘરે મીટિંગ માટે પહોંચ્યા હતા.
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહનો વિરોધ કરી રહેલા કુસ્તીબાજોએ કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરને લગભગ 5 કલાક સુધી મળ્યા હતા. આ બેઠક બાદ રેસલર સાક્ષી મલિકનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે બ્રિજ ભૂષણ વિરુદ્ધ તેમનું આંદોલન 15 જૂન સુધી સ્થગિત કરવામાં આવશે. તેમણે કહ્યું છે કે જો સરકાર માંગણીઓ પૂરી નહીં કરે તો તેઓ ફરીથી આંદોલન પર વિચાર કરશે.
Bharuch : ભરૂચમાં વહીવટીતંત્રે આપતકાલીન પરિસ્થિતિઓનો AI ટેક્નોલોજીની મદદથી સામનો કરશે. ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા Artificial intelligence આધારિત ટેક્નોલોજી વિકસાવવામાં આવી છે. આ ટેક્નોલોજી ઔદ્યોગિક અકસ્માત અને રાજ્યની સૌથી મોટી નદી નર્મદામાં જળસ્તરના વધારા સમયે તંત્ર અને સ્થાનિકોને એલર્ટ કરી જરૂરી પગલાં ભરવા નિર્દેશ આપશે. ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા(Tushar Sumera – Collector, Bharuch)એ જણાવ્યું હતું કે આ ટેક્નોલોજી દેશની કોઈ દિગ્ગ્જ IT કંપનીઓ દ્વારા નહીં પરંતુ સ્ટાર્ટઅપને તક અને પ્રોત્સાહન આપવાનો પણ પ્રયાસ છે જેમાં મહદંશે સફળતા પણ મળી છે. આ સિસ્ટમ જળસ્તર વધવાના 8 કલાક પહેલા સ્થાનિકોને એલર્ટ કરશે. હાલમાં અરબ સાગરમાં (Arabian Sea)‘બિપરજોય’ (Biparjoy) વાવાઝોડાની શક્યતાને પગલે તંત્ર એલર્ટ છે ત્યારે ભરૂચની એલર્ટ સિસ્ટમ ધ્યાન ખેંચી રહી છે.
Navsari: ગુજરાતમાં સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને લઈને તમામ બંદરો પર એક નંબરના સિગ્નલ લગાવી દેવામાં આવ્યા છે અને તંત્ર સજ્જ બન્યું છે. ત્યારે નવસારી જિલ્લા તંત્ર (Navsari District Administration) દ્વારા પણ સંભવિત વાવાઝોડાને લઈને કોઈ અનિચ્છનીય ઘટના નહીં બને તેને લઈને તકેદારી રાખવામાં આવી રહી છે.
હવામાન વિભાગની આગાહી ધ્યાને લઈ ગુજરાતના તમામ દરિયા કિનારાઓ પર સંભવિત વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ દરીયા કિનારા ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા પ્રદેશ અધ્યક્ષને લઈને ચર્ચાઓ કર્ણાટક ચુંટણીના પરિણામો બાદ તુરત જ શરુ થઈ ગઈ હતી. આ દરમિયાન હવે ગુજરાત કોંગ્રેસના નેતાઓ દિલ્હી પહોંચ્યા છે. જ્યાં આ અગ્રણી નેતાઓ નવા પ્રદેશ અધ્યક્ષની પસંદગી પ્રક્રિયા માટે થઈને પોતાના અભિપ્રાય રજુ કરશે. અર્જુન મોઢવાડીયા, શક્તિસિંહ ગોહિલ, શૈલેષ પરમાર, દિપક બાબરીયા, તુષાર ચૌધરી સહિતના નેતાઓ દિલ્લી પહોંચ્યા છે. જ્યાં તેઓએ નવા પ્રદેશ અધ્યક્ષને લઈ પોતાના મત રજૂ કરશે.
હાલમાં જ ગુજરાત સરકાર દ્વારા 5 IAS અધિકારીઓની બદલી સાથે બઢતીના ઓર્ડર કરવામાં આવ્યા છે, ખાસ કરી ને IAS વિજય નેહરા હવે Dholera- SIR પ્રોજેક્ટની કમાન સંભાળશે. આ સાથે અન્ય અધિકારીઓના કાર્યભારમાં પણ વધારો કરાયો છે.
ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના વજીરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મુખ્તાર અંસારીના નજીકના મિત્રને ગોળી મારીને હત્યા કરવાનો મામલો સામે આવ્યો છે. હત્યારા વકીલના વેશમાં આવ્યો હતો અને કોર્ટમાં ઘુસ્યો હતો અને ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટનાને લખનૌ સિવિલ કોર્ટની બહાર અંજામ આપવામાં આવ્યો છે. મૃતકની ઓળખ પશ્ચિમ ઉત્તર પ્રદેશના કુખ્યાત માફિયા સંજીવ જીવા તરીકે થઈ છે. ગોળી વાગતાં સંજીવનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. સંજીવ જીવા પર ભાજપના નેતા બ્રહ્મદત્ત દિવેદીની હત્યાનો આરોપ હતો. આ સિવાય તે અન્ય ઘણા કેસમાં આરોપી હતો. આ સમયે ભારે પોલીસ બંદોબસ્ત ઘટનાસ્થળે હાજર છે.
કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કેબિનેટ બેઠક બાદ કહ્યું કે સરકારે મોંઘવારી નિયંત્રણમાં રાખી છે. 2014 પહેલા મોંઘવારી ખૂબ ઊંચી હતી. સરકારે 16-17 કરોડ ગરીબોને અનાજ પૂરું પાડ્યું છે. તેલંગાણામાં વ્યક્તિ દીઠ 5 કિલો ચોખા એટલે કે 25 કિલો ચોખા એક ઘરના પાંચ લોકોને આપવામાં આવે છે. કોવિડમાં અનાજ બમણું કરવામાં આવ્યું હતું.
કોલકાતામાં સીબીઆઈના દરોડા ચાલુ છે. 15 જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. આ દરોડા પાલિકાની નોકરી કૌભાંડ સંદર્ભે પાડવામાં આવી રહ્યા છે. સીબીઆઈએ એપ્રિલમાં એફઆઈઆર નોંધી હતી.
નરેન્દ્ર મોદી સરકારની કેબિનેટે અડદ, તુવેર સહિતના ખરીફ પાકોના MSPમાં વધારાને મંજૂરી આપી દીધી છે. સરકારે મગની દાળના ટેકાના ભાવમાં 10 ટકાનો વધારો કર્યો છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે નિર્ણય લીધા બાદ મીડિયાને જણાવ્યું કે, મોંઘવારી ઓછી હોવાને કારણે સરકારે ખેડૂતોના હિતમાં આ નિર્ણય લીધો છે. ડાંગરની MSP 2183 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે. જુવારની MSP 3180 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવી છે. એ ગ્રેડના ડાંગરના ભાવ 2203 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ છે.
Union Cabinet has approved increased #MSP for #Kharifcrops for marketing season 2023-24. This move is to ensure remunerative prices to growers for their produce and to encourage crop diversification: Union Minister Piyush Goyal#TV9News pic.twitter.com/6BXNTud2XH
— Tv9 Gujarati (@tv9gujarati) June 7, 2023
મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં આજે (7 જૂન, બુધવાર) હિન્દુત્વવાદી સંગઠનો દ્વારા આયોજિત વિરોધ માર્ચ દરમિયાન, પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો. સોશિયલ મીડિયા સ્ટેટસમાં ઔરંગઝેબની પોસ્ટના વિરોધમાં કેટલાક મુસ્લિમ યુવાનો દ્વારા આ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. કેટલાક પ્રદર્શનકારીઓની પોલીસે અટકાયત કરી છે. બે સમુદાયોમાં તણાવ વધવાની આશંકાને ધ્યાનમાં રાખીને પ્રશાસને 19 જૂન સુધી પ્રતિબંધ લગાવી દીધો છે. હિન્દુત્વવાદી સંગઠનોએ પણ આજે કોલ્હાપુર બંધનું એલાન આપ્યું છે.
Patan : રાજયમાં જૂથ અથડામણની ઘટના સામે આવી રહી છે. આવી જ એક ઘટના પાટણના રાધનપુરમાં પણ બની છે. પાટણના રાધનપુરમાં મોડી રાતે હોટલમાં જમવા જેવી બાબતે બે જૂથ વચ્ચે ધિંગાણું સર્જાયું હતુ. રાધનપુરના લાટીબજાર વિસ્તારમાં હોટલ પર બે જૂથ સામ-સામે આવી ગયા હતા અને એકબીજા પર હુમલો કર્યો હતો.
સૂત્રો પાસેથી માહિતી મળી છે કે 2024ની લોકસભા ચૂંટણી માટે કર્ણાટકમાં ભાજપ અને જેડીએસ વચ્ચે ગઠબંધન થઈ શકે છે. જેડીએસે ચાર લોકસભા સીટોની માંગણી કરી છે. જેડીએસ સાથે ગઠબંધન અંગે ભાજપ ટૂંક સમયમાં નિર્ણય લઈ શકે છે.
ગુજરાતના રાજકારણમાં નવાજુનીના એંધાણ થવાની સંભાવના છે. કોંગ્રેસના સ્વર્ગીય નેતા અહેમદ પટેલના પુત્ર સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની મુલાકાતને લઇને અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે. ફૈઝલ પટેલ દ્વારા સોશિયલ મીડિયા પર આ ફોટો પોસ્ટ કરવામાં આવ્યો છે. ગત સપ્તાહમાં સી. આર. પાટીલ સાથે મુલાકાત કરી હોવાનો તેમાં ઉલ્લેખ કર્યો છે.
Cyclone Biparjoy ને ગુજરાત સરકાર એક્શનમાં આવી છે. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક બપોરે 12 વાગે બેઠક યોજવામાં આવશે. જેમાં તેવો મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે CM વિડિયો કોન્ફરન્સ કરશે. તેમજ તેની બાદ બપોરે 2 વાગે મંત્રી ઋષિકેશ પટેલ બેઠક યોજાશે. જેમાં તેવો તમામ જિલ્લા કલેકટર સાથે ઋષિકેશ પટેલ વિડિયો કોન્ફરન્સ કરશે.
કેન્દ્ર સરકારે વિરોધ કરી રહેલા કુસ્તીબાજોને વાતચીત માટે આમંત્રણ મોકલ્યા બાદ બજરંગ પુનિયા હવે રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરના ઘરે પહોંચી ગયા છે. ખેડૂત નેતા રાકેશ ટિકૈત પણ પુનિયા સાથે છે. ખેલ મંત્રીએ મંગળવારે મોડી રાત્રે ટ્વીટ કરીને કુસ્તીબાજોને ફરી એકવાર વાતચીત માટે આમંત્રણ આપ્યું હતું. કુસ્તીબાજોના જૂથે બે દિવસ પહેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.
ગાંધીનગરમાં આજે CM ભૂપેન્દ્ર પટેલની (Cabinet Meeting) અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. આજે કેબિનેટ બેઠકમાં PM મોદીના વર્ચ્યુઅલ કાર્યક્રમ સંદર્ભે સમીક્ષા કરવામાં આવશે. જેમાં જ્ઞાનસેતુ પ્રોજેક્ટ પર નિર્ણય લેવાઈ શકે છે. તેમજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સંદર્ભે થશે કેબિનેટમાં ચર્ચા કરવામાં આવશે.
આ ઉપરાંત આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કાર્યક્રમ સંદર્ભ્ ચર્ચા કરવામાં આવશે. તો આગામી દિવસમાં યોજાનારી 146 મી રથયાત્રા સંદર્ભે ચાલી રહેલી તૈયારીઓમા સુરક્ષા સહીત ની બાબતો પર ચર્ચા કરવામાં આવશે. તો આજે કેબિનેટ બેઠક વાવાઝોડાના સંકટ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે. તેમજ રાજ્ય સરકાર ના આગામી આયોજનો અને નીતિગત વિષયો પર સમિક્ષા કરવામાં આવશે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 10 જૂનથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવવાના છે. જે દરમ્યાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર અને સિધ્ધપુર ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે
મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. ત્યારે હવે અસામાજીક તત્વોના ટોળાએ એમ્બ્યુલન્સ પર હુમલો કર્યો હતો, જેમાં એક મૈતેઈ સમુદાઈની મહિલા, તેના પુત્ર અને એક સંબંધીની હત્યા થઈ છે. મહિલાના લગ્ન કુકી સમુદાયમાં થયા હતા. તે ગોળી વાગતા ઘાયલ થયેલા તેના સાત વર્ષના પુત્રને તે હોસ્પિટલ લઈ જઈ રહી હતી. એમ્બ્યુલન્સ સાથે પોલીસની ટીમ પણ ત્યાં હતી. આમ છતાં ટોળાએ તેમના પર હુમલો કર્યો અને ત્રણ લોકોની હત્યા કરી છે. મામલો ઇમ્ફાલ પશ્ચિમના ઇરોસિમ્બા વિસ્તારનો છે. રવિવારે સાંજે 7 વાગ્યે ટોળાએ આ ઘટનાને અંજામ આપ્યો હતો.
ગુજરાત(Gujarat) પર બિપરજોય(Biparjoy) વાવાઝોડાનું સંકટ ઘેરાયું છે. જેમાં વાવાઝોડું 4 કિ.મી.ની ઝડપે ઉત્તર તરફ આગળ વધી ચક્રવાતમાં ફેરવાયું છે. જેના પગલે ગુજરાતના તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તેમજ વાવાઝોડાને કારણે ચોમાસાના પ્રવેશ પર અસર પડી શકે છે.
અરબી સમુદ્રમાં સર્જાયેલા લો- ડ્રીપ્રેશનના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોને એલર્ટ કરાયા છે. સૌરાષ્ટ્રના તમામ બંદરો પર 2 નંબરનુ સિગ્નલ લગાવવામાં આવ્યુ છે.. જામનગરના બેડીબંદર, નવાબંદર, રોઝીબંદર, સિકકા, દેવભુમિ દ્રારકા જીલ્લાના ઓખા બંદર, સલાયા બંદર વાડીનાર , પોરબંદર જીલ્લાના પોરબંદર નવીબંદર સહીતના બંદરો પર 2 નંબરનુ સિગ્નલ લગાવવામાં આવ્યુ છે. માછીમારોને દરીયો ના ખેડવા સુચના આપવામાં આવી છે. સામાન્ય રીતે દર વર્ષે 10 મી જુનથી દરિયો ખેડવા પર પ્રતિબંધ હોય છે.
બાલાસોર ટ્રેન દુર્ઘટનાની તપાસ કરી રહેલી સીબીઆઈની ટીમે બે વખત સ્થળની મુલાકાત લીધી છે. સૂત્રોનું માનીએ તો સીબીઆઈની ટીમ આજે ફરી ઘટનાસ્થળે જશે. આ દરમિયાન, ઇન્ટરલોકિંગ સિસ્ટમ અને સિગ્નલિંગ સિસ્ટમની તપાસ કરવામાં આવશે.
સુરતના માંડવી તાલુકાની જીવાદોરી સમાન આમલી ડેમ(Amli Dam) ચોમાસા પહેલા જ થયો ખાલી. જૂન મહિનાના પ્રારંભે જ આમલી ડેમનું તળિયું દેખાતા 13 જેટલા ગામોમાં સિંચાઇના પાણીને લઇને ગંભીર સ્થિતિ સર્જાય તેવા એંધાણ છે. હાલ ડેમમાં ફક્ત 1.25 એમસીએલ પાણી બચ્યું છે. જે ડેડ સ્ટોરેજ કેપેસિટી છે. આ પાણી હાલ પીવાના તેમજ પશુના ઉપયોગ માટે રાખવામાં આવ્યું છે. ગત વર્ષે ચોમાસા દરમિયાન આમલી ડેમ 100 ટકા ભરાઇ ગયો હતો
પરંતુ ઉનાળાના અંત સુધીમાં ડેમમાં પાણીનો ખૂબ ઓછો જથ્થો બચ્યો છે.આથી ખેડૂતોને સિંચાઇ માટે પાણી મળી શકે તેમ નથી. પરિણામે આમલી ડેમ અને ગોડધા ડેમ વચ્ચે આવતા કેચમેન્ટ એરિયાના પીપલવાડા અને ખાતરાદેવી સહિતના 13 જેટલા ગામોના ખેડૂતોની મુશ્કેલી વધી છે.તેમાં પણ ચાલુ વર્ષે ચોમાસું મોડું થતાં જગતના તાતના માથે છવાયા છે ચિંતાના વાદળો.
Amreli: દેશમાં ચોમાસાના આગમનની ઘડીઓ વચ્ચે ગુજરાત(Gujarat) પર વાવાઝોડાનું સંકટ(Cyclonic storm) તોળાઇ રહ્યું છે અરબ સાગર(Arabian Sea )પર સર્જાયેલું ડીપ ડિપ્રેશન ચક્રવાતી તોફાન ‘બિપરજોય’ (Biparjoy) માં પરિવર્તિત થયું છે. જેના પગલે અમરેલી જાફરાબાદ બંદર પર 1 નંબર નું સિગ્નલ લગાવ્યું છે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના મોટાભાગની બોટો જાફરાબાદ અગાવ પહોચી ગઈ છે. વાવાઝોડાને પગલે જાફરાબાદ પીપાવાવ પોર્ટનો દરિયો તોફાની બની શકે છે. દરિયામાં હાઈટાઈટ સાથે પવનની ગતિ પણ વધશે.
વિરોધ કરી રહેલા કુસ્તીબાજોના સમર્થનમાં આજે એટલે કે બુધવારે યોજાનારી ખાપ મહાપંચાયત વચ્ચે સરકારે કહ્યું છે કે તે કુસ્તીબાજો સાથે ચર્ચા માટે તૈયાર છે. કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે (Anurag Thakur) મંગળવારે મોડી રાત્રે કહ્યું કે કુસ્તીબાજો સાથે ચર્ચા કરવા માટે તેમને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. કુસ્તીબાજોના જૂથે બે દિવસ પહેલા કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. જે બાદ ખેલ મંત્રીનું આ નિવેદન સામે આવ્યું છે.
વટહુકમ સામે વિપક્ષોને એક કરવાના કેજરીવાલના પ્રયાસો ચાલુ છે. આજે લખનૌમાં અખિલેશ યાદવને મળશે. તે વટહુકમ સામે સમર્થન માંગશે. અત્યાર સુધી તેઓ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનને મળ્યા છે. તેઓ રાજ્યસભામાં સમર્થન મેળવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા છે.
Jaipur: સચિન પાયલટે શું નિર્ણય લીધો છે તે માત્ર તે જ જાણે છે, કારણ કે રાજસ્થાન કોંગ્રેસના (Congress) પ્રભારી રંધાવા અને પાયલટના શબ્દોમાં તફાવત છે. રંધાવા કહે છે કે બધું બરાબર છે, પરંતુ પાયલટ અને તેના સમર્થકોનું વલણ વારંવાર 11 જૂન તરફ ઈશારો કરી રહ્યું છે. સ્વાભાવિક છે કે, આ અવસર માત્ર રાજેશ પાયલટને તેમની પુણ્યતિથિ પર યાદ કરવાનો નથી, પરંતુ તે પાઇલટ માટે શક્તિ પ્રદર્શનનું બીજું માધ્યમ બની શકે છે.
11 જૂન, 2023ના રોજ પાયલટ અને તેના સમર્થકો શું કરશે, હજુ સુધી કાર્ડ ખોલવામાં આવ્યા નથી, પરંતુ સચિન પાયલટે પોતાનો ઈરાદો વ્યક્ત કર્યો છે. જે મુદ્દાઓ માટે તેમણે જન સંઘર્ષ યાત્રા કાઢી છે તે મુદ્દાઓથી તેઓ પીછેહઠ કરવા બિલકુલ તૈયાર નથી. તેનો અર્થ એ છે કે પાઇલોટ્સ પાછા હટશે નહીં તે સ્પષ્ટ છે. જો કે, 11 જૂને તે ક્યાં સુધી જશે તે અંગે અનેક અટકળો લગાવવામાં આવી રહી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અરબ સાગરમાં લો પ્રેશરનું ક્ષેત્ર બની રહ્યું છે. જેના કારણે આગામી બે દિવસમાં તે ચક્રવાતમાં ફેરવાઈ જશે. આ ચક્રવાતની ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ તેની અસર જોવા મળશે. વાવાઝોડા સાથે પડશે ભારે વરસાદ વરસવાની સંભાવના છે.
હવામાન વિભાગે જણાવ્યું કે 7 જૂન સુધી ચક્રવાત બાઈપરજોયના કારણે વાવાઝોડા સાથે ભારે વરસાદ પડશે. પવનની ઝડપ 50 કિમી પ્રતિ કલાકની રહી શકે છે. ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ભારે પવનની સાથે વરસાદ પડી શકે છે. આ સાથે પાટણ, મોડાસા, મહેસાણા સહિત અન્ય વિસ્તારોમાં પણ વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
દેશમાં ચોમાસાના આગમનની ઘડીઓ વચ્ચે ગુજરાત પર તોળાઇ રહ્યું છે વાવાઝોડાનું સંકટ. અરબ સાગર પર સર્જાયેલું ડીપ ડિપ્રેશન ચક્રવાતી તોફાન ‘બિપરજોય’માં પરિવર્તિત થયું છે. આ તોફાન હાલ પોરબંદરથી 1110 કિલોમીટર દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ, ગોવાથી 900 કિલોમીટર પશ્ચિમ- દક્ષિણ પશ્ચિમ, મુંબઇથી 1030 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમ, અને કરાંચીથી 1410 કિલોમીટર દક્ષિણે કેન્દ્રિત છે. આજે બપોર બાદ આ સિસ્ટમ ઉત્તર તરફ આગળ વધીને તીવ્ર ચક્રવાતી તોફાનમાં પરિણમે તેવી પૂરી શક્યતા છે.
Published On - 6:28 am, Wed, 7 June 23