
આજે 25 જુલાઈને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
ઓઢવમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી વેપારીએ આત્મહત્યા કરી. પાંચ વ્યાજખોરો 30 ટકા સુધી વ્યાજ વસૂલતા હતા.
કઠવાડા જીઆઇડીસી માં ઝેરી દવા પી આપધાત કર્યો. હરિકૃષ્ણ પટેલ નામના વેપારીએ સ્યુસાઈડ નોટ લખી આત્મહત્યા કરી. ભરતભાઈ, સચીનભાઈ, વિપુલ ભાઈ, દિપક ભાઈ અને મુન્ના ભાઈ નામના વ્યાજખોર વિરુદ્ધ ફરિયાદ. ઓઢવ પોલીસે સ્યુસાઇડ નોટ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં બિલ્ડર સાથે રૂપિયા 2.26 કરોડની છેતરપિંડીનો કિસ્સો બનવા પામ્યો છે. હર્ષદીપ બિલ્ડર્સ નામની કન્સ્ટ્રક્શન કંપનીના માલિક સાથે વિશ્વાસઘાત થયો છે. ગઠિયાએ બિલ્ડર પાસેથી 10 ફ્લેટ ખરીદીને છેતરપિંડી આચરી છે.
આરોપીએ ખરીદેલા ફ્લેટના નાણાં ના ચૂકવીને રૂ. 2.26 કરોડની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. સેટેલાઇટ પોલીસે રાકેશ શાહ નામના શખ્સ સામે, છેતરપિંડીનો ગુનો નોધી વધુ તપાસ શરૂ કરી છે.
ગુજરાતમાં આજે શુક્રવારે સવારના 6 વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધીના 12 કલાકમાં 54 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વલસાડમાં સાડા છ ઈંચ વરસાદ નોંધાયો છે. વાપીમાં પોણા ચાર ઈંચ સુધી વરસાદ નોંધાયો છે. સુરતના માંડવીમાં 2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરી ખાતે સંકલનની બેઠક યોજાઈ હતી. આ સંકલન બેઠકમાં પોલીસ કમિશનર , ડીસીપી, ધારાસભ્યો, સંસદ સભ્યો હાજર રહ્યા હતા. ધારાસભ્યો દ્વારા અમદાવાદમાં અમલી અશાંત ધારાનું કડકાઈથી અમલવારી અને ટ્રાફિક નિયમનું પાલન કરવાની રજુઆત કરાઈ હતી. જમાલપુર પાસે એક ખુલ્લી જગ્યા પર પોલીસ સ્ટેશન બનાવવાની રજુઆત કરવામાં આવી હતી. તો પાલડી વિસ્તારમાં લઘુમતી સમાજના લોકો મિલકત ખરીદીને આવી રહ્યા છે. જેથી કડક અશાંત ધારા લાગુ કરવાની માંગ કરી છે. અન્ય લોકોના નામે મકાન ખરીદીને લઘુમતી સમાજના લોકો રહેવા આવે છે તેવો કિસ્સો પ્રકાશમાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. સોસાયટીમાં પણ લઘુમતી સમાજના વ્યક્તિ ચેરમેન બને તો લોકો મકાન વેચી જતા રહે છે. જુહાપુરા અલ બૂર્ઝ ચાર રસ્તા પાસે હિન્દુ દ્વારા ફ્લેટની સ્કીમ મૂકીને લઘુમતી સમાજ વેચાણ ન કરે તેવી એક રજૂઆત કરી છે.
સહકારી બેંક દ્વારા ખેડૂતોને ફરી એક વખત છેતરવામાં આવ્યા હોવાનું જૂનાગઢ પંથકમાં ચર્ચાઈ રહ્યું છે. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી સમયે, ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે, ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેંકમાં ખેડૂતોને અપાતા ધિરાણ મામલે ખોટા વચનો આપ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ખેડૂતોને 3 લાખની મર્યાદા વધારી રૂપિયા પાંચ લાખ સુધીના શાખ પત્રકો આપવા જણાવ્યું હતું. હાલમાં નિયમમાં ફેરફાર કરી ત્રણ લાખ સુધીના શાખ પત્રકો બનાવ્યા, તેથી વધુ રકમ માટે વ્યાજ લેવાનો નિર્ણય લેવાયો છે. કિરીટ પટેલે ચૂંટણી પ્રચારમાં કહ્યુ હતુ કે શાખ મર્યાદા પાંચ લાખની કરી છે. પરંતુ હવે ફરી ત્રણ લાખથી વધુ રકમ લઈએ એટલે કે બે લાખ પર 7% ના દરે વ્યાજ લેવામાં આવશે. પહેલા કરેલ જાહેરાત મુજબ ઘણા ખેડૂતોએ પાંચ લાખ રકમનું ધિરાણ મેળવ્યું છે. હવે મર્યાદા ત્રણ લાખની કરી દેવાતા, ખેડૂતોને બે લાખ પર વ્યાજ ચૂકવવું પડશે જેથી ખેડૂતો રોષે ભરાયા છે.
અમદાવાદમાં મહાનગરપાલિકાના બોલતા ભ્રષ્ટાચાર સ્વરૂપ હાટકેશ્વર બ્રિજને તોડવાની પ્રક્રીયા શરુ થઈ છે. હાટકેશ્વર બ્રિજ તોડવાની પ્રક્રિયા અંગે કોન્ટ્રાક્ટર દ્વારા મશીનરીઝની મુવમેન્ટ શરૂ કરાઈ છે. હાટકેશ્વર બ્રિજને ગ્રાઉન્ડ કરવા ખૂબ લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. ગણેશ કન્સ્ટ્રક્શન દ્વારા બ્રિજ તોડવા અંગે જવાબદારી લેવાઈ છે. મુંબઈની આ કંપની અંદાજિત 4 કરોડના ખર્ચે હાટકેશ્વર બ્રિજને ગ્રાઉન્ડ કરશે. બ્રિજ તોડવા અંગે હજી આઇઆઇટી ગાંધીનગરના રિપોર્ટની જોવાઈ રાહ રહી છે. આઇઆઇટી ગાંધીનગરના અપ્રુવલ બાદ હાટકેશ્વર બ્રિજ તોડવાની પ્રક્રિયા શરૂ કરાશે. 2017માં 40 કરોડના ખર્ચે હાટકેશ્વર બ્રિજ તૈયાર કરાયો હતો. હાટકેશ્વર બ્રિજ ખુલ્લો મુકાયા બાદ, તેમા પડેલા ગાબડાંને કારણે બ્રિજને કરવામાં આવ્યો હતો બંધ. આવનારા છ મહિનામાં હાટકેશ્વર બ્રિજ જમીનદોસ્ત કરી દેવાશે.
વડોદરામાં, સત્તાધારી ભાજપના યુવા મોરચના મંત્રી ઉપર ચાર હુમલાખોરોએ તીક્ષ્ણ હથિયારથી હુમલો કરીને ગંભીર ઈજા પહોચાડી છે. વડોદરાના વાઘોડિયા રોડ પર, બાપુ ચિકન હોટલ ચલાવતા ગૌરાંગ પઢિયાર પર જીવલેણ હુમલો થયો છે. ગૌરાંગ પઢિયાર વડોદરા વોર્ડ નંબર 9ના ભાજપ યુવા મોરચાના મહામંત્રી છે. હોટલમાં જમવાનું પૂરું થઈ જતા કર્મચારીઓએ આરોપીઓને જમવાનું આપવાની ના પાડતા બબાલ થઈ હતી. આરોપી શક્તિસિંહ રાણાએ, ફરિયાદી ગૌરાંગ પઢિયારને ફોન કરી ગાળો ભાંડી હતી તેમજ મારવાની ધમકી આપી હતી. ફરિયાદી ગૌરાંગ પઢિયારે આરોપીઓને ઘરનું સરનામું અને લોકેશન મોકલી ચેલેન્જ આપી હતી કે હિંમત હોય તો મારી બતાવે. ગૌરાંગ પઢિયાર ઘરે આવતા જ આરોપીઓએ ઉપરા છાપરી ચાકુના ઘા માર્યા હતા. ગૌરાંગ પઢિયાર ગંભીર રીતે ઘાયલ થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો. ગોરવા પોલીસે સમગ્ર ઘટનામાં 4 આરોપીઓની બે કાર કબજે કરીને ધરપકડ કરી છે. આરોપી શક્તિસિંહ રાણા, જતીન ધાગિયા, મનીષ યાદવ અને હેમેક્ષ હોદારનો સમાવેશ થાય છે.
સંસદમાં ઓપરેશન સિંદૂર પર વિગતવાર ચર્ચા થશે, જેમાં સંરક્ષણ, ગૃહ અને વિદેશ મંત્રીઓ ભાગ લેશે. વડા પ્રધાન મોદી પણ ચર્ચામાં હસ્તક્ષેપ કરી શકે છે. આ ચર્ચા પહેલગામ આતંકવાદી હુમલા પછી હાથ ધરવામાં આવેલા ભારતની સરહદ પાર આતંકવાદ વિરોધી કાર્યવાહી પર કેન્દ્રિત હશે. સોમવારે લોકસભામાં અને મંગળવારે રાજ્યસભામાં 16 કલાક ચર્ચા થશે. વિરોધ પક્ષોએ પણ આ મુદ્દા પર ચર્ચાની માંગ કરી હતી.
ગુજરાતમાં સત્તાસ્થાને બેઠેલ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યે, જગજાહેર કહ્યું છે કે, અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે. જેની ફરિયાદ તેમણે ગાંધીનગરમાં મહેસુલ વિભાગમાં કરી છે. સુરતમાંથી ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર ચૂંટાઈ આવેલ ધારાસભ્ય અરવિંદ રાણાએ પોલીસ, મામલતદાર અને ડે. કલેકટર પ્રાંત કચેરી સામે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે ગાંધીનગરમાં મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિને ફરિયાદ કરી છે. અશાંતધારા મામલે અધિકારીઓ ભ્રષ્ટાચાર કરતા હોવાની ફરિયાદ કરી છે. પોલીસ નેગેટિવ રિપોર્ટ છતાં મહેસૂલ વિભાગના કેટલાક અધિકારીઓએ મિલકતોને વગર મંજૂરીએ આપી દીધી હોવાનો આક્ષેપ કર્યો છે. જો કે સરકારપક્ષના ધારાસભ્યે કરેલ ફરિયાદને ગંભીરતાથી લેતા, મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ જયંતિ રવિએ, સુરતના કલેક્ટરને ગાંધીનગરમાં રૂબરૂ દરેક કેસની પુનઃ તપાસ કરવા આદેશ આપ્યા છે.
સરકારના વધુ એક MLAના સરકારી અધિકારી પર ભ્રષ્ટાચારના આક્ષેપ
અશાંતધારા મામલે અધિકારીઓ ભ્રષ્ટાચાર કરતા હોવાની ધારાસભ્યની ગાંધીનગરમાં જઈ કરાઇ ફરિયાદ
અશાંતધારા વિસ્તારની મિલકત તબદિલ મુદ્દે ફરી એક વખત માહોલ ગરમાયો
પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણાએ મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડો.જયંતિ રવિને કરી ફરિયાદ
પોલીસ ,મામલતદાર અને ડે. કલેકટર પ્રાંત કચેરી સામે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે કરી ફરિયાદ
અશાંતધારા વિસ્તારમાં વિધર્મીઓએ ખરીદેલી મિલકત અંગે તપાસ અને SOP બનાવવાની માંગ
હિન્દુ વિસ્તારોમાંથી વિધર્મીઓને અપાયેલી મંજૂરીઓમાં ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવ્યા
2022 થી 2025 સુધીની તબદીલ કરાયેલી મિલકતોને રીવૉક કરવાની કરી માંગ
આજુબાજુના લોકોને પરવાનગી વગરના હુકમો રદ કરવાની કરી આકરી માંગ
પોલીસ નેગેટિવ રિપોર્ટ છતાં મહેસૂલ વિભાગના કેટલાક અધિકારીઓએ મિલકતોને વગર મંજૂરીએ આપી દીધી હોવાનો આક્ષેપ
રજૂઆતની ગંભીરતા સમજતા ડો.જયંતી રવિએ સુરતના કલેક્ટરને ગાંધીનગરમાં રૂબરૂ દરેક કેસની પુનઃ તપાસ કરવા આપ્યા આદેશ
દિવાસો દરમિયાન પુજા કરવા ગયેલા માતા અને પુત્રનું નદીમાં ડુબી જતા મોત થયા છે. ભદ્રેશ્વરના આરે પુજા કરીને નદીમાં સ્નાન કરવા માતા ગઈ હતી, જે દરમિયાન નદીમાં માતા ડુબવા લાગી હતી, આ જોઈને પુત્ર પણ માતાને બચાવવા માટે કુદ્યો હતો. જેમાં પુત્રનું પણ મોત થયુ હતું. માતા અને પુત્ર નરોડાના સ્વામિનારાયણ પાર્કમાં રહેતા હતા.
હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આગામી 5 દિવસ ગુજરાત પ્રદેશના જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. આગામી 48 કલાક ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ શક્યતા છે. આગામી 26 અને 27 જુલાઇ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની આગાહી છે. હાલમાં 4 સિસ્ટમને કારણે રાજ્યમાં વરસાદી માહોલ જામશે. બંગાળની ખાડી પર ડિપ્રેશન, છત્તીસગઢ પર સાયક્લોનિક સર્ક્યુલેશન, અરબ સાગરથી મહારાષ્ટ્ર થઈને છત્તીસગઢ સુધી ટ્રફ લાઇન અને ગુજરાતના દરિયા કાંઠે ઓફ શોર ટ્રફ સક્રિય થશે. અમદાવાદમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આગામી 5 દિવસ દરિયામાં ઊંચા મોજા ઉછળી શકે છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
સુરતઃ પાંડેસરામાં BRTS બસનો અકસ્માત સર્જાયો છે. ડ્રાઈવરે કાબૂ ગુમાવતા થાંભલા સાથે બસ અથડાઈ છે. અકસ્માતમાં કોઈ જાનહાનિ થઇ નથી. તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કઢાયા છે.
વડોદરાઃ આજવા રોડ પર ખાડામાં પડી જવાથી વૃદ્ધનું મોત થયુ છે. મનપાએ ખોદેલા ખાડાએ વૃદ્ધનો ભોગ લીધો છે. ઊંઘમાં ચાલવાની બીમારી ધરાવતા વૃદ્ધ ખાડામાં ખાબક્યા હતા. દુર્ઘટનાના કલાકો બાદ પણ તંત્રએ કામગીરી ન કરતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ગાંધીનગર: રાંદેસણમાં તેજ રફતારનો કહેર જોવા મળી રહ્યો છે. સીટી પલ્સ સિનેમા પાસે બેફામ કારે અનેકને કચડ્યાં છે. પૂરપાટઝડપે આવતી કારે લોકોને અડફેટે લીધા. કારચાલકે બેફામ કાર હંકારી અકસ્માત સર્જ્યો. 3 વ્યક્તિના મોત થયા છે અને મૃત્યુઆંક વધવાની ભીતિ છે. અકસ્માતમાં ત્રણથી ચાર લોકોના મોતનો મેયરનો દાવો છે. પોલીસે તાત્કાલિક સ્થળે પહોંચીને કારચાલકની ધરપકડ કરી છે.
સુરતઃ સચિન વિસ્તારમાં વીમો પકવવા મિત્રની હત્યાના મામલામાં પોલીસે આરોપીને સાથે રાખી રિ-કન્સ્ટ્રક્શન કર્યું. વીમો પકવવા મિત્રની ટ્રક નીચે કચડી હત્યા કરી હતી.એક મહિલા આરોપી સહિત ત્રણ લોકોની ધરપકડ થઈ હતી. મૃતકના કપડા સહિતની ચીજ-વસ્તુઓ પોલીસે જપ્ત કરી છે. ટી.વી સિરિયલમાં જોઈ હત્યાનો કારસો રચ્યો હતો.
સુરત: શહેરના શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ છે. અઠવાલાઇન્સના ઈચ્છાનાથ મહાદેવ મંદિરમાં ભીડ જોવા મળી રહી છે. શિવલિંગ ઉપર જ હોય તેવું ગુજરાતનું પ્રથમ મંદિર છે. ઈચ્છાનાથ મહાદેવ મંદિરમાં દરેક પ્રકારની ઉન્નતિઓ થતી હોવાની માન્યતા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તાજેતરમાં યુકેના પ્રવાસે હતા. આ સમય દરમિયાન, પીએમ રાજા ચાર્લ્સ ત્રીજાને મળ્યા. પીએમએ રાજાને એક ખાસ ભેટ આપી. તેમણે રાજાને એક છોડ ભેટમાં આપ્યો. આ ભેટ પીએમ મોદીની પર્યાવરણીય પહેલ, “એક પેડ મા કે નામ” થી પ્રેરિત હતી, આ પહેલ લોકોને તેમની માતાઓના માનમાં વૃક્ષો વાવવા માટે પ્રોત્સાહિત કરે છે.
ગીર સોમનાથ: હડકાયા શ્વાને 15 જેટલા લોકોને બચકા ભર્યા છે. તાલાલાનાં આંકોલવાડી અને મંડોરણા ગામની આ ઘટના છે. આંકલવાડી ગામે 12 લોકોને શ્વાને બચકા ભર્યા. મંડોરણા ગામે પણ 3 લોકોને શ્વાન કરડ્યુ.
સુરત: તહેવારો નજીક આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યુ છે. અલગ-અલગ 14 જેટલી ફરસાણની દુકાનમાં દરોડા પાડવામાં આવ્યા. ખમણ, ઈદડા, લોચો, પાટુડીના સેમ્પલ લેવામાં આવ્યાં. આરોગ્ય વિભાગ દ્વારા જુદા-જુદા 24 જેટલા સેમ્પલ લેવાયા. મનપાની લેબોરેટરી ખાતે સેમ્પલ તપાસ માટે મોકલાયા.
પોરબંદરઃ સગીરા પર 4 નબીરાઓએ દુષ્કર્મ આચર્યુ. ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ બનાવ બન્યો. સગીરાને નાસ્તો કરવાના બહાને ઘરે લઈ જઈ સામુહિક દુષ્કર્મ આચર્યુ. 4 યુવકો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ. પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી.
મોરબી: વાંકાનેરનાં કારખાનામાં ભીષણ આગ લાગી છે. વઘાસીયા ટોલનાકા પાસે આ આગની ઘટના બની. એકવા ટોપ નામના કારખાનામાં આગ લાગી. અગમ્ય કારણોસર લાગેલી આગથી ભારે નુકસાન પહોંચ્યુ છે. ફાયર અને પોલીસની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી. મોરબી અને રાજકોટથી ફાયરની ટીમો બોલાવવાની ફરજ પડી.
દાહોદના લીમખેડામાં પરણિતા અને બે બાળકીઓના આપઘાત કેસમાં કોર્ટનો મોટો ચુકાદો આવ્યો છે. આરોપી પતિ કલ્પેશ બારીયાને 10 વર્ષની કેદની સજા ફટકારી. સાસુ-સસરા સહિત અન્ય આરોપીઓને 5-5 વર્ષની કેદ અને દંડ ફટકાર્યો. લીમખેડા તાલુકાના ટીંબા ગામે ત્રણ વર્ષ પહેલા ઘટના બની હતી. પરણિતા જયાબેન અને બે માસૂમ બાળકીઓએ ઉમરીયા ડેમમાં આપઘાત કર્યો હતો. સાસરીયાઓના શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળીને જયાબેને આ પગલું ભર્યું હતુ. લીમખેડાની બીજી એડિશનલ સેશન્સ કોર્ટે આરોપીઓને સજા ફટકારી.
Published On - 7:19 am, Fri, 25 July 25