દેશને રાજ્યના મહત્વના સમાચારોની વાત કરીએ તો 17 વર્ષ બાદ T-20 વર્લ્ડ કપમાં ઈન્ડિયા ફરી વિશ્વ ચેમ્પિયન બન્યુ છે. અત્યંત રસાકસી ભરેલી મેચમાં દક્ષિણ આફ્રિકાને કચડી ભારતે વર્લ્ડ કપ ટ્રોફી પોતાને નામ કરી છે. દેશના અન્ય સમાચારો પર નજર કરીએ તો દિલ્હી સીએમ કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટે 14 દિવસના રિમાન્ડ પર મોકલ્યા છે. 3 દિવસની કસ્ટડી પૂર્ણ થતા CBIએ તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા, રાજ્યના હવામાનની વાત કરીએ તો આજથી સાત દિવસ સુધી સમગ્ર રાજયમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. બનાસકાંઠા, આણંદ, ભરૂચ, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે
રાજ્યમાં ચોમાસું બરાબરનું જામ્યું છે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યના જુદા-જુદા વિસ્તારોમાં ઝરમરથી લઈને ભારે વરસાદ પડી રહ્યો છે. આગામી દિવસોમાં ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે ત્યારે તંત્રએ આગમચેતીના ભાગરૂપે તમામ તૈયારીઓ કરી લીધી છે. ભાવનગરમાં હાલ NDRFની 30 સભ્યોની ટીમ ખડેપગે છે. સંભવિત વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે NDRFની ટીમ સ્ટેન્ડ બાય છે.
જૂનાગઢના ગાદોઈ ટોલનાકા પર માથાકૂટનો મામલે કોડીનારના PI ભોજાણી સહિત 22 લોકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ
કરાઈ છે. તમામ લોકો વિરૂદ્ધ રાયોટિંગ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. PI સહિતના આરોપીઓને ઝડપી પાડવા પોલીસ તપાસ શરૂ કરી છે. પોલીસ અધિકારી અને ટોલકર્મી વચ્ચે પોલીસ અધિકારીને કાર્ડ બતાવવાનું કહેતા માથાકૂટ થઇ હતી.
T20 વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ BCCIએ ટીમ ઈન્ડિયા માટે 125 કરોડ રૂપિયાની ઈનામી રકમની જાહેરાત કરી છે. બીસીસીઆઈ સચિવ જય શાહે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. તેણે કહ્યું કે ટીમે સમગ્ર ટુર્નામેન્ટમાં અસાધારણ પ્રતિભા, નિશ્ચય અને ખેલદિલીનું પ્રદર્શન કર્યું છે. આ અદ્ભુત સિદ્ધિ માટે તમામ ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફને અભિનંદન.
I am pleased to announce prize money of INR 125 Crores for Team India for winning the ICC Men’s T20 World Cup 2024. The team has showcased exceptional talent, determination, and sportsmanship throughout the tournament. Congratulations to all the players, coaches, and support… pic.twitter.com/KINRLSexsD
— Jay Shah (@JayShah) June 30, 2024
ખેડા જિલ્લાના માતર તાલુકાના મહેલજ ગામે વીજ કરંટ લાગવાથી માતા-પુત્ર સહિત ત્રણ જણાના મોત થયા છે. માતરના મહેલજ ગામે દુકાનનું શટર ખોલવા જતા ચાર વ્યક્તિને કરંટ લાગ્યો હતો. ચારેયને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યા તબીબે ત્રણ જણાના મોત થયા હોવાનું જાહેર કર્યું હતું. જ્યારે એકને સારવાર આપીને બચાલી લેવાયો છે.
ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત પર PM મોદીનું ટ્વીટ આવ્યું છે. પીએમ મોદીએ કહ્યું કે રવિન્દ્ર જાડેજા, તમે ઓલરાઉન્ડર તરીકે અસાધારણ પ્રદર્શન કર્યું છે. ક્રિકેટ પ્રેમીઓ તમારા સ્ટાઇલિશ સ્ટ્રોક પ્લે, સ્પિન અને શાનદાર ફિલ્ડિંગની પ્રશંસા કરે છે. છેલ્લા ઘણા વર્ષોમાં તમારા શાનદાર T20 પ્રદર્શન માટે આભાર. તમારા ભવિષ્યના પ્રયાસો માટે મારી શુભેચ્છાઓ.
Dear @imjadeja,
You have performed exceptionally as an all-rounder. Cricket lovers admire your stylish stroke play, spin and superb fielding. Thank you for the enthralling T20 performances over the years. My best wishes for your endeavours ahead.
— Narendra Modi (@narendramodi) June 30, 2024
સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં પડેલા સામાન્ય વરસાદે બજારમાં ઢીંચણસમા પાણી ભરાઈ જવા પામ્યા છે. અડધા ઈંચ વરસાદમાં પાણી ભરાતા તંત્રની પ્રી-મોન્સૂન કામગીરી પર સવાલ ઉભા થયા છે. માત્ર કાગળ પર જ પ્રીમોન્સૂન કામગીરી કરી હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.
આગામી 3 કલાક માટે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જે પૈકી અમદાવાદ, કચ્છ. સુરેન્દ્રનગર, મોરબીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 3 કલાકમાં અમદાવાદ સહિત ત્રણ જિલ્લામાં 60 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વીજળીના કડાકા સાથે વરસી શકે ભારે વરસાદ.
કડીમાં વરસેલા વરસાદથી નીચાણવાળા વિસ્તારની અનેક સોસાયટીમાં આવેલા ઘરોમાં પાણી ભરાયાં છે. કડીના કરનનગર રોડ પર આવેલી સોસાયટીના ઘરોમાં પાણી ભરાઈ જવાની ફરિયાદ ઉઠી છે. તોકડી શહેરમાં ઠેર ઠેર રોડ ઉપર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા છે. હોસ્પિટલ, માર્કેટ યાર્ડ રોડ, એસવી રોડ સહિતના રોડ ઉપર પાણી ભરાયા છે. કડી થોળ રોડ ઉપર આવેલા અન્ડરબ્રીજમાં પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે.
અમદાવાદમાં માત્ર દોઢ કલાક વરસેલા ભારે વરસાદને કારણે, શહેરના મીઠાખળી અને અખબાર નગર અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે મીઠાખળી અને અખબાર નગર અંડર બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે.
અમદાવાદમાં છેલ્લા દોઢ કલાકથી વરસી રહેલા ભારે વરસાદને કારણે, શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે. શહેરના રાજમાર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળ્યાં છે. જેના કારણે વરસાદી પાણીના નિકાલ માટે સાબરમતી નદી ઉપર આવેલ વાસણા બેરેજના ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે.
અમદાવાદના શેલા વિસ્તારમાં ઠેર ઠએર પાણી ભરાયા છે. મુખ્ય રસ્તા પર દોઢ ફુટના પાણી ભરાયા છે. ક્લબ O7 પાસે એકથી દોઢ ફુટ સુધી પાણી ભરાયા છે. આસપાસની સોસાયટીમાં પણ પાણીનો ભરાવો થયો છે. સમત્વ સોસાયટીમાં વરસાદી પાણીનો ભરાવો થતા 2 થી 2.5 ફુટ સુધી પાણી ભરાયા છે. વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજની કોઈ સુવિધા ન હોવાથી ઠેર-ઠેર જળભરાવની સ્થિતિ સર્જાઈ છે. જેમા અનેક લોકોના વાહનો ફસાઈ જતા લોકોએ ધક્કા મારી બહાર કાઢવાની ફરજ પડી છે.
રાજ્યમાં આગામી ત્રણ કલાક ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી કલાકોમાં 60 કિલોમાટરની ઝડપે પવન ફુંકાઈ શકે છે. મેઘરાજા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને ઘમરોળશે. રાજ્યમાં હાલ 134 તાલુકામાં મેઘરાજાની તોફાની બેટીંગ યથાવત છે. સૌથી વધુ સુરતના પલસાણામાં 5.5 ઈંચ વરસાદ પડયો છે તો બારડોલીમાં 5 ઈંચ અને 4.5 ઈંચ વરસાદ ખાબક્યો છે
અમદાવાદમાં વરસેલા ભારે વરસાદે મનપાની પ્રિમોન્સુન કામગીરીના જાણે લીરેલીરા ઉડાડી દીધા છે. YMCAથી સાઉથ બોપલને જોડતા રોડ પર ગટરો ઉભરાઈ છે. સાઉથ બોપલને જોડતા રોડ પર ચાર જગ્યા પર ગટરના પાણી બેક મારી રહ્યા છે. જેના કારણે ગટરના પાણી રસ્તા પર ફરી વળ્યા છે.
વલસાડના વાપીમાં બે કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. વાપીમાં 4 ઈંચથી વધુ વરસાદ પડતા વાપી શહેર પાણી-પાણી થયુ છે. 2 કલાકમાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. વાપીના સ્ટેશન રોડ, ચલા વિસ્તાર, વાપી દમણ રોડ પર પાણી ભરાયા છે. રેલવે અંડર પાસ પણ પાણીમાં ગરકાવ થયો છે. વાપીના મુખ્ય રસ્તા પર પાણી ભરાતા દુકાનો અને ઘરોમાં પાણી ભરાયા છે. દુકાનદારો અને સ્થાનિકો પરેશાન થયા છે. પહેલા વરસાદમાં જ વાપી નગરપાલિકાની પ્રિમોન્સુન કામગીરીની પોલ ખૂલી ગઈ છે.
શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા વાહનચાલકોને પારાવાર પરેશાની થઈ રહી છે. વલસાડથી ખેરગામને જોડતો અંડરપાસ પણ ઠપ્પ થયો છે. ધરમપુરને જોડતા મુખ્ય માર્ગ પર પાણી ભરાતા વાહનચાલકોને ભારે હાલાકી પડી રહી છે. ભાગડાવાડા વિસ્તારમાં સોસાયટીઓ અને ઘરમાં વરસાદી પાણી ઘુસ્યા છે.
ભાગડાવાળા ગ્રામ પંચાયતની પ્રિમોનસુન કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે.
વડોદરામાં છાણી બાજવા રોડ પર રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જતા ગરનાળાને વાહનવ્યવહાર માટે બંધ કરાયુ છે. ત્યારે વાહનચાલકોને ભારી હાલાકી પડી રહી છે. વોટર પંપ મુકી ગરનાળામાંથી પાણી કાઢવાની માગ ઉઠી છે. સામાન્ય વરસાદમાં જ ગરનાળુ ભરાઈ જતા તંત્રની કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે.
અમરેલીના લાઠી પંથકમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે. લાઠી તેમજ આસપાસના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. છભાડિયા ગામની સ્થાનિક નદીમાં હાલ ઘોડાપૂરની સ્થિતિ છે. કેટલાક લોકો પાણી નજીક જઈને જીવના જોખમે વીડિયો લેતા જોવા મળ્યા હતા. જો કોઈ દુર્ઘટના ઘટી તો જવાબદાર કોણ એ મોટો સવાલ છે.
ભુજમાં સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે. જો કે થોડા વરસાદમાં જ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. લોકો વરસાદની મજા માણતા જોવા મળ્યા હતા. તો ભુજમાં દર વર્ષે ભરાતા પાણીની સમસ્યા જૈસે થે સ્થિતિ જ છે. બસ સ્ટેશ અને વાણિયાવાડ વિસ્તારમાં પાણી ભરાયા છે. કચ્છના નખત્રાણા અને માંડવી વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો છે.
અમરેલીના મોટા કુંકાવાવ ગામે સવારના પાંચ વાગ્યાથી મેઘરાજાએ બેટીંગ શરૂ કરી છે અને 4 કલાકમાં દોઢથી બે ઈંચ વરસાદ ખાબકી ગયો છે. કુંકાવાવ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સતત બીજા દિવસે વરસાદી માહોલ છવાયો છે. વડિયા, કુંકાવાવ, જીથુડી, લુણીધાર, રાંઢીયા, દેવગામ, માયાપાદર, માલવાણ, જેવા ગામોમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો. જાથુડી ગામની સ્થાનિક નદીમાં પૂરની સ્થિતિ છે. હાલ કાચા સોના સમાન ધીમી ધારનો વરસાદ વરસતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમના ત્રીજા કાર્યકાળમાં પ્રથમવાર મન કી બાત કરી. ત્રણ મહિનાના અંતરાલ બાદ પીએમ મોદીએ 111મી વાર મન કી બાત કરી. મનકી બાતમાં પીએમ મોદીએ આગામી મહિનાથી શરૂ થનારી પેરિસ ઓલિમ્પિક માટે ભારતીય ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે #CheerForBharatના હેશટેગ અંગે જાણકારી આપી.
રોહિત -કોહલીને અભિનંદન, સૂર્યાના કેચની પ્રશંસા, દ્રવિડનો આભાર, પીએમ મોદીએ ટીમ ઈન્ડિયા સાથે કંઈક આ અંદાજમાં વાત કરી. ટીમ ઈન્ડિયાની શાનદાર જીત બાદ પીએમ મોદીએ ફોન કરી ટીમ ઈન્ડિયાને અભિનંદન આપ્યા. તેમણે હાર્દિક પંડ્યાની અંતિમ ઓવર અને સૂર્ય કુમારના જાદુઈ કેચની પ્રશંસા કરી. તેમણે જસપ્રીત બુમરાહના યોગદાનની પણ પ્રશંસા કરી.
સુરત ગ્રામ્યમાં પણ વહેલી સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. બારડોલી, કડોગરા, પલસાણા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગ્રામ્યના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. બારડોલીમાં ગટર બેક મારતા પાણી રસ્તા પર ફરી વળ્યા છે. ઠેર ઠેર ગટરના પાણી ઉભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક વાહનો પાણીમાં ગરકાવ થયા છે. ભારે જળભરાવની સ્થિતિને પગલે રોડ પર નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો જોવા મળી રહ્યા છે.
ગોધરાના NEETની પરીક્ષા માટે ફાળવાયેલા જય જલારામ પરીક્ષા કેન્દ્રમાં સામે આવેલી ગેરરીતિ બાદ રાજ્ય સરકાર દ્વારા CBIને તપાસ સોંપવામાં આવી છે. આ કેસમાં 4 આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરાઈ છે. 10 થી વધુ તપાસ અધિકારીઓની ટીમ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે. CBI દ્વારા પૂછપરછ કરાયા બાદ તમામ આરોપીઓને ગોધરા સર્કિટ હાઉસમાં લાવવામાં આવ્યા છે. CBI આ ચારેય આરોપીઓને સાથે રાખઈી અલગ અલગ જગ્યાઓ પર તપાસ કરશે.
અમરેલીમાં રાત્રિના વિરામ બાદ ફરી મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ શરૂ કરી છે. બાબરા પંથકમાં વહેલી સવારથી જ વરસાદ શરૂ થયો છે. સારા વરસાાદને કારણે ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. તો ભારે વરસાદને પગલે શહેરમાં ઠેર ઠેર જળભરાવની સમસ્યા સામે આવી છે.
દ્વારકામાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે પવન અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જગતમંદિરે વૈકલ્પિક જગ્યાએ ધજા ચડાવવામાં આવી છે ભારે પવન અને વરસાદને કારણે શિખર પર ચડવુ શક્ય ન હતુ. સુરક્ષા કારણોસર મંદિરના શિખર પર ચડવુ મુશ્કેલ હોવાથી ધજા અન્ય સ્થળ પર ચડાવાઈ છે.
સુરતમાં સવારથી જ મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરી રહ્યા છે. વહેલી સવારથી ધોધમાર વરસાદની શરૂઆત થતા સુરતના રસ્તાઓ પાણી-પાણી થયા છે. રસ્તાઓ પર કમર સુધીના પાણી ભરાઈ જતા વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરના ડભોલી, સિંગણપોર, કતારગામ ડભોલી અને સિંગણપોર સહિતના વિસ્તારોમાં ભારે જળભરાવની સ્થિતિ છે.
સુરતના કામરેજમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદને પગલે NH 48ના સર્વિસ રોડ પર પાણી ભરાયા છે. ચોમાસા પહેલા કરોડોના ખર્ચે બનાવેલી ગટર બનાવી હોવા છતા સર્વિસ રોડ પાણીમાં ગરકાવ થયો છે. જેના પગલે રોડ બંધ કરવો પડ્યો છે.
સમસ્ત રાજપૂત સમાજના સહિયારા પ્રયાસથી સુરેન્દ્રનગર જિલ્લાના વસ્તડી ગામ ખાતે માતા ભવાનીનું ભવ્ય મંદિર આકાર લઈ રહ્યું છે.120 કરોડનો ખર્ચે તૈયાર થઈ રહેલુ આ ભવાનીધામ મંદિરમાં 8500 ટન મકરાણા આરસ પહાણનો ઉપયોગ કરાશે.મંદિરની ઊંચાઈથી વાત કરીએ તો એ 133 ફૂટ હશે જ્યારે મંદિરની લંબાઈ 257 ફૂટ હશે. મંદિરની પહોળાઈ 221 ફૂટ હશે. કુલ 124 સ્તંભ પર આ ભવ્ય મંદિર આકાર લેશે. મંદિરમાં એક સાથે 1500 જેટલા ભક્તો દર્શન કરી શકે તેવી વ્યવસ્થા હશે. 32 એકરની વિશાળ જગ્યામાં મંદિર ઉપરાંત શૈક્ષણિક તાલિમ સેન્ટર, આરોગ્ય કેન્દ્ર, યાત્રી નિવાસ યજ્ઞશાળા અને ભોજનશાળાનું પણ નિર્માણ કરાશે.
અમદાવાદમાં વૃક્ષોના સતત થઈ રહેલા નિકંદનનો વિરોધ કરવામાં આવ્યો. અમદાવાદના પાંજરાપોળ વિસ્તારમાં વૃક્ષો બચાવવા આંદોલન કરવામાં આવ્યુ, વૃક્ષ બચાવો મહાઅભિયાન સાથે એક્ઠા થયેલા લોકોએ વૃક્ષ બચાવો સહિતના બેનર અને પ્લેકાર્ડ સાથે દેખાવો કર્યા. ઓવરબ્રિજની કામગીરીને કારણે વર્ષો જૂના વૃક્ષોના નિકંદનનો નિર્ણય લેવાયો છે, જેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
T-20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ વિરાટ કોહલી અને રોહિત શર્માએ T-20માંથી સંન્યાસની જાહેરાત કરી છે. રોહિત શર્માની કેપ્ટનશિપમાં ભારતીય ટીમે ઈતિહાસ રચ્યો છે. ભારતીય ટીમે શનિવારેના રોજ T20 વર્લ્ડ કપની ફાઈનલમાં સાઉથ આફ્રિકાને 7 રનોથી માત આપી છે. આ જીત સાથે જ 140 કરોડ ભારતીયો જશ્ન મનાવી રહ્યા છે. દેશભરમાં જ્યારે દિવાળી ઉજવાઈ રહી છે ત્યારે ટીમ ઈન્ડિયાના યૌદ્ધાઓ મેદાન પર ભાવુક થયા હતા. રોહિત શર્મા હોય કે વિરાટ કોહલી દરેક પ્લેયરની આંખો ભીની થતી જોવા મળી હતી.જીત બાદ કરોડો હિન્દુસ્તાનીઓના હિરો એવા રોહિત શર્માએ કહ્યું કે આ પળ માટે અમે છેલ્લા ત્રણ વર્ષથી મહેનત કરતા હતા અને આખરે એ પળ આવી ગયો. સાથે જ તેમણે તેમના ક્રિકેટ કરિયરની શરૂઆત પણ 2007ના વર્લ્ડકપથી કરી હતી તે પળને પણ વાગોળ્યા હતા.આ તરફ છેલ્લી ઓવરમાં ટીમ ઈન્ડિયાને ઐતિહાસિક જીત અપવાનાર ગુજરાતનો લાલ હાર્દિક પડ્યાએ જીત બાદ કહ્યું કે આ જીતને 140 કરોડ હિન્દુસ્તાનીઓ વર્ષો વરસ યાદ રાખશે.
છેલ્લા 24 કલાકમાં રાજ્યના 191 તાલુકામાં મેઘમહેર થઈ છે. સૌથી વધુ ભાવનગરના મહુવામાં પોણા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. જામનગરના ધ્રોલમાં 2.5 ઈંચ વરસાદ થયો છે. વલસાડના ઉમરગામ અને ભરૂચના વાગરામાં 2 ઈંચથી વધુ વરસાદ થયો છે. રાજ્યના 31 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ થયો છે. રાજ્યમાં સિઝનનો સરેરાશ 9.25 ટકા વરસાદ થયો છે. સૌથી વધુ કચ્છમાં 14.60 ટકા વરસાદ થયો છે. તો ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો ફક્ત 4.24 ટકા વરસાદ થયો છે.
અમદાવાદમાં વરસાદી પાણીના નિકાલ અંગે વિવાદ સર્જાયો છે. વાસણા બેરેજના દરવાજાના સમારકામ માટે ધારાસભ્ય અમિત શાહે જળ સંપત્તિ વિભાગને પત્ર લખ્યો છે. દર વર્ષે 1 જૂન પહેલા સમારકામ થતુ હોય છે પરંતુ હજુ સુધી દરવાજાનું સમારકામ કેમ થયુ નથી, જો સમયસર દરવાજો ન ખૂલે તો પાણી નિકાલની સમસ્યા સર્જાય. સંબંધિત અધિકારી પાસે અહેવાલ માગી તપાસ કરવાની માગણી કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ રાજકોટના ધોરાજીમાં વહેલી સવારથી જ વરસાદનું આગમન થયુ છે. ધોરાજીમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયુ છે. ધોરાજીના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો, જેમા સુપેડી, નાની વાવડી, મોટી વાવડી અને તોરણિયા સહિતના ગામોમાં મેઘમહેર થઈ છે. જાડિયા, હડમતિયા અને મોટી મારડ સહિતના ગામોમાં પણ વરસાદે જમાવટ બોલાવી હતી.
શૈક્ષણિક સત્ર શરૂ થયાને કેટલાંક દિવસ થઇ ગયા છે. હજી પણ અમદાવાદની 70 ટકા પ્રિ-સ્કૂલોમાં તાળાબંધી જોવા મળી રહી છે. ફાયરની સુવિધા, NOC અને તેના નિયમોનું પાલન નહીં થવા બાબતે તંત્રએ પ્રિ-સ્કૂલોને સીલ કરી હતી. જે હજી સુધી ખોલવામાં નથી આવી. સુરત, રાજકોટ અને ગાંધીનગરમાં 60 દિવસની સમય મર્યાદા સાથે સ્કૂલોને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. માત્ર અમદાવાદમાં જ મંજૂરી નથી અપાઇ. જેથી શૈક્ષણિક કામગીરી શરૂ નથી થઇ શકી. અને તેના જ કારણે અંદાજિત 1 લાખ બાળકોનું શિક્ષણ અટવાયું છે. ત્યારે, પ્રિ-સ્કૂલના સંચાલકોમાં પણ ભારે નારાજગી છે. તેમનું કહેવું છે કે, તેમણે ફાયરની સુવિધાના નિયમોનું પાલન કરવા પણ તૈયારી દર્શાવી છે. છતાં મનપા કમિશનર પ્રિ-સ્કૂલ સંચાલકોની રજૂઆત સાંભળવા તૈયાર નથી.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે. આગામી 6 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર,ગીર – સોમનાથમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદમાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ જામનગરમાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તો આ ઉપરાંત ગાંધીનગરમાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. ભાવનગરમાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ રાજકોટમાં 33 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.
Published On - 8:02 am, Sun, 30 June 24