20 એપ્રિલના મહત્વના સમાચાર :દેશના અનેક રાજ્યોમાં હીટવેવનું એલર્ટ, મહત્તમ તાપમાન 43 ડિગ્રી પર પહોંચવાની હવામાન વિભાગની આગાહી

આજે 20 એપ્રિલને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

20 એપ્રિલના મહત્વના સમાચાર :દેશના અનેક રાજ્યોમાં હીટવેવનું એલર્ટ, મહત્તમ તાપમાન 43 ડિગ્રી પર પહોંચવાની હવામાન વિભાગની આગાહી
| Edited By: | Updated on: Apr 20, 2026 | 10:20 AM

LIVE NEWS & UPDATES

  • 20 Apr 2026 10:20 AM (IST)

    મહેસાણાઃ જિલ્લા પંચાયતના ભાજપના ઉમેદવાર પર હુમલો

    મહેસાણામાં જિલ્લા પંચાયત ચૂંટણીના માહોલ વચ્ચે તણાવપૂર્ણ ઘટના સામે આવી છે. મહેસાણા નજીક મગુના ગામ પાસે ભાજપના ઉમેદવાર નરેશ પટેલના કાફલા પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઘટનામાં કારમાં સવાર એક ભાજપ કાર્યકરને ગંભીર ઈજા પહોંચી છે, જ્યારે બે વાહનોને પણ નુકસાન થયું છે. ટિકિટ ફાળવણી સમયે પણ નરેશ પટેલના ઉમેદવારીને લઈને વિરોધ નોંધાયો હતો, જેના કારણે પહેલેથી જ રાજકીય તણાવ હતો. આ હુમલા બાદ સાંથલ પોલીસ સ્ટેશનએ અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા ઘટનાના કારણો અને આરોપીઓની ઓળખ માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

  • 20 Apr 2026 09:36 AM (IST)

    મહત્તમ તાપમાન 43 ડિગ્રી પર પહોંચવાની હવામાન વિભાગની આગાહી

    દેશના અનેક રાજ્યોમાં હાલ તીવ્ર ગરમીનો પ્રભાવ જોવા મળી રહ્યો છે અને હવામાન વિભાગ દ્વારા હીટવેવનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગાહી મુજબ મહત્તમ તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. રાજસ્થાનમધ્ય પ્રદેશઉત્તર પ્રદેશ અને દિલ્લીમાં આગામી દિવસોમાં આકરી ગરમી રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ પંજાબહરિયાણાછત્તીસગઢ અને ઓડિશામાં પણ ગરમીનો પ્રભાવ વધવાની આગાહી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી ત્રણ દિવસ દરમિયાન તાપમાનનો પારો સતત ઊંચો રહેશે, જેના કારણે લોકો ખાસ તકેદારી રાખે તેવી સલાહ આપવામાં આવી છે.


  • 20 Apr 2026 09:09 AM (IST)

    સુરત: ​ચલથાણની ધરા પરથી હર્ષ સંઘવીની ગર્જના

    સુરતમાં ચાલી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે ચલથાણ ખાતે નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ વિપક્ષ પર તીવ્ર શાબ્દિક પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિપક્ષની માનસિકતાનો સફાયો થવાનો સમય આવી ગયો છે અને ગુજરાત વિરોધી તત્વોને જનતા ફરી એકવાર જાકારો આપશે. હર્ષ સંઘવીએ ખેડૂતો અને મહિલાઓની સુરક્ષા મુદ્દે કોંગ્રેસને આડે હાથ લેતાં કહ્યું કે ભાજપના શાસનમાં દીકરીઓ વધુ સુરક્ષિત છે, જ્યારે કોંગ્રેસના સમયમાં પરિસ્થિતિ અલગ હતી. તેમણે દાવો કર્યો કે સુરત જિલ્લામાં ચૂંટણી પહેલા જ 44 બેઠકો પર “કેસરીયો” લહેરાયો છે અને લોકો ભાજપના વિકાસકાર્યને સમર્થન આપી રહ્યા છે. સંઘવીએ વધુમાં કહ્યું કે ગુજરાતની અસ્મિતાને ઠેસ પહોંચાડનાર કોઈપણ તત્વનો હિસાબ રાજ્યના નાગરિકો વ્યાજ સાથે કરશે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પણ નિશાન બનાવતાં તેમણે કહ્યું કે જનતા હવે સમજી ચૂકી છે અને સમયસર જવાબ આપશે. “અમે મુર્ખ નથી, સમયસર હિસાબ કરીએ છીએ” જેવા નિવેદન સાથે તેમણે ચૂંટણી પ્રચારમાં ગરમાવો ઉમેર્યો હતો.

  • 20 Apr 2026 08:46 AM (IST)

    ભાવનગર: ભાજપ બાદ કોંગ્રેસના કાર્યકરોનો પણ ઉધડો

    ભાવનગરમાં સ્થાનિક સ્તરે રાજકીય પક્ષો સામે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યકરો અને ઉમેદવારો પ્રચાર માટે પહોંચ્યા ત્યારે રહીશોએ તેમની સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. ખાસ કરીને સ્વપ્ન શિલ્પ સોસાયટીમાં લોકોએ પાયાની સુવિધાઓના અભાવને લઈ કોંગ્રેસના ઉમેદવારને ઘેર્યો અને ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી. સ્થાનિકોનો આરોપ છે કે વર્ષોથી પાણી, રસ્તા અને સફાઈ જેવી મૂળભૂત સુવિધાઓ માટે વારંવાર રજૂઆત છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. જેના કારણે અનેક સોસાયટીઓએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. રહીશોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે તેઓ હવે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ—કોઈને પણ મત આપવા તૈયાર નથી. “મહેરબાની કરીને અહીંયા કોઈએ આવવું નહીં” અને “અમને એવું લાગે છે કે અમે જંગલમાં રહીએ છીએ” જેવા ઉગ્ર નિવેદનો સાથે સ્થાનિકોએ રાજકીય પક્ષો પ્રત્યેનો અસંતોષ વ્યક્ત કર્યો છે.

  • 20 Apr 2026 08:27 AM (IST)

    મણિપુરઃ પ્રદર્શનકારી અને પોલીસ વચ્ચે ઘર્ષણ

    મણિપુરમાં બૉમ્બ બ્લાસ્ટમાં બે બાળકોના મોતના વિરોધમાં કાઢવામાં આવેલી રેલી દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું હતું. રેલી દરમિયાન સ્થિતિ વણસતા પોલીસે ટીયર ગેસના સેલ છોડીને ભીડને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસના દાવા મુજબ, કેટલાક અસામાજિક તત્વોએ સુરક્ષા દળો પર પેટ્રોલ બૉમ્બ સહિતના હથિયારો વડે હુમલો કર્યો હતો, જેના કારણે પરિસ્થિતિ વધુ તંગ બની ગઈ હતી. જોકે, બાદમાં પોલીસે કડક કાર્યવાહી કરીને સ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. આ રેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઈ હતી અને સ્થાનિકોએ બૉમ્બ બ્લાસ્ટના દોષિતોને કડક સજા કરવાની માંગ ઉઠાવી હતી. સાથે જ, મણિપુરના અનેક સંગઠનો દ્વારા પહાડી વિસ્તારોમાં સક્રિય કુકી ઉગ્રવાદીઓ સામે તાત્કાલિક એક્શન લેવા માટે પણ સરકાર પર દબાણ વધારવામાં આવ્યું છે.

  • 20 Apr 2026 08:20 AM (IST)

    વડોદરાઃ વોટ માંગવા ગયેલા ભાજપ કાર્યકરોનો રહીશોએ લીધો ઉધડો

    વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલી કૈલાશપાર્ક સોસાયટીમાં ભાજપ દ્વારા ગોઠવાયેલી મીટિંગ દરમિયાન ભારે હોબાળો સર્જાયો હતો. વોર્ડ 12માં વોટ માગવા પહોંચેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સામે રહીશો ભડકી ઊઠ્યા હતા. રહીશોએ વિસ્તારમાં વિકાસ કામો ન થયા હોવાના આક્ષેપો સાથે કાર્યકરોને ઘેર્યા અને ખરી-ખોટી સંભળાવી. પરિસ્થિતિ એટલી તંગ બની ગઈ કે કાર્યકરોને પ્રચાર અધવચ્ચે છોડીને સ્થળ પરથી ભાગવું પડ્યું હતું.

  • 20 Apr 2026 07:46 AM (IST)

    ઇરાની જહાજ પર કબજો કર્યા બાદ અમેરિકાનું નિવેદન

    ઇરાની જહાજ પર કબજો કર્યા બાદ અમેરિકાએ જણાવ્યું કે તેમની સેનાએ પહેલા જહાજને રોકાવવા માટે સ્પષ્ટ આદેશ આપ્યો હતો. અમેરિકી નેવીના યુદ્ધજહાજ USS Spruance દ્વારા આપવામાં આવેલી ચેતવણી છતાં જહાજના ચાલક દળે તેને અવગણ્યું હતું. ત્યારબાદ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અમેરિકી સેનાએ કાર્યવાહી કરી અને જહાજને નિશાન બનાવી હુમલો કર્યો હતો. અમેરિકાના આ નિવેદન બાદ આ ઘટનાને લઈને વિસ્તારમાં તણાવ વધુ ઊંડો બન્યો છે.

  • 20 Apr 2026 07:37 AM (IST)

    US નેવીના જહાજે ઇરાની જહાર પર કર્યું અનેક રાઉન્ડ ફાયરિંગ

    ઓમાનની ખાડીમાં અમેરિકા અને ઇરાન વચ્ચે તણાવ વધી ગયો છે. અમેરિકી નેવીના યુદ્ધજહાજ USS Spruance દ્વારા ઇરાનના કાર્ગો જહાજ “ટુસ્કા”ને ઇન્ટરસેપ્ટ કરવામાં આવ્યું હતું. માહિતી મુજબ, અમેરિકી સેનાએ જહાજને રોકવા માટે અનેક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેના અવાજો સામે આવેલા વીડિયોમાં સ્પષ્ટ રીતે સાંભળવા મળે છે. ત્યારબાદ અમેરિકી દળોએ જહાજ પર કબજો જમાવ્યો હોવાનું કહેવાઈ રહ્યું છે. આ ઘટનાના કારણે ઓમાનની ખાડી વિસ્તારમાં તણાવ વધુ વધી ગયો છે અને બંને દેશો વચ્ચેની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

  • 20 Apr 2026 07:25 AM (IST)

    અમેરિકા અને ઈરાન વચ્ચે બીજા રાઉન્ડની વાતચીત થશે નહીં

    ઈરાને અમેરિકા સાથે બીજા રાઉન્ડની વાતચીતનો ઇનકાર કર્યો છે. ઈરાને હોર્મુઝના નાકાબંધીને યુદ્ધવિરામનું ઉલ્લંઘન ગણાવ્યું છે. ઈરાને જણાવ્યું છે કે તેણે અમેરિકાના લશ્કરી નાકાબંધી પર ગુસ્સાને કારણે વાટાઘાટોનો ઇનકાર કર્યો છે. નાકાબંધી હટાવ્યા પછી જ તે વાટાઘાટો ફરી શરૂ કરશે.

આજે 20 એપ્રિલને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - 7:24 am, Mon, 20 April 26

Follow Us