આજે 28 મેને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
ગુજરાતમાં ફરી એકવાર ગરમીનો પારો ઉંચકાયો છે. હવામાન વિભાગ રાજ્યમાં આગામી દિવસોમાં માવઠાની આગાહી કરે છે પરંતુ રાજ્યના અનેક શહેરોમાં અસહ્ય ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. 28 મેને ગુરુવારના રોજ, અમદાવાદમાં ગરમીનો પારો 44.4 ડિગ્રીએ પહોચ્યો છે તો સુરેન્દ્રનગરમાં 44.7 ડિગ્રી, જે સમગ્ર રાજ્યનું સૌથી વધુ તાપમાન છે. ગુજરાતના હરિયાળા પાટનગર એવા ગાંધીનગરમાં પણ ગરમીનો પારો ઉચકાઈને 43.5 ડિગ્રીએ પહોચ્યો છે. રાજકોટમાં 43.6 ડિગ્રી ગરમી નોંધાઈ છે. ભાવનગરમાં 42.8 ડિગ્રી, અમેરલીમાં 41.9 ડિગ્રી, ડીસામાં 42.2 ડિગ્રી ગરમી નોંધાઈ છે.
કોમનવેલ્થ, પોલીસ ફાયર ગેમ્સ અને ઓલિમ્પિક્સની તૈયારીઓને લઈને સરકાર એક્શનમાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાઈ છે. અમદાવાદ યોજાનાર કોમનવેલ્થ ગેમ્સ , સંભવિત ઓલિમ્પિક ગેમ્સ અંતર્ગત બેઠકનું આયોજન. આવનાર વર્ષમાં વિશ્વ પોલીસ અને ફાયર ગેમ્સનું પણ અમદાવાદ આયોજન. 2030 માં અમદાવાદ યોજાનાર કોનવેલ્થ ગેમ્સ લઈને મહત્વપૂર્ણ બેઠક. હાલની સ્થિતિ અને આગામી સમયની તૈયારીઓને લઈને પ્રેઝન્ટેશન.
ત્વિષાના અપમૃત્યુના કેસ સંદર્ભમાં ત્વિષા શર્માની સાસુ ગિરિબાલા સિંહની સીબીઆઈએ આજે ધરપકડ કરી છે. જબલપુર હાઈકોર્ટે ગઈકાલે મોડી રાત્રે, ગિરિબાલાની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.
ઈડરના ઝીંઝવા ગામમાં આવેલ મંદિરના મહંતની હત્યાના સાત માસ બાદ હત્યારાઓ ઝડપાયા છે. ચોરીના ઇરાદે આવેલ આરોપીઓએ મહંતની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે પાંચેય આરોપીઓની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
બનાસકાંઠામાં આજે બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. ભારે પવન અને ધૂળની ડમરી ઉડતા, લોકો પરેશાન થઈ ઉઠ્યા હતા. અસહ્ય ઉકળાટ વચ્ચે બદલાયેલા વાતાવરણથી ગરમીનો પારો ગગડ્યો. ભારે પવનથી ઉભા પાકને નુકસાનની ભીતિ ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં કમલમ ખાતે બેઠક યોજાઈ છે. બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યાં છે. પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર પણ હાજર રહ્યાં છે. મહામંત્રી અનિરુદ્ધ દવે, પ્રશાંત કોરાટ, અજય બ્રહ્મભટ્ટ અને હિતેન્દ્ર ચૌહાણ પણ ઉપસ્થિત. ભાજપના વરિષ્ઠ નેતા સુરેન્દ્ર પટેલની પણ ઉપસ્થિતી રહી છે બેઠકમાં.
વર્તમાન સમયના પરિપેક્ષ્યમાં બેઠકમાં થઈ શકે ચર્ચા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભવ્ય જીત બાદ હોદેદારો સાથે મહત્વની બેઠક. પ્રધાનમંત્રી મોદીના 12 વર્ષની ઉજવણી અંગે રૂપરેખા અંગે થઈ શકે ચર્ચા.
અરવલ્લી SPએ બે પોલીસકર્મીઓને કર્યા સસ્પેન્ડ છે. બાયડના નારાજીના મુવાડાની સીમમાં LCBની હાઉસ રેઇડ મામલે કાર્યવાહી. આરોપીના ઘર પાસેથી LCB ની રેઇડમાં 8.26 લાખ કિંમતની 2382 દારૂની બોટલનો જથ્થો મળી આવ્યો હતો. બાયડ પોલીસ સ્ટેશનના બીટ જમાદાર અને ASIને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કર્યા. SP મનોહરસિંહ જાડેજાએ બંને પોલીસ કર્મીઓને સસ્પેન્ડનો હુકમ કર્યો. 3 દિવસ પહેલા LCBએ પાડી હતી રેડ.
ગીરમાં સિંહોના આરોગ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને વન વિભાગ દ્વારા વિશેષ વેક્સીનેશન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સિંહોમાં રોગચાળો ફેલાવાની આશંકાને પગલે વન વિભાગ સક્રિય બન્યું છે અને સિંહોને વેક્સીન સાથે જરૂરી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે. સાથે જ ડી-ટીકિંગ કામગીરી પણ હાથ ધરવામાં આવી છે, જેથી સિંહોને ચેપી રોગોથી સુરક્ષિત રાખી શકાય. વન વિભાગ દ્વારા સિંહોના હેલ્થ ચેકઅપ સાથે સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. ગીરના સિંહોની સુરક્ષા અને આરોગ્ય જાળવવા માટે આ ખાસ અભિયાન મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં યુવતીના અપહરણની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધોળા દિવસે બનેલી આ ઘટનામાં ક્રેટા કારમાં આવેલા ચાર લોકોએ યુવતીનું અપહરણ કર્યું હોવાનું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ, કારમાં ત્રણ યુવક અને એક યુવતી સામેલ હતા. આરોપીઓ ઘરમાં ઘૂસીને સાસુની હાજરીમાં જ વહુનું અપહરણ કરીને ફરાર થઈ ગયા હતા. પ્રાથમિક તપાસમાં યુવતીનો પૂર્વ પ્રેમી આ ઘટનામાં સંડોવાયેલ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ચોંકાવનારી બાબત એ છે કે ગઈકાલ સાંજ સુધી સમગ્ર ઘટનાથી સાબરમતી પોલીસ અજાણ હોવાનું સામે આવ્યું છે.
ગીર વિસ્તારમાં સિંહોના મોતના મામલે ગાંધીનગરની વનવિભાગની ઉચ્ચસ્તરીય ટીમ ગીર જંગલમાં પહોંચી છે. PCCF, CCF અને એનિમલ સિનિયર ડોક્ટર સહિતની ટીમો જસાધાર પહોંચી સમગ્ર પરિસ્થિતિની સમીક્ષા કરી રહી છે. CDV નામના ચેપી રોગની આશંકાને ધ્યાનમાં રાખીને ગીર પૂર્વ અને ગીર પશ્ચિમ બોર્ડર વિસ્તારમાં તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જસાધાર એનિમલ કેર સેન્ટરમાં મૃત્યુ પામેલા સિંહોના મામલે અધિકારીઓએ બેઠક યોજી હતી તેમજ ઓબ્ઝર્વેશન હેઠળ રહેલા અન્ય સિંહોની સ્થિતિ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા ગીર જંગલ આસપાસના અન્ય અધિકારી અને સ્ટાફને પણ જસાધાર બોલાવવામાં આવ્યા છે.
નર્મદા જિલ્લામાં વરખડ ગામેથી નશાકારક પદાર્થ મળ્યાના મામલે સાંસદ Mansukh Vasavaએ પોલીસને આડે હાથ લીધી છે. પોલીસની નિષ્ફળતા સામે લાલઘૂમ બનેલા મનસુખ વસાવાએ દારૂ અને નશાકારક પદાર્થના કારોબાર મુદ્દે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આક્ષેપ કર્યો કે, પોતાની રજૂઆત છતાં પોલીસે આ મામલે યોગ્ય ધ્યાન આપ્યું નહોતું. મનસુખ વસાવાના જણાવ્યા અનુસાર, તેમણે પત્ર લખ્યા બાદ માત્ર એક સપ્તાહમાં જ દારૂનો કારોબાર વધુ ધમધમતો થયો હતો. સાંસદે પોલીસ પર કાર્યવાહી ન કરવાની અને રજૂઆતો અવગણવાની પણ ગંભીર આક્ષેપો કર્યા છે.
સુરેન્દ્રનગર મહાનગરપાલિકામાં મેયર અને ડેપ્યુટી મેયરના નામોની જાહેરાત કરવામાં આવી છે. શહેરના પ્રથમ મેયર તરીકે રાકેશ રાઠોડની વરણી કરવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે સ્મિતા રાવલના નામની જાહેરાત થઈ છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિખિલ ચાંપાનેરીની પસંદગી કરવામાં આવી છે. મનપાના દંડક તરીકે સ્વાતિ માંડલિયાની નિમણૂંક કરવામાં આવી છે, જ્યારે શાસક પક્ષના નેતા તરીકે પીન્ટુ અસાણિયાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. પ્રથમ વખત બનેલી સુરેન્દ્રનગર મહાનગરપાલિકાને તેના પ્રથમ મેયર અને પદાધિકારીઓ મળતા રાજકીય વર્તુળોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
અમરેલી જિલ્લામાં ગીર પશ્ચિમ અને ગીર પૂર્વ વિસ્તારમાં સિંહોના મોતનો મામલો ગંભીર બનતો જઈ રહ્યો છે. જસાધાર એનિમલ કેર સેન્ટરમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવેલા વધુ એક સિંહનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, સિંહોમાં CDV નામનો ગંભીર ચેપી રોગ ફેલાયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે મૃત્યુઆંક હજુ વધે તેવી શક્યતા છે. સિંહોના મોતના આંકડા છુપાવ્યાના આક્ષેપો સામે આવતા વન વિભાગના અધિકારીઓ પર પણ લાલઆંખ કરવામાં આવી છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અનુભવી ACF, RFO અને વન કર્મચારીઓને તાત્કાલિક જસાધાર રેન્જમાં હાજર થવા હુકમ કરવામાં આવ્યો છે. ACF રાજન જાદવ સહિત 5 RFO અને 11 અનુભવી વન કર્મીઓ ટૂંક સમયમાં જસાધાર પહોંચશે.
મહેસાણાના કડી ખાતે તાલુકા પંચાયત કચેરી બહાર ગેસ પાઈપલાઈનમાં ભંગાણ થતા આગની ઘટના સામે આવી છે. પાણીની લાઈનના સમારકામ દરમિયાન ગેસની લાઈન તૂટી જતા આગ ભભૂકી ઉઠી હતી, જેના કારણે વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. ઘટનાસ્થળે UGVCL, પાલિકા અને સાબરમતી ગેસના કર્મીઓ કામ કરી રહ્યા હતા. આગની ઘટનામાં બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સાથે જ પાણીની લાઈનનું સમારકામ કરતું JCB પણ આગની ઝપેટમાં આવ્યું હતું. આગને કારણે નજીકમાં આવેલા બે વૃક્ષો પણ બળીને ખાખ થઈ ગયા હતા. આગ પર કાબૂ મેળવવા ફાયર બ્રિગેડની બે ટીમોએ તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી.
વડોદરાના નવાપુરા વિસ્તારમાં મકાનના સોદાને લઈ વિવાદ સર્જાયો છે. ગોદડીયાવાસ વિસ્તારમાં મુસ્લિમ પરિવારને મકાન વેચાણના મુદ્દે સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. હિન્દુ બહુલ વિસ્તારમાં સમાજની સહમતી વગર મકાનનો સોદો કરાયો હોવાનો આક્ષેપ કરી કેટલાક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન થયેલી મારામારીમાં એક યુવક ઘાયલ થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે સમગ્ર મામલે એક યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સાથે જ લોકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરવામાં આવી છે.
સાબરકાંઠાના વિજયનગર વિસ્તારમાં અંધશ્રદ્ધાના કારણે ચકચારી હત્યાની ઘટના સામે આવી છે. ગાડી ગામે આધેડ પર કુહાડી વડે હુમલો કરી તેમની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, મૃતકની પત્નીને ડાકણ હોવાની શંકા રાખીને 12 શખ્સોએ હુમલો કર્યો હતો. આ દરમિયાન આધેડ પોતાની પત્નીને બચાવવા વચ્ચે પડતાં આરોપીઓએ તેમના પર પણ કુહાડીથી જીવલેણ હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓ થતાં આધેડનું સારવાર દરમિયાન 7 દિવસ બાદ મોત થયું હતું. આ ઘટનામાં અન્ય બે વ્યક્તિઓને પણ ઈજાઓ પહોંચી છે. પોલીસે સમગ્ર મામલે 12 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરામાં શહેરના 31મા મેયર તરીકે ગીતા મકવાણાની વરણી કરવામાં આવી છે. સાથે જ ડેપ્યુટી મેયર તરીકે આદિત્ય પટેલના નામની જાહેરાત કરવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે વર્ષા વ્યાસની નિમણૂંક કરવામાં આવી છે. શાસક પક્ષના નેતાની જવાબદારી શ્વેતા માછીને સોંપવામાં આવી છે, જ્યારે દંડક તરીકે વિજય ચૌહાણની નિયુક્તિ કરવામાં આવી છે. નવા પદાધિકારીઓની જાહેરાત બાદ શહેરની રાજકીય ગતિવિધિઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
અમદાવાદના ન્યૂ વટવા વિસ્તારમાં ચકચારી હત્યાનો બનાવ સામે આવ્યો છે. સાંતેજ હોમ્સમાં ભરૂચના એક યુવકની હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન છે. મળતી માહિતી મુજબ, યુવકનો મૃતદેહ ઘરમાંથી બાંધેલી હાલતમાં કોહવાયેલો મળી આવ્યો હતો, જેથી તેની હત્યા થોડા દિવસ પહેલા થઈ હોવાનું માનવામાં આવે છે. મકાન માલિકે આ મકાન ચાર યુવકોને ભાડે આપ્યું હતું, જેમાં રાજુ, કિશન, રવિકુમાર અને સૂરજ નામના શખ્સોની શોધખોળ શરૂ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં નિવૃત્ત DYSP અશોકસિંહ ચૌહાણ સામે ફાયરિંગના ગંભીર આરોપો હેઠળ ફરિયાદ નોંધાઈ છે. જાહેરમાં પાંચ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા હોવાના મામલે સેટેલાઈટ પોલીસે હત્યાની કોશિશ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. મળતી માહિતી મુજબ, જમીન વિવાદને લઈને આ ફાયરિંગની ઘટના બની હતી. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
કેનેડામાં વધુ એક ગુજરાતી યુવતીની હત્યાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. આણંદ જિલ્લાના બોરસદની 22 વર્ષીય યુવતીની ચપ્પુના ઘા મારી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. યુવતી છેલ્લા ચાર વર્ષથી કેનેડાના Niagara Region વિસ્તારમાં રહેતી હતી અને અભ્યાસની સાથે નોકરી પણ કરતી હતી. મળતી માહિતી મુજબ, 15 મેના રોજ અમેરિકન બોર્ડર નજીક આ હત્યાની ઘટના બની હતી. સ્થાનિક પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. યુવતીના અચાનક મોતના સમાચાર મળતા પરિવાર અને સગાસંબંધીઓમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
બનાસકાંઠામાં શંકાસ્પદ ઘીના કારોબારનો પર્દાફાશ થયો છે. SOGએ પેટ્રોલિંગ દરમિયાન એક પીકપ વાનને રોકી તપાસ કરતાં તેમાંમાંથી 170થી વધુ ઘીના ડબ્બા મળી આવ્યા હતા. ઘી શંકાસ્પદ લાગતા પોલીસે સમગ્ર જથ્થો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘી ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને કોને પહોંચાડવાનું હતું તે અંગે વાહનચાલકની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઘટનાને પગલે પોલીસે પુરવઠાની ચેઇન અને સંડોવાયેલા લોકો સુધી પહોંચવા તપાસ તેજ કરી છે.
મહીસાગરના વિરપુરમાં ફેસબુક સ્ટોરી મૂકવાની અદાવતમાં હુમલાની ઘટના સામે આવી છે. ભાજપના નેતા અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન Pinakin Shukla સહિત ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ, ફેસબુક પર ફોટા કેમ મૂક્યા તે મુદ્દે બોલાચાલી બાદ આરોપીઓએ લોખંડની પાઇપ અને દંડા વડે જીવલેણ હુમલો કર્યો હતો. સાથે જ હુમલા દરમિયાન લેપટોપ અને મોબાઈલની લૂંટ ચલાવ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ઘટનાને પગલે પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે.
અમદાવાદના વટવા વિસ્તારમાં બીબી તળાવ પાસે ખાડાના સમારકામ દરમિયાન એક ક્રેન ખાડામાં ખાબકવાની ઘટના સામે આવી છે. આશરે એક મહિના પહેલા પડેલા ખાડાનું સમારકામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક જમીન ધસી જતા ક્રેન ખાડામાં ફસાઈ ગઈ હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ, અગાઉ પણ આ જ ખાડામાં એક બાઇક ખાબકી હતી, જેના કારણે વિસ્તારમાં સુરક્ષાને લઈને સવાલો ઉઠ્યા છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ તંત્રની કામગીરી સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
મહીસાગરના વિરપુરમાં ફેસબુક સ્ટોરી મૂકવાની અદાવતમાં હુમલાની ઘટના સામે આવી છે. ભાજપના નેતા અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન Pinakin Shukla સહિત ચાર શખ્સો સામે મારામારી અને હુમલાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ મુજબ, ફેસબુક પર ફોટા કેમ મૂક્યા તે બાબતે બોલાચાલી બાદ લોખંડની પાઇપ અને દંડા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. સાથે જ હુમલાખોરોએ લેપટોપ અને મોબાઈલની લૂંટ ચલાવ્યાનો પણ આરોપ છે. ઘટનાને પગલે પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
પાલીતાણાની પવિત્ર શેત્રુંજી નદીમાં દારૂની બોટલ સાથે યુવકોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવાદ સર્જાયો છે. વીડિયોમાં કેટલાક યુવકો નદીમાં નાહતા જોવા મળી રહ્યા છે અને તેમની પાસે દારૂની બોટલ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો સામે આવતા જૈન સમાજમાં ભારે રોષ ફેલાયો છે. જૈન સમાજના આગેવાનોએ આ મામલે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. પવિત્ર ધાર્મિક સ્થળ સાથે જોડાયેલા વિસ્તારમાં આવી ઘટના સામે આવતા લોકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. જોકે, TV9 આ વાયરલ વીડિયોની પુષ્ટી કરતું નથી.
કેન્દ્રીય ગૃહપ્રધાન Amit Shah આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. તેમના પ્રવાસ દરમિયાન તેઓ ગાંધીનગર અને અમદાવાદ જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરશે. સવારે 11 વાગ્યે ગાંધીનગરના વડસરમાં જેડવા ગામ તળાવ અને કવિ નર્મદ લાઇબ્રેરીનું લોકાર્પણ કરવામાં આવશે. ત્યારબાદ ખાત્રજ ખાતે તળાવ બ્યુટિફિકેશનના કામનું ખાતમુહૂર્ત કરશે તેમજ કલોલના મોટી ભાયણ ગામે નવનિર્મિત પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરશે. બપોરે ગાંધીનગરમાં વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યા બાદ સાંજે સોલા સ્થિત ઉમિયાધામ પરિસરમાં હોસ્ટેલનું ઉદ્ઘાટન કરશે. દિવસના અંતે સર્કિટ હાઉસ ખાતે ઓલિમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સના આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાશે.
Published On - 7:26 am, Thu, 28 May 26