
આજે 26 જૂનને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
આવતીકાલે ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા નગરચર્યાએ નીકળે તે પૂર્વે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, સરસપુર રણછોડરાય મંદિરે પહોચ્યા હતા. ભગવાનના મોસાળ સરસપુર ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું ઉમળકાભેર સ્વાગત કરાયું. સરસપુર સ્થિત ભગવાન રણછોડરાયના મંદિરે ભૂપેન્દ્ર પટેલે વિશેષ પૂજા અર્ચના કરી હતી. રથયાત્રાના ઇતિહાસમાં પ્રથમ વાર મુખ્યમંત્રીએ સરસપુરની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે, ભજન સંધ્યા બાદ સરસપુર રણછોડરાય મંદિર દર્શન કર્યા હતા.
સુરેન્દ્રનગરના ચોટીલા પ્રાંત અધિકારીએ ગેરકાયદેસર ખનીજ ચોરી પર કાર્યવાહી હાથ ધરી રૂપિયા 1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પ્રાંત અધિકારી અને તેમની ટીમ થાનગઢના ભાડુલા વિસ્તારમાં ચેકીંગ કરી રહી હતી, ત્યારે ભડુલા ગામની સીમમાં સરકારી જમીનમાં કાર્બોસેલ ભરેલ એક બીન વારસી ટ્રક મળી આવ્યો હતો. તેમજ અલગ અલગ કાર્બોસેલ કાઢવા કરેલ ગેરકાયદેસર પાંચ સુરગો મળી આવી હતી. જેથી પ્રાંત અધિકારીની ટીમ એ પાંચ નંગ ચરખી, કાર્બોસેલ ભરેલ ટ્રક, 50 મેટ્રીક ટન કાર્બોસેલ સહીત કુલ રૂપિયા 1.10 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીની શોધખોળ હાથ ધરી છે.
રથયાત્રાની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિર પહોચ્યા હતા. મુખ્યમંત્રીએ જગન્નાથ મંદિરમાં દર્શન કરી સંધ્યા આરતીમાં લીધો ભાગ હતો.
તાપી ડાંગ અને સુરત જિલ્લામાં વરસેલા ભારે વરસાદને પગલે નવસારી શહેર નજીકથી વહેતી પૂર્ણા નદીની જળ સપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાં દેમાર વરસાદના કારણે સપાટીમાં વધારો થતા નવસારી મહાનગરપાલિકા તંત્ર દોડતું થયું છે. 23 ફૂટ ભયજનક સપાટી ધરાવતી પૂર્ણા નદી હાલ 17 ફુટ પર વહી રહી છે જેને લઇને નીચાણ વાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં અસામાજિક તત્વો અને ગેરકાયદે દબાણ સામે કડક કાર્યવાહી ચાલી રહી છે. ગુનેગારોને સ્પષ્ટ ચેતવણી આપતા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે, રાજ્યમાં પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની ઝુંબેશ ચાલુ જ રહેશે. આ અભિયાનના ભાગરૂપે, આજે ૧૦૭ ગુનાઓમાં સંડોવાયેલા જૂનાગઢના કારા રબારીના આલિશાન બંગલો ઉપર અને તેના વૈભવી ફાર્મ હાઉસ ઉપર બુલડોઝર ફેરવી ગેરકાયદે દબાણોને તોડી પાડીને સરકારી જમીનને દબાણમુક્ત કરવામાં આવી છે, જેથી તેનો ઉપયોગ નાગરિકોની સુખાકારી માટે થઈ શકે. કારા રબારી સામે અત્યાર સુધીમાં કુલ 107 ગુનાઓ નોંધાયેલા છે, જેમાં 4 ખૂન, 3 ખૂનની કોશિશ, 4 અપહરણ, 10 લૂંટ, 6 પોલીસ ફરજમાં રૂકાવટ, 4 બળજબરીથી કઢાવી લેવું, 25 મારામારી, 46 પ્રોહિબિશન, 1 હથિયાર ધારા અને 4 અન્ય ગુનાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેની સામે બે વખત PASA હેઠળ કાર્યવાહી થઈ છે અને તેની ગેંગ સામે ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ (GCTOC) હેઠળ પણ ગુનો નોંધાયો છે.
અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148 મી રથયાત્રા નગરયાત્રાએ નીકળે તે પૂર્વે કોંગ્રેસના નેતાઓએ આજે રથ પૂજા કરી હતી. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ વિપક્ષના નેતાઓ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા, ભ્રાતા બલરામના રથનું પૂજન કરતા હોય છે. વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડા, હિંમતસિંહ પટેલ સહિતના નેતાઓ જગન્નાથ મંદિરે આવીને પૂજા કરી હતી. ભગવાનના દર્શન બાદ અમિત ચાવડાએ કહ્યું કે, ગુજરાતનીજનતાની સુખાકારી, સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી છે. ધર્મ ભાષાના ભેદભાવ વગર લોકો સાથે મળી રાજ્યના વિકાસમાં યોગદાન આપે એવી પ્રાર્થના કરવામાં આવી છે. તમામ લોકોને ભગવાન જગન્નાથની રથયાત્રાની શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
રથયાત્રાને ધ્યાનમાં રાખીને રેલવે મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે, ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા 27 જૂન 2025 ના રોજ અમદાવાદમાં કાઢવામાં આવશે. આ પ્રસંગે શહેરના વિવિધ રૂટ પર ટ્રાફિક નિયંત્રણ અને રૂટ ડાયવર્ઝન કરવામાં આવશે, જેના કારણે ટ્રાફિક પ્રભાવિત થઈ શકે છે. પશ્ચિમ રેલવે અમદાવાદ ડિવિઝન તમામ રેલવે મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ સંભવિત ટ્રાફિક જામને ધ્યાનમાં રાખીને સ્ટેશન માટે ઘરેથી વહેલા નીકળે જેથી તેઓ સમયસર તેમની નિર્ધારિત ટ્રેન પકડી શકે. રેલ મુસાફરોની સુવિધા અને સરળ મુસાફરી માટે આ સાવચેતીભરી સલાહ આપવામાં આવી રહી છે. મુસાફરો પાસેથી સહકારની અપેક્ષા છે.
એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાની તપાસમાં એક મોટી સફળતા મળી છે. સરકારે ગુરુવારે જણાવ્યું હતું કે વિમાનના બ્લેક બોક્સમાંથી ડેટા સફળતાપૂર્વક ડાઉનલોડ કરવામાં આવ્યો છે અને તેનું વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. 12 જૂને લંડન ગેટવિક જઈ રહેલું બોઇંગ 787-8 વિમાન અમદાવાદથી ઉડાન ભર્યા પછી તરત જ મેડિકલ હોસ્ટેલ સંકુલમાં ક્રેશ થયું હતું, જેમાં 270 થી વધુ લોકો માર્યા ગયા હતા. આમાં વિમાનમાં સવાર 241 લોકોનો પણ સમાવેશ થાય છે.
AAPના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઉમેશ મકવાણાને પક્ષ વિરોધી પ્રવૃત્તિના આક્ષેપ સાથે સસ્પેન્ડ કરાયા છે. AAP સામે ઊભરો ઠાલવ્યાના ગણતરીના કલાકોમાં જ ઉમેશ મકવાણાને સસ્પેન્ડ કરાયા. ઉમેશ મકવાણાએ AAPના નેતાઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી. ઉમેશ મકવાણાએ વિધાનસભા દંડક અને AAPના તમામ પદેથી રાજીનામું આપ્યું છે.
અમદાવાદ: રથયાત્રા પૂર્વે ઘી કાંટા વિસ્તારમાં મેગા મોકડ્રિલ યોજાઈ. ફાયર, પોલીસ, મેડિકલ, સિવિલ ડિફેન્સ દ્વારા મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યુ. ફાયરના આધુનિક સાધનો સાથે મોકડ્રિલ યોજાઈ. દુર્ઘટના સમયે કઈ રીતે કામગીરી કરવી તે અંગે માર્ગદર્શન અપાયું. બિલ્ડિંગની અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી કરી. સાંકડા રસ્તાઓમાંથી લોકોને કઈ રીતે બચાવવા તેની તૈયારી કરી. આગ જેવી ઘટનામાં લોકોને કઈ રીતે બચાવવા તેની તાલીમ અપાઈ.
સુરત: મહુવામાં વહેલી સવારે બે કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. છેલ્લા 3 દિવસથી મહુવા તાલુકામાં સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદથી મહુવાનાં મુખ્ય માર્ગો જળમગ્ન થયા છે. મહુવાથી અનાવલ તરફ જવાનો રસ્તો પાણી પાણી થયો છે. કાછલ ગામ પાસે પણ ઘૂંટણ સમા પાણી ભરાયા છે. સાવચેતી ભાગ રૂપે બેરીકેટ મૂકી રસ્તો બંધ કરાયો છે.
પાટણઃ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. પાટણમાં 1 કલાકમાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભારે વરસાદથી પાટણમાં જળબંબાકારની સ્થિતિ છે. રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા થયાં છે. આનંદ સરોવર વિસ્તારમાં ઘુંટણસમા પાણી ભરાયા છે. પાટણમાં પ્રવેશ માટેના મુખ્ય ગરનાળામાં પાણી ભરાયા છે.
અમદાવાદઃ વરસાદે વિરામ લીધાના કલાકો બાદ પણ CTMમાં પાણી ભરાયેલા છે્. CTMની રાજેશ પાર્ક સોસાયટીમાં પાણી ભરાયા. લોકો ઘરની છત પર રહેવા મજબૂર બન્યા છે. પાણીની વચ્ચે જ લોકોએ રાત વિતાવવી પડી. લોકોએ બહારથી જમવાનું મંગાવવું પડ્યું. લોકોએ પોતાની ઘરવખરી ઘરની બહાર મૂકી દીધી.
નવસારી શહેર અને જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે. નવસારીના 6 તાલુકામાં સાર્વત્રિક વરસાદ છે. જલાલપોર, ગણદેવી, ચીખલી, ખેરગામમાં વરસાદ વરસ્યો. 24 કલાકમાં વાંસદામાં સાડા ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. પાણી ભરાતા 11 જેટલા રસ્તાઓ બંધ થયા છે.
જૂનાગઢ જિલ્લામાં પણ વરસાદી માહોલ જામ્યો છે.જૂનાગઢ શહેર અને જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે.માળિયાહાટીનામાં ધોધમાર વરસાદ ખાબક્યો.માળિયાહાટીના અને આસપાસના વિસ્તારોમાં વાવણીલાયક વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે.
ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લાના ઘોલથીરમાં આજે સવારે એક મોટો અકસ્માત થયો. અલકનંદા નદીમાં એક આખી બસ ડૂબી ગઈ. લગભગ પાંચ લોકો બહાર ફેંકાઈ ગયા હોવાના અહેવાલ છે. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માતની માહિતી મળતાં સુરક્ષા એજન્સીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. જોકે, હજુ સુધી વહીવટી પુષ્ટિ કરવામાં આવી નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, આ અકસ્માત બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર થયો હતો.
ભાવનગર શહેરમાં આવતીકાલે 40મી રથયાત્રા યોજાશે. રથયાત્રાના 17.5 કિલોમીટરના રૂટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળશે. રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થામાં 14 ડિ.વાયા.એસ.પી, 44 પી.આઇ., 112 પી.એસ.આઇ, 1હજાર 910 પોલીસ કોસ્ટબલ અને 1હજાર 155 હોમગાર્ડના જવાનો તૈનાત રહેશે. આ સિવાય સી.આઇ.એસ.એફની એક કંપની તથા એસઆરપી 5 કંપની પણ તૈનાત રહેશે. ભાવનગર પોલીસે બંદોબસ્તને લઈ આખરીઓપ આપી ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ પણ યોજી ત્રણ અલગ અલગ જિલ્લામાંથી બોમ્બ સ્કવોર્ડે પણ મોરચો સંભાળી લીધો છે.
દાહોદમાં વરસેલા ધોધમાર વરસાદ દરમિયાન કાળી ડેમ પાસે પાણીની સપાટી અચાનક વધી જતા 3 લોકો ફસાયા. ફાયર વિભાગને આ વાતની જાણ થતા તાત્કાલિક એક્શન લઈ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી. ભારે જહેમત બાદ ત્રણેય લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું.
વડોદરા: ખાદ્ય પદાર્થમાંથી ફરી જીવાત નીકળી. વાઘોડિયા રોડ પરની મહાવીર આઈસ્ક્રીમ દુકાનમાં આઈસ્ક્રીમમાં મરેલી હાલતમાં જીવાત નીકળી. જીવાત નીકળવા મુદ્દે ગ્રાહકે આરોગ્ય વિભાગમાં ફરિયાદ કરી છે.
Published On - 7:20 am, Thu, 26 June 25