વલસાડના ડુંગરી ફળીયા વિસ્તારમાં મદીના મસ્જિદ નજીક આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં મોડીરાત્રે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગ એટલી વિકરાળ હતી કે અંદાજે 20થી 25 જેટલા ગોડાઉન બળીને ખાક થઈ ગયા. ગોડાઉનમાં રહેલા પ્લાસ્ટિકના બેગ અને કેમિકલના ડ્રમને કારણે આગ ઝડપથી પ્રસરી ગઈ, જેના કારણે વિસ્તારમાં અફરાતફરી અને દોડધામ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 7 ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી, જોકે આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે.
બનાસકાંઠાના અંબાજી પંથકમાં આગાહી મુજબ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. કાળા ડિબાંગ વાદળો છવાતા વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો હતો અને કેટલીક જગ્યાઓએ ઝરમર વરસાદ પણ નોંધાયો. ભર ઉનાળામાં પડેલા આ કમોસમી વરસાદને કારણે ચોમાસાની જેવી ઠંડક અનુભવાઈ રહી છે. વાતાવરણમાં ઠંડક ફેલાતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને ટર્ફની અસરના કારણે આજે અને આવતીકાલે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણ સહિત અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી છે. આ દરમિયાન 30થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. સાથે જ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો નોંધાઈ શકે છે, જેના કારણે આગામી ચાર દિવસ સુધી ગરમીમાંથી રાહત મળવાની શક્યતા છે. ઉપરાંત, 2 એપ્રિલે ફરીવાર વરસાદી માહોલ સર્જાઈ શકે છે.
પર્યટન સ્થળે દીવ અને દેશની આર્થિક રાજધાની મુંબઈ વચ્ચેની કનેક્ટિવિટીમાં વધારો થયો છે. નવી મુંબઈથી દીવ ની વધુ એક ઈન્ડિગોની ફલાઈટનો પ્રારંભ થતાં મુસાફરોની સુવિધા વધશે. હવે નવી મુંબઈથી દીવ અને દીવથી નવી મુંબઈ દરરોજ 72 મુસાફરની ક્ષમતાની ફ્લાઈટ ઉડાન ભરશે. દીવ-મુંબઈ ફ્લાઇટ માટે ટિકિટના દર અંદાજે 6 હજારથી 7 રૂપિયાની આસપાસ રહેશે. આ નવી સેવા શરૂ થવાથી વ્યવસાયિકો અને પર્યટકોને મુંબઈ પહોંચવામાં ઘણો સમય બચશે. ઉપરાંત વીકેન્ડ દરમિયાન દિવ આવતા પર્યટકો માટે આ ફ્લાઇટ આશીર્વાદરૂપ સાબિત થશે.
દેશમાં ઊર્જા સંકટ વચ્ચે ભારત માટે સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. 94 હજાર મેટ્રિક ટન LPG સાથે વધુ 2 જહાજ ભારત પહોંચી રહ્યા છે.. જેમાં BW TYR અને BW ELM નામના બે જહાજનો સમાવેશ થાય છે.. આ બંને ભારતીય જહાજોએ હોર્મુઝ સ્ટ્રેટ પાર કર્યું છે. BW TYR જહાજ 31 માર્ચ સુધીમાં મુંબઈ પહોંચે તેવી શક્યતા. જ્યારે BW ELM નામનું જહાજ 1 એપ્રિલ સુધીમાં ભારત આવી શકે.. શક્ય છે કે આ બંનેમાંથી એક જહાજ ગુજરાતના કચ્છ નજીક આવેલા મુન્દ્રા પોર્ટ પર પહોંચશે. તો દરિયામાં કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે નૌસેનાના પાયલોટિંગ સાથે જહાજ લવાઇ રહ્યા છે.
યુદ્ધની સ્થિતિ અને ગેસ સંકટ વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો છે અને કેરોસીન વિતરણના નિયમો હળવા કર્યા છે. કેન્દ્રના નવા નિર્ણય મુજબ હવે પેટ્રોલ પંપો પર કેરોસીનનું વિતરણ કરાશે. એટલે કે હવે દરેક જિલ્લામાં બે પેટ્રોલ પંપો કેરોસીનનું વિતરણ કરવામાં આવશે. સાથે જ દરેક પેટ્રોલ પંપ 5 હજાર લીટર સુધી કેરોસીનનો સ્ટોક રાખી શકશે. પેટ્રોલિયમ અધિનિયમ, 1934 અને પેટ્રોલિયમ નિયમો, 2002 હેઠળ આપવામાં આવેલી સત્તાનો કેન્દ્ર સરકારે ઉપયોગ કર્યો છે અને 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કેટલાક નિયમોમાં અસ્થાયી છૂટછાટ આપવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે.
ભાવનગર અને નવી મુંબઈ વચ્ચેની દૈનિક વિમાની સેવાનો ભવ્ય પ્રારંભ થયો. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે. રામમોહન નાયડુ, કેન્દ્રીય પ્રધાન નિમુબેન બાંભણીયાની ઉપસ્થિતિમાં ભાવનગરથી નવી મુંબઈ વચ્ચે ઇન્ડિગો એરલાઇન્સની પ્રથમ ફ્લાઇટને લીલી ઝંડી આપવામાં આવી.ઈન્ડિગો દ્વારા દરરોજ સવાર-સાંજ બે ફ્લાઇટ સંચાલિત કરવામાં આવશે, જેનાથી શહેરના હીરા ઉદ્યોગ, શિપ બ્રેકિંગ યાર્ડ અને વેપાર-રોજગારને નવી ગતિ મળશે..ભાવનગરથી સવારે 8:35 કલાકે અને રાત્રે 8.50 વાગ્યે એમ બે ફ્લાઇટ નવી મુંબઈ માટે ઉડાન ભરશે. કેન્દ્રીય ઉડ્ડય પ્રધાને ભાવનગરવાસીઓને નવી વિમાની સેવા માટે શુભકામના પાઠવી અને કહ્યું કે 12 વર્ષ પહેલાનો જે પ્રયાસ હતો કે સામાન્ય માણસ માટે પણ હવાઈ મુસાફરી કરી શકે. તે સપનું આપણે છેલ્લા 10 વર્ષમાં સાચું થતું જોયું છે..તેમણે આ માટે વડાપ્રધાન મોદીના વિઝનની પ્રશંસા કરી.
આજે 30 માર્ચને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:15 am, Mon, 30 March 26