સુરતના પલસાણા વિસ્તારમાં ગેસ લીકેજ બાદ લાગેલી ભીષણ આગની ઘટનામાં ગંભીર રીતે દાઝેલા 6માંથી 3 લોકોના સારવાર દરમિયાન કરુણ મોત નિપજ્યા છે. મૃતકોમાં ઘર માલિક, પાડોશી મહિલા અને એક માસૂમ બાળકનો સમાવેશ થાય છે. ખુમાનસિંહ વાડી વિસ્તારમાં બનેલી આ દુર્ઘટના ત્યારે સર્જાઈ હતી જ્યારે રસોઈ બનાવ્યા બાદ ગેસ બંધ કરવાનું ભૂલાઈ ગયું હતું. બાદમાં સાંજે લાઈટની સ્વીચ ચાલુ કરતાં જ ગેસ લીકેજના કારણે ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આ ઘટનામાં 3 લોકોના મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
અમદાવાદમાં એએમસીની ચૂંટણીને લઈને પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ પર છે. અસારવા વિસ્તારમાં પોલીસ કમિશનરે મતદાન મથકોની મુલાકાત લઈને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. શહેરમાં કુલ 1316 બિલ્ડિંગમાં 4172 મતદાન બૂથ ગોઠવવામાં આવ્યા છે, જ્યાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થાય તે માટે આશરે 8000થી વધુ પોલીસ જવાનો ખડેપગે તૈનાત રહેશે. સાથે જ 7 એસઆરપીની ટુકડીઓ અને પેરામિલેટરી દળ પણ મુકવામાં આવ્યા છે. ખાસ કરીને 419 સંવેદનશીલ બૂથ પર કડક સુરક્ષા બંદોબસ્ત ગોઠવીને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ સજ્જ બની છે.
મહીસાગર જિલ્લાના કડાણા વિસ્તારમાં સરકારી કર્મચારી દ્વારા ભાજપના ઝંડા લગાવાતા હોવાનો વિવાદ સામે આવ્યો છે. શિક્ષક રાજકીય પ્રચારમાં જોડાયા હોવાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે, જ્યાં તેઓ ઝંડા લગાવતા નજરે પડ્યા હતા. આ દરમિયાન સ્થાનિક વ્યક્તિએ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી લીધો હતો. સ્થાનિકોના સવાલોનો સામનો કરતાં શિક્ષક ત્યાંથી ભાગી ગયા હોવાનું પણ સામે આવ્યું છે. હાલ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે.
રાજકોટમાં કોંગ્રેસના નેતા મુકુલ વાસનિકની મુલાકાત દરમિયાન જ પાર્ટીમાં જુથવાદ ખુલ્લો સામે આવ્યો હતો. કોંગ્રેસના નેતા મહેશ રાજપૂત કાર્યાલયમાં હાજર રહ્યા નહોતાં, જેના કારણે કાર્યાલયને લઈને વિવાદ વધુ ગરમાયો હતો. જાણકારી મુજબ કેટલાક નેતાઓ શહેર કોંગ્રેસના આ કાર્યાલયમાં બેઠક કે મુલાકાત માટે આવતા નથી, કારણ કે આ કાર્યાલય ઇન્દ્રનીલ રાજ્યગુરૂની માલિકીનું હોવાને લઈને વિરોધ વ્યક્ત થઈ રહ્યો છે. જોકે મહેશ રાજપૂતે કોઈ વિવાદ ન હોવાનો દાવો કર્યો હતો. મુકુલ વાસનિકને મળવા તેઓ કાર્યાલય સુધી આવ્યા હતા, પરંતુ કારમાંથી ઉતરી અંદર પ્રવેશ કર્યો નહોતો, જેના કારણે રાજકીય ચર્ચાઓ વધુ તેજ બની છે.
જામનગરના રણમલ તળાવમાં ડૂબી જવાથી બે કિશોરોના મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ સર્જાયો છે. બંને કિશોરો ગઈકાલે સાંજથી ગુમ હતા, ત્યારબાદ આજે તળાવમાંથી તેમના મૃતદેહો મળી આવતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ દુર્ઘટના અંગે વધુ તપાસ શરૂ કરી છે.
અમદાવાદના ઓઢવ વિસ્તારમાં જાહેર કાર્યક્રમ દરમિયાન ભાજપના નેતાઓનો સ્થાનિકોએ ખુલ્લો વિરોધ કર્યો હતો. પ્રચાર માટે આવેલા નેતાઓ સામે બેનરો અને સૂત્રોચ્ચાર સાથે લોકો પ્રદર્શન કરતા કાર્યક્રમ દરમિયાન જ માહોલ ગરમાઈ ગયો હતો. સ્થાનિકોએ આરોપ લગાવ્યો કે પાંચ વર્ષ સુધી વિસ્તારની કોઈ મુલાકાત ન લઈ હવે ચૂંટણી સમયે જ નેતાઓ પ્રચાર માટે આવ્યા છે. અમદાવાદ પૂર્વના અનેક વિસ્તારોમાં પણ ભાજપ ઉમેદવારોનો વિરોધ જોવા મળ્યો હતો, જ્યાં ગંદકી અને પ્રાથમિક સુવિધાના અભાવને લઈને લોકોએ નેતાઓને આડેધડ ઘેરી લીધા હતા. આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદ અને મોરચા પ્રમુખ કિરીટ સોલંકી મંચ પર હાજર હતા, પરંતુ વિરોધ વધતા તેઓ કાર્યક્રમ અધવચ્ચે છોડીને રવાના થઈ ગયા હતા.
રાજકોટમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. ઉપલેટાના કોલકી ગામમાં સુરત હવાલાકાંડ અંગે નિવેદન આપતા તેમણે જણાવ્યું કે હારના ભયથી ભાજપ ચૂંટણી જીતવા માટે તંત્રનો ઉપયોગ કરે છે. તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે ભાજપે અન્ય પક્ષના ઉમેદવારને ખરીદવા માટે ઓફર આપી હતી. ઈસુદાન ગઢવીએ સવાલ ઉઠાવ્યો કે ભાજપના નેતાઓ પાસે આટલા નાણાં ક્યાંથી આવે છે અને દાવો કર્યો કે તેમના પાસે કરોડો રૂપિયા આંગડિયા મારફત આવ્યા છે.
રાજ્યમાં હવે કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, જ્યાં રાજ્યના 6 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 24 કલાકમાં તાપમાનમાં વધુ વધારો થવાની શક્યતા છે, જ્યારે 24થી 26 એપ્રિલ દરમિયાન 2થી 3 ડિગ્રી સુધી તાપમાન વધવાની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને 26 તારીખે ચૂંટણીના દિવસે તાપમાન 43 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં અસહ્ય ઉકળાટ અને ભારે બફારાનો અનુભવ થઈ રહ્યો છે, તેમજ બપોરના સમયે હીટવેવની શક્યતાને લઈને હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્ય આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને ગરમીથી બચવા માટે એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે અને વિવિધ આરોગ્ય કેન્દ્રોમાં ‘હીટ સ્ટ્રોક મેનેજમેન્ટ’ રૂમ પણ તૈયાર કરવામાં આવ્યા છે.
અમદાવાદમાં ઈન્ફ્લૂએન્સરને જાહેરાત કરવી ભારે પડી. જાણીતા ઇન્ફ્યુલેન્સર પાર્થ પરમાર , ફિંગર ટિપ્સ નામની કંપનીના CEO સુનિલ પુરોહિત સહિતના લોકોએ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કર્યુ. સી.જી રોડ વાઘબકરી ટી સામે જાહેરાત કરવા માટે એક થાર ગાડી તથા ટુવ્હીલરનો ખોટો અકસ્માત કરીને લોકોમાં ભય ઉભો કરીને રીલ બનાવી હતી. જે મામલે પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જે બાદ સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર અને ફિંગરટિપ્સ કંપનીના CEOએ આ મામલે માફી માગી અને બીજી વખત આવી ભૂલ ન કરવાની ખાતરી આપી..
હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી એકવાર ઈરાનના આક્રમક વલણની ઘટના સામે આવી છે, જેમાં ત્રણ કોમર્શિયલ જહાજો પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. દુબઈથી ગુજરાત તરફ આવી રહેલા અને મુન્દ્રા પોર્ટ પહોંચવાના માર્ગમાં રહેલા “એપામિનોંડાસ” નામના જહાજને પણ નિશાન બનાવવામાં આવ્યું, જોકે ફાયરિંગ છતાં ભારતીય જહાજના તમામ ક્રુ મેમ્બર સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. આ વચ્ચે IRGC દ્વારા જહાજ પર કબજો કર્યાના દ્રશ્યો પણ સામે આવતા વિસ્તારમાં તણાવનો માહોલ વધુ ગંભીર બન્યો છે.
બંગાળમાં મતદાનનો પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે. આ તબક્કામાં 152 મતવિસ્તારોમાં મતદાન થઈ રહ્યું છે. મતદાનના પ્રથમ તબક્કા પહેલા પીએમ મોદીએ લોકોને ઉત્સાહપૂર્વક મતદાન કરવાની અપીલ કરી હતી. યુવાનો અને મહિલાઓએ મોટી સંખ્યામાં મતદાન કરવું જોઈએ.
PM Narendra Modi tweets, “Phase 1 of the West Bengal Assembly elections takes place today. I urge all citizens to participate in this festival of democracy with full strength. I especially appeal to my young friends and to the women of West Bengal to vote in large numbers.” pic.twitter.com/vw2xwnB1wO
— ANI (@ANI) April 23, 2026
બંગાળની ચૂંટણીના પ્રથમ તબક્કામાં જે જિલ્લાઓમાં મતદાન થશે તેમાં ઉત્તર બંગાળના આઠ, દક્ષિણ બંગાળના ત્રણ અને જંગલમહલ ક્ષેત્રના પાંચ જિલ્લાઓનો સમાવેશ થાય છે. આમાં મુર્શિદાબાદની 22 બેઠકો, કૂચ બિહારની 9, જલપાઈગુડીની 7, અલીપુરદુઆરની 5, કાલિમપોંગની 1, દાર્જિલિંગની 5, ઉત્તર દિનાજપુરની 9, દક્ષિણ દિનાજપુરની 6, માલદાની 12, બીરભૂમની 11, પૂર્વ મેદિનીપુરની 16, પશ્ચિમ બર્ધમાનની 9, ઝારગ્રામની 4, પશ્ચિમ મેદિનીપુરની 15, બાંકુરાની 12 અને પુરુલિયાની 9 બેઠકોનો સમાવેશ થાય છે.
તમિલનાડુની તમામ 234 બેઠકો માટે મતદાન યોજાશે. ચૂંટણી પંચે સુરક્ષાની કડક વ્યવસ્થા કરી છે. આ વખતે 4,023 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. કુલ 57.3 મિલિયન મતદારો ઉમેદવારોનું ભાવિ નક્કી કરવા માટે મતદાન કરશે.
પશ્ચિમ બંગાળમાં 152 બેઠકો માટે આજે પ્રથમ તબક્કાનું મતદાન થશે. ચૂંટણી પંચે આ માટે વિસ્તૃત તૈયારીઓ કરી છે. રાજ્યભરમાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે. પ્રથમ તબક્કામાં1478 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે.
આજે 23 એપ્રિલને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:16 am, Thu, 23 April 26