ગુજરાત સરકાર પોલીસ અને SRPમાં અગ્નિવીરોને પ્રાથમિકતા આપશે. તો ઉત્તરપ્રદેશમાં પોલીસ ભરતીમાં અગ્નિવીરોને મળશે.પોલીસ ભરતી-બઢતી મુદ્દે સરકારની નીતિ પર હાઇકોર્ટે સવાલ ઉઠાવ્યા છે.હાઇકોર્ટે કહ્યું, સીધી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવા સરકાર શું કરી રહી છે, સીધું કહો ક્યારે કરશો ભરતી ? નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જાહેર કર્યું NEET-UGનું ફાઇનલ પરિણામ આવ્યુ 4 લાખ ઉમેદવારોના રેંકમાં ફેરફાર થયો છે. 61ના સ્થાને હવે માત્ર 17 જ ટોપર છે. દક્ષિણ ગુજરાત અને વડોદરામાં પૂરનો પ્રકોપ. પાંચ હજારથી વધુનું સ્થળાંતર થયુ છે. તો 133 લોકોને રેસ્ક્યુ કરાયાં છે. નવસારીમાં પૂર્ણા નદીનો કહેર જોવા મળી રહ્યો છે. 40 ટકા શહેર પાણીમાં ગરકાવ થતા 35 હજારથી વધુ પ્રભાવિત છે. એક મહિલાનું મોત થયુ છે. NDRF દ્વારા રેસ્ક્યૂ કામગીરી હાથ ધરાઇ છે.
અમેરિકામાં ગેરકાયદે રીતે ઘૂસવાનો પ્રયાસ કરતા ઉત્તર ગુજરાતના 150થી વધુ ગુજરાતી ઝડપાયા છે. અમેરિકામાં ઘૂસવા જતા પોલીસના હાથે રંગે હાથે ઝડપાઈ ગયા છે. મેક્સિકો બોર્ડરથી ઘૂસવાનો પ્રયાસ કરતા હતા એ દરમિયાન ત્યાંની પોલીસે તેમની ધરપકડ કરી છે. અમેરિકાની એજન્સીના હાથમાં આવેલા તમામ શખ્સોને ભારત ડીપોર્ટ કરવામાં આવશે.
રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદી માહોલ રહેશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. અમદાવાદમાં અતિભારે વરસાદ પડવાની વકી છે. કાલે વડોદરા, છોટાઉદેપુરમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં પણ અતિભારે વરસાદની શક્યતા છે. નર્મદા, ભરૂચ, સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે. ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદમાં પણ ભારે વરસાદની શક્યતા છે. આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે.
સુરતમાંથી દુબઈ સાથે સંકળાયેલુ વધુ એક સાયબર ક્રાઈમ રેકેટ ઝડપાયુ છે. પોલીસે આંતરરાષ્ટ્રીય કૌભાંડ કરતી ગેંગ ઝડપી પાડી છે. લોકોને લાલચ આપી ડોક્યુમેન્ટ લઈ બેંક એકાઉન્ટ ખોલાવતા હતા અને તેમની પાસબુક, ATM કાર્ડ, સીમકાર્ડ, અને યુઝરનેમ-પાસવર્ડ દુબઇ મોકલતા હતા. અલગ અલગ બેંકમાં ખાતુ ખોલાવી પૈસાનું ટ્રાન્જેક્શન કરતા હતા. દુબઈમાં ગેમિંગ, ક્રિપ્ટો કરન્સીના રોજના 20 લાખ ટ્રાન્જેક્શન કરતા હતા. પાલીસે સાયબર ક્રાઈમ રેકેટ સાથે સંકળાયેલા 6 આરોપીની ધરપકડ કરી છે.
ફ્રાન્સના પેરિસમાં ખેલજગતના મહાકુંભ ઓલિમ્પિકનો પ્રારંભ થઈ ચુક્યો છે. ત્યારે ભારત તરફથી ઓલિમ્પિકમાં ગુજરાતની નારી શક્તિ ડંકો વગાડે તેવો સૌને આશાવાદ છે..અમદાવાદની ઈલાવેનિલ વલારીવન ઓલિમ્પિકમાં શુટિંગ ઇવેન્ટમાં જોવા મળશે. આવતીકાલે પેરિસ ઓલિમ્પિકની 10 મીટર એરરાઇફલ શુટિંગમાં ભાગ લેશે. ઈલાવેનિલ ક્વોલિફાય રાઉન્ડ ક્લિયર કરશે તો સોમવારે ફાઈનલમાં રમતી જોવા મળશે. ઓલિમ્પિકમાં તેમની પુત્રી મેડલ લાવશે તેવો આશાવાદ ઈલાવેનિલના માતાએ વ્યક્ત કર્યો છે.
નવસારીમાં આવેલા ભયાવહ પૂર બાદ વહીવટી તંત્ર એક્શનમાં આવ્યુ છે અને 396 સફાઈ કર્મચારીઓ સફાઈ કામગીરીમાં જોતરાયા છે. અન્ય નગરપાલિકાના કર્મચારીઓની પણ મદદ લેવાઈ છે. પૂર્ણાના પૂરના કારણે 1.5 લાખ લોકો અસરગ્રસ્ત થયા છે. પૂર દરમિયાન 3700 લોકોને સ્થળાંતરિત કરાયા છે. ગંદકીના સામ્રાજ્યને દૂર કરવા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે.
સુરેન્દ્રનગર: લીંબડી સર્કલ પાસે ઓવરબ્રિજ પર ગાબડું પડ્યુ છે. લીંબડી-અમદાવાદ નેશનલ હાઇવે પર 10 ફૂટનું ગાબડું પડ્યુ છે. મસમોટું ગાબડું પડતા એક તરફનો માર્ગ બંધ કરાયો છે. લોકોએ ઓવરબ્રિજની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે. તંત્ર અને કોન્ટ્રાક્ટરની મિલિભગત હોવાનો આક્ષેપ છે.
દિલ્લી: PM મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠક સંપન્ન થઇ છે. નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલ નવમી બેઠક સંપન્ન થઇ છે. CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના વિકાસ અંગે નિવેદન આપ્યું છે. મુખ્યમંત્રીએ જણાવ્યુ કે ગુજરાત@2047નો ડાયનેમિક ડોક્યુમેન્ટ-રોડમેપ તૈયાર કર્યો છે. વિકસિત ભારત 2047ના PMના સંકલ્પને સાકાર કરવા ગુજરાત પ્રતિબદ્ધ છે. ગુજરાતને 2047 સુધી 3.5 ટ્રિલિયન US ડોલરની અર્થવ્યવસ્થા બનાવવા નેમ છે. અર્નિંગ વેલ અને લિવિંગ વેલ પર આધારિત રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે.
રાજકોટઃ TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ તંત્રએ તવાઇ બોલાવી છે. જન્માષ્ટીના 5 દિવસના લોકમેળા માટે નિયમો બનાવાયા છે. વેપારીઓએ સુરક્ષા માટે 44 નિયમોનું પાલન કરવું પડશે. નિયમોનું પાલન કરવા સોગંદનામું કરવું ફરજિયાત રહેશે. રૂ. 50ના સ્ટેમ્પ પેપર વેપારીએ સોગંદનામું કરવું ફરજિયાત છે. લોકમેળામાં 25 લાખથી વધુ લોકો ઊમટે તેવી શક્યતા છે.
મહારાષ્ટ્રમાં મુંબઈને અડીને આવેલા પાલઘર જિલ્લામાં એક માલગાડી પાટા પરથી ઉતરી ગઈ છે. પાલઘરના બોઈસર રેલવે સ્ટેશન પર માલગાડીના કેટલાક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.
જમ્મુ-કાશ્મીરના કુપવાડામાં ફરી સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ થઇ છે. જેમાં એક જવાન શહીદ થયો છે અને એક આતંકી ઠાર થયો છે.
બનાસકાંઠા: ચાંદીપુરા વાયરસના કેસ વધતા આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યુ છે. ચાંદીપુરા વાઇરસને લઈ પુનાની ટીમ પાલનપુર પહોંચી છે. પાલનપુર વોર્ડ નં. 2 માં વાઇરસથી થયેલા મોતને લઈ સર્વે કર્યો. સાંસદ ગેનીબેન ઠાકોરે ચાંદીપુરા વાઇરસને લઈ સવાલ ઉઠાવતા ટીમ પાલનપુર પહોંચી છે. વાઇરસથી 3 બાળકોના મોત, જ્યારે 3 સારવાર હેઠળ છે.
તાપીના સોનગઢ ખાતે યોજાયો વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો. ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં અનેક વૃક્ષો રોપવામાં આવ્યા. ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત આ ક્રાર્યક્રમનું આયોજન કરાયું અને મા સમાન ધરતી માતા અને પર્યાવરણનું જતન કરવા સંદેશો આપ્યો. ઉપરાંત, SRP સહિતની ભરતીમાં અગ્નિવીરને પ્રાધાન્ય આપવા મુદ્દે CMના ટ્વીટ અંગે પણ પ્રતિક્રિયા આપી. હર્ષ સંઘવીએ કહ્યું કે, આગામી દિવસોમાં GR બહાર પાડવામાં આવશે. રાજ્યમાં SRP અને અન્ય ફોર્સમાં જગ્યા રાખવા બાબતે તેમણે મુખ્યપ્રધાનનો આભાર પણ માન્યો.
વડોદરા ભાજપના 5 કોર્પોરેટરને ગાંધીનગરનું તેડું આવ્યુ છે. બીરેન શાહ, દાનિયલ સૈયદ, કાજલ દુલાણી, ઇઝરાયલ પારખીવાલા, દક્ષા રબારીને પણ નોટિસ ફટકારવામાં આવી છે. ડ્રેનેજના ઢાંકણા ફીટ કરવાના કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચારની રાવ ઉઠી છે. ટેન્ડર પ્રક્રિયા વિના લાખોની ખરીદી કરાઇ હોવાની રાવ છે. 2019ના તત્કાલીન ચીફ ઓફિસર સામે આક્ષેપ છે. ચીફ ઓફિસર એસ.કે. ગરવાલ સામે કારસ્તાનના આક્ષેપ છે. 9.29 લાખનું બિલ કોન્ટ્રાક્ટરને અપાયું હોવાના આક્ષેપ છે.
મહેસાણા: સતલાણાના મોટા કોઠાસણા ગામના ખેડૂતો ઉપવાસ પર ઉતર્યા છે. રેલવે વિભાગે જમીનનું વળતર નહીં ચૂકવતા ઉપવાસ પર ઉતર્યા છે. 100 જેટલા ખેડૂતોનું સામુહિક ઉપવાસ આંદોલન છે. મહેસાણા તારંગા અંબાજી રેલ પ્રોજેક્ટમાં ખેડૂતોની જમીન સંપાદન કરાઈ છે. 5 મહિના છતાં વળતરની રકમ ન મળતા ખેડૂતો રોષ જોવા મળી રહ્યો છે. દસ દિવસમાં વળતર નહીં ચૂકવાય તો પ્રાંત કચેરી આગળ ઉપવાસની ચીમકી છે.
સુરત: શહેરમાં ભારે વાહનોનો ત્રાસ વધ્યો છે. સાયણથી સુરત આવતી ટ્રકોમાં જોખમ તોળાઈ રહ્યું છે. બેફામ ટ્રક ચાલકોને કારણે વાહનચાલકોને અકસ્માતનો ભય છે.
અકસ્માત થાય તો જવાબદાર કોણ તે સવાલ છે.
નવી મુંબઈ: બેલપુર વિસ્તારમાં ચાર માળની ઇમારત ધરાશાયી થઇ છે. બે વ્યક્તિઓને બચાવી લેવાયા છે. અન્યની શોધખોળ શરૂ કરવામાં આવી છે. વહેલી સવારે 5 વાગ્યે જ ઇમારત ધરાશાયી થતા અનેક લોકો દબાયા છે. NDRFની ટીમ દ્વારા કાટમાળ ખસેડવાનો શરૂ કરાયુ છે.
દિલ્લી : PM મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠક મળવાની છે. 9મી ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની થીમ ‘વિકસિત ભારત-2047’ છે. CM ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપ શાસિત રાજ્યોના તમામ મુખ્યપ્રધાનો ઉપસ્થિત રહેશે. શિક્ષણ, આરોગ્ય, અર્થવ્યવસ્થા સહિતના ક્ષેત્રોના વિકાસનો રોડમેપ બનશે. I.N.D.I.A ગઠબંધને બેઠકનો બોયકોટ કર્યો. પશ્ચિમ બંગાળના CM મમતા બેનર્જી બેઠકમાં સામેલ રહેશે.
વડોદરાઃ ચાંદીપુરા વાયરસનો કેર યથાવત્ છે. SSG હોસ્પિટલમાં 25 દિવસમાં 24 બાળકો સારવાર હેઠળ છે. 10બાળકોના શંકાસ્પદ બાળકના મોત થયા છે. 5 બાળકો ICUમાં દાખલ છે. દાખલ બાળકોમાં 5 બાળકોમાં ચાંદીપુરા પોઝિટિવ છે. હજુ 9 બાળકોના રિપોર્ટ પેન્ડિંગ છે.
બનાસકાંઠા: અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા ચાર દિવસ બંધ રહેશે. 30 જુલાઈથી 2 ઓગસ્ટ સુધી રોપ-વે બંધ રહેશે. ગબ્બર રોપ-વે મેન્ટેનન્સની કામગીરીને લઈ સેવા બંધ રખાશે. ચાર દિવસ ભક્તો પગથિયા ચઢી પગપાળા ગબ્બર ઉપર જઈ શકશે. 3 ઓગસ્ટથી રોપ-વેની સેવાઓ ફરી રાબેતા મુજબ શરૂ થશે.
બનાસકાંઠા: વડગામમાં મનરેગા યોજનામાં કૌભાંડની આશંકા છે. 5 તાલુકા વિકાસ અધિકારીઓને તપાસ સોંપાઇ છે. પાંચ ટીમ મનરેગાના કામોની તપાસ કરશે. TDO તપાસ બાદ જિલ્લા વિકાસ અધિકારીને રિપોર્ટ સોંપશે.
Published On - 7:38 am, Sat, 27 July 24