અમદાવાદમાં Gujarat ATSએ બે યુવકોની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસ મુજબ આરોપીઓ સોશિયલ મીડિયા દ્વારા દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા હતા. એટીએસની તપાસ દરમિયાન સોશિયલ મીડિયા પર અનેક શંકાસ્પદ અને ઉશ્કેરણીજનક સાહિત્ય મળ્યું હોવાનું સામે આવ્યું છે. હાલ આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદમાં શાળામાં વિદ્યાર્થી પર હુમલાની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઈસનપુર પબ્લિક સ્કૂલમાં ધોરણ 8ના વિદ્યાર્થી પર પરિકરથી હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે તેની આંખના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. મળતી માહિતી મુજબ, બે વિદ્યાર્થીઓ વચ્ચે ચાલી રહેલા ઝઘડાને શાંત કરાવવા માટે આ વિદ્યાર્થી વચ્ચે પડ્યો હતો, ત્યારે તેના પર હુમલો થયો. આંખ પર ગંભીર ઘા વાગતા તેને થોડા સમય માટે દેખાતું પણ બંધ થઈ ગયું હતું. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે એલજી હોસ્પિટલ અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું ઑપરેશન કરવાની ફરજ પડી હતી. ઘટના બાદ પરીક્ષા દરમિયાન થયેલી બબાલને ધ્યાનમાં રાખીને નારોલ પોલીસે શાળામાં પહોંચી તપાસ હાથ ધરી હતી.
જામનગર જિલ્લાના કાલાવડમાં હિટ એન્ડ રનની ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં પૂરપાટ ઝડપે દોડતી કારના CCTV ફૂટેજ સામે આવ્યા છે. બેફામ કારચાલકે Krishna Restaurant પાસે ઉભેલા ચાર લોકોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે પોલીસે ફરાર કારચાલકને પકડવા માટે તપાસ હાથ ધરી છે અને આસપાસના વિસ્તારોમાં શોધખોળ શરૂ કરી છે.
હોર્મુઝ વિસ્તારમાં કબજે કરાયેલા ઈરાની જહાજ મામલે તણાવ વધી રહ્યો છે. આ જહાજ અંગે અમેરિકાએ મોટો દાવો કર્યો છે કે તેમાં મિસાઈલ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા કેમિકલ્સ હતા. સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના પૂર્વ રાજદૂત નિકી હેલીએ પણ જણાવ્યું કે આ જહાજ ચીનથી ઈરાન તરફ જઈ રહ્યું હતું અને તેમાં જોખમી કેમિકલ ભરાયેલું હતું. સાથે જ ચીન ઈરાનની સત્તાને મજબૂત કરવા માટે મદદ કરી રહ્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, જેને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધી રહી છે.
સમાચાર એજન્સી એક્સિઓસે મહત્વપૂર્ણ સમાચાર જાહેર કર્યા છે. કાલે ઇસ્લામાબાદમાં અમેરિકા-ઈરાન વાટાઘાટો યોજાશે. મોજતબા ખામેનીની અમેરિકા સાથેની વાટાઘાટોને લીલીઝંડી આપવામાં આવી છે.
રાજ્યમાં 26 એપ્રિલે હીટવેવની આગાહી કરવામાં આવી છે અને એ જ દિવસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન યોજાનાર છે, જેના કારણે મતદારોને ભારે ગરમીનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે 25થી 27 એપ્રિલ દરમિયાન યલો એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર સર્જાયેલી સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આ ગરમીની અસર વધુ તીવ્ર બની શકે છે, જેને ધ્યાનમાં રાખીને લોકો અને તંત્રને જરૂરી સાવચેતીઓ રાખવા સૂચના આપવામાં આવી છે.
આજે વહેલી સવારે મણિપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે 6 વાગ્યાની આસપાસ આવેલા ભૂકંપની તીવ્રતા 5.2 હતી.
આજે 21 એપ્રિલને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:34 am, Tue, 21 April 26