આજે 21 એપ્રિલને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
ભચાઉના વોંધ ઓવરબ્રિજ નીચે વૃધ્ધની ગોળી મારીને હત્યા કરવાના મામલે મોટો ખુલાસો થયો છે. આડા સંબંધોમાં અડચણરૂપ થતા ભત્રીજાએ મોટાબાપુની હત્યા કરી નાખી. પૂર્વ કચ્છ ભચાઉ પોલીસે ગણતરી કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પોલીસે હત્યાના આરોપી મુકેશ સાધુની ધરપકડ કરી છે. આરોપીએ હરિદાસ સાધુની ગોળી મારીને હત્યા નીપજાવી હતી. મરણજનારના પુત્રવધુ સાથે આરોપીના આડા સંબંધો હતા. પોલીસે આરોપી વિરુદ્ધ ભચાઉ મથકે ગુનો નોંધીને આગળની કાર્યવાહી ધરી છે.
સુરતમાં CR પાટીલના નિવેદન પર આપના મનોજ સોરઠીયાએ પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું છે કે, લોકો ફરી સાવરણા પર બટન દબાવીને ભાજપનો અહંકાર ઓછો કરશે. CR પાટીલે અહંકારીભર્યું નિવેદન કરતા, કહ્યું “સુરતની જનતા ફરીથી AAPને 27 સીટો આપી બતાવે”, AAPના કોર્પોરેટરોએ સુરતમાં મજબૂતીથી લોકોના કામ કર્યા છે. ભાજપના ભ્રષ્ટાચાર રોકવાનું કામ કર્યું છે. સુરતમાં ભાજપનો ભારે વિરોધ ચાલી રહ્યો છે, લોકો ભાજપના નેતાઓને સોસાયટીમાં ઘુસવા નથી દેતા તેમ પણ મનોજ સોરઠીયાએ જણાવ્યું હતું. સુરતની જનતાને અપીલ છે કે, આવો સાથે મળીને CR પાટીલની ચેલેન્જનો સ્વીકાર કરીએ, 26 એપ્રિલે સાવરણા પર બટન દબાવીને ભાજપના અહંકારને ઓછો કરવાનું કામ પ્રજા કરે.
વડોદરાના સુભેલાવ ગામના તળાવમા શ્રમજીવી યુવાન ડૂબ્યો છે. અમદાવાદનો યુવાન પગ લપસી જતા પાણીમાં થયો ગરકાવ. સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવાનની શોધખોળ ચાલુ. ફાયર વિભાગ ટીમે મૃતદેહ શોધવાની કામગીરીમાં લાગી.
અમદાવાદ મનપા ચૂંટણીના પ્રચારમાં અંતિમ દિવસોમાં બીજેપી પ્રચંડ પ્રચાર કરશે. 23 એપ્રિલના મુખ્યમંત્રી અમદાવાદમાં કરશે રોડ શો. આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદમાં 3 સભાઓ ગજવશે. કુબેરનગર ખાતે 23 એપ્રિલના સાંજે 8 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો રોડ શો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે શહેરના ધારાસભ્યો અને શહેર સંગઠનના પદાધિકારીઓ રહેશે ઉપસ્થિત. 1000 બાઈક અને 200 ગાડી સાથે ત્રણ કિલોમીટરનો ભવ્ય રોડ શો યોજાશે. મેઘાણીનગર ડમરું સર્કલથી રામેશ્વર ચાર રસ્તા થઈ ભાર્ગવ ત્રણ રસ્તાથી આદર્શ સ્કૂલ સુધીનો રોડ શો. રોડ શોમાં મુખ્યમંત્રીની સાથે ધારાસભ્ય સાંસદ સભ્ય સહિતના હોદ્દેદારો હાજર રહેશે.
અમદાવાદ શહેરમાં પનીર ખાવાના શોખીનો માટે ચોંકાવનારી માહિતી સામે આવી છે. શહેરની જાણીતી 11 રેસ્ટોરન્ટ અને ડેરીમાંથી લેવામાં આવેલા પનીરના સેમ્પલ ફેલ થયા હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મિલ્ક પનીરના નામે ‘એનાલોગ પનીર’નો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. આ મામલે AMCના ફૂડ વિભાગે 11 એકમો સામે કાર્યવાહી હાથ ધરી છે અને કુલ 3.26 લાખ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. વિભાગ દ્વારા ચાલુ વર્ષે અત્યાર સુધી પનીરના 170થી વધુ નમૂનાઓ લેવામાં આવ્યા છે. છેલ્લા છ દિવસમાં 250થી વધુ એકમોમાં ચેકિંગ કરવામાં આવ્યું છે, જેના કારણે ફૂડ સેફ્ટી અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.
ધંધુકામાં મુખ્ય આરોપી રિઝવાનના ઘર પર તંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી છે. ઘરની બહાર કરવામાં આવેલું ગેરકાયદેસર બાંધકામ હટાવવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું છે કે રિઝવાન બાદ સમીરના ઘરે પણ તપાસ હાથ ધરવામાં આવશે. બંને મકાન સંબંધિત દસ્તાવેજી પુરાવાઓની તપાસ કર્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. મકાન માલિકી અને અન્ય તમામ આધાર પુરાવા 7 દિવસમાં રજૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે. Ahmedabad જિલ્લાના ધંધુકામાં ગેરકાયદે બાંધકામ સામે તંત્રની કડક કાર્યવાહીથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
અમદાવાદમાં Gujarat ATSએ બે યુવકોની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસ મુજબ આરોપીઓ સોશિયલ મીડિયા દ્વારા દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા હતા. એટીએસની તપાસ દરમિયાન સોશિયલ મીડિયા પર અનેક શંકાસ્પદ અને ઉશ્કેરણીજનક સાહિત્ય મળ્યું હોવાનું સામે આવ્યું છે. હાલ આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદમાં શાળામાં વિદ્યાર્થી પર હુમલાની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઈસનપુર પબ્લિક સ્કૂલમાં ધોરણ 8ના વિદ્યાર્થી પર પરિકરથી હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે તેની આંખના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. મળતી માહિતી મુજબ, બે વિદ્યાર્થીઓ વચ્ચે ચાલી રહેલા ઝઘડાને શાંત કરાવવા માટે આ વિદ્યાર્થી વચ્ચે પડ્યો હતો, ત્યારે તેના પર હુમલો થયો. આંખ પર ગંભીર ઘા વાગતા તેને થોડા સમય માટે દેખાતું પણ બંધ થઈ ગયું હતું. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે એલજી હોસ્પિટલ અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું ઑપરેશન કરવાની ફરજ પડી હતી. ઘટના બાદ પરીક્ષા દરમિયાન થયેલી બબાલને ધ્યાનમાં રાખીને નારોલ પોલીસે શાળામાં પહોંચી તપાસ હાથ ધરી હતી.
જામનગર જિલ્લાના કાલાવડમાં હિટ એન્ડ રનની ગંભીર ઘટના સામે આવી છે, જ્યાં પૂરપાટ ઝડપે દોડતી કારના CCTV ફૂટેજ સામે આવ્યા છે. બેફામ કારચાલકે Krishna Restaurant પાસે ઉભેલા ચાર લોકોને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે પોલીસે ફરાર કારચાલકને પકડવા માટે તપાસ હાથ ધરી છે અને આસપાસના વિસ્તારોમાં શોધખોળ શરૂ કરી છે.
હોર્મુઝ વિસ્તારમાં કબજે કરાયેલા ઈરાની જહાજ મામલે તણાવ વધી રહ્યો છે. આ જહાજ અંગે અમેરિકાએ મોટો દાવો કર્યો છે કે તેમાં મિસાઈલ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા કેમિકલ્સ હતા. સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના પૂર્વ રાજદૂત નિકી હેલીએ પણ જણાવ્યું કે આ જહાજ ચીનથી ઈરાન તરફ જઈ રહ્યું હતું અને તેમાં જોખમી કેમિકલ ભરાયેલું હતું. સાથે જ ચીન ઈરાનની સત્તાને મજબૂત કરવા માટે મદદ કરી રહ્યું હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, જેને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધી રહી છે.
સમાચાર એજન્સી એક્સિઓસે મહત્વપૂર્ણ સમાચાર જાહેર કર્યા છે. કાલે ઇસ્લામાબાદમાં અમેરિકા-ઈરાન વાટાઘાટો યોજાશે. મોજતબા ખામેનીની અમેરિકા સાથેની વાટાઘાટોને લીલીઝંડી આપવામાં આવી છે.
રાજ્યમાં 26 એપ્રિલે હીટવેવની આગાહી કરવામાં આવી છે અને એ જ દિવસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન યોજાનાર છે, જેના કારણે મતદારોને ભારે ગરમીનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને અમદાવાદમાં તાપમાન 44 ડિગ્રી સુધી પહોંચી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે 25થી 27 એપ્રિલ દરમિયાન યલો એલર્ટ જાહેર કર્યું છે. દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર સર્જાયેલી સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આ ગરમીની અસર વધુ તીવ્ર બની શકે છે, જેને ધ્યાનમાં રાખીને લોકો અને તંત્રને જરૂરી સાવચેતીઓ રાખવા સૂચના આપવામાં આવી છે.
આજે વહેલી સવારે મણિપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. સવારે 6 વાગ્યાની આસપાસ આવેલા ભૂકંપની તીવ્રતા 5.2 હતી.
Published On - 7:34 am, Tue, 21 April 26