ભરૂચની ધોળીકુઈ બજારમાં મહાદેવ મંદિર નજીક નશામાં ધૂત કારચાલકે લોકો અને રોડ પરના વાહનોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં કેટલાક લોકો ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. નશાબાજ કારચાલકે રોડ પર ઊભેલા તેમજ પસાર થઈ રહેલા અનેક વાહનોને પણ અડફેટે લેતા વાહનોને નુકસાન થયું હતું. પ્રાથમિક માહિતી મુજબ કારચાલક બુટલેગરનો પુત્ર હોવાનું સામે આવ્યું છે. ઇજાગ્રસ્તોની ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે અને કારચાલક સામે ગુનો દાખલ કરવાની કવાયત હાથ ધરવામાં આવી રહી છે.
બ્રાઝીલમાં હવાઈ મથક પરથી ઉડાણ ભર્યા બાદ માત્ર 15 મિનિટમાં જ એક નાના પ્લેનમાં આગ લાગી હતી. મેઈન્ટેનન્સ માટે પ્લેને ઉડાણ ભરી હતી, પરંતુ હવામાં જ આગ લાગતા પાઈલોટે તાત્કાલિક ઈમરજન્સી સિસ્ટમ સક્રિય કરી હતી. સિસ્ટમ શરૂ થતાં પ્લેનની ઉપરનું પેરાશૂટ ખુલી ગયું હતું, જેના કારણે પ્લેન ધીમે ધીમે જમીન તરફ આવ્યું અને સુરક્ષિત રીતે લેન્ડ થયું. આ ઘટનામાં પાઈલોટનો જીવ બચી ગયો હતો, જોકે જમીન પર લેન્ડ થયા બાદ પ્લેન સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયું હતું.
અમદાવાદમાં વરસાદે વિરામ લેતા જ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાએ માથું ઉચક્યું છે. શહેરમાં ડેન્ગ્યુના 147, સાદા મેલેરિયાના 76 અને ઝેરી મેલેરિયાના 14 કેસ નોંધાયા છે. આ ઉપરાંત વાયરલ ફીવર તેમજ શરદી-ઉધરસના કેસમાં પણ વધારો નોંધાતા લોકોની હાલાકી વધી છે. સ્વાઈન ફ્લૂના કેસમાં પણ વધારો થતાં આરોગ્ય તંત્ર દોડતું થયું છે. સોલા સિવિલ હોસ્પિટલમાં સ્વાઈન ફ્લૂના 9 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે, જ્યારે 18 દર્દીઓ શંકાસ્પદ હોવાનું સામે આવ્યું છે. મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોના વધતા કેસને પગલે તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
જૂનાગઢ-બીલખા હાઈવે પર સાત સિંહોના ટોળાએ ગૌવંશનો શિકાર કરતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. પ્લસવા ગામના પાટિયા પાસે સિંહોના ટોળાએ ગૌવંશનો શિકાર કરી મિજબાની માણી હતી. સ્ટેટ હાઈવે પર સિંહો આવી ચડતા વાહનચાલકો અને સ્થાનિકોમાં ભય ફેલાયો હતો. સિંહોના ટોળાને જોવા મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસની ટીમે સ્થળ પર પહોંચી સિંહોને હાઈવે પરથી દૂર ભગાડ્યા હતા. સિંહો હાઈવે પર વારંવાર આવી ચડતા હોવાની ઘટનાને પગલે વન વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
પાર-ઉદ્યોગની સાથે હવે રમતગમતના ક્ષેત્રે પણ ગુજરાત અગ્રેસર બની રહ્યું છે. ‘ખેલ મહાકુંભ’ દ્વારા ગ્રાસરૂટ ટેલેન્ટને શોધવા અને તેને આગળ વધારવા માટે દેશનું સૌથી મોટું પ્લેટફોર્મ ઉભું કરવામાં આવ્યું છે, જ્યારે ‘શક્તિદૂત યોજના’ હેઠળ ખેલાડીઓને આધુનિક કોચિંગ, પૌષ્ટિક ડાયેટ અને આર્થિક પીઠબળ આપવામાં આવી રહ્યું છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ સહિતના વિશ્વકક્ષાના સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ હાઈ પરફોર્મન્સ સેન્ટર્સ દ્વારા ખેલાડીઓને ઓલિમ્પિક સ્તરની તાલીમ અને સુવિધાઓ મળી રહી છે. જેના પરિણામે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મંચ પર ગુજરાતના રમતવીરો પોતાની પ્રતિભાનો પરચો આપી રહ્યા છે. ખેલાડીઓના સુરક્ષિત ભવિષ્ય માટે સરકારી નોકરી અને આકર્ષક રોકડ પુરસ્કારોની જોગવાઈ પણ કરવામાં આવી છે. 36મી નેશનલ ગેમ્સના સફળ આયોજનથી ગુજરાતે વિશ્વસ્તરીય રમતોત્સવ યોજવાની ક્ષમતા સાબિત કરી છે અને હવે કોમનવેલ્થ તથા ઓલિમ્પિક્સ 2036ની ઐતિહાસિક યજમાની માટે ગુજરાત સજ્જ થઈ રહ્યું છે.
ગુજરાતમાં ઓગસ્ટ મહિનો કોરોધાકોર રહેતા વરસાદની અછતને લઈને ચિંતા વધી છે. હવામાન નિષ્ણાંત ચિરાગ શાહે ઓછા વરસાદ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં કૃત્રિમ વરસાદ એકમાત્ર વિકલ્પ બની શકે છે. દ્વારકા અને કચ્છ જેવા જિલ્લાઓમાં કૃત્રિમ વરસાદની આવશ્યકતા ઉભી થઈ છે, જોકે તેના માટે વાદળ, ભેજ અને પવનની ગતિ સહિતના જરૂરી પરિબળો ઉપલબ્ધ હોવા જરૂરી છે. યોગ્ય હવામાની સિસ્ટમ અને અનુકૂળ પરિબળો મળે ત્યારે જ કૃત્રિમ વરસાદની પ્રક્રિયા શક્ય બની શકે છે.
આજે 26 ઓગસ્ટને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:34 am, Wed, 26 August 26