અમરેલી જિલ્લામાં રોડ અકસ્માતમાં સિંહોના થતા મોતને રોકવા માટે વન વિભાગ અને હાઈવે ઓથોરિટી દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. અમરેલી-ભાવનગર હાઈવે પર મહુવાથી ટીંબી સુધી કુલ 19 હોટસ્પોટની ઓળખ પૂર્ણ કરવામાં આવી છે, જ્યાં સિંહોની અવરજવર વધુ રહે છે. ઉપરાંત રાજુલા-કોસ્ટલ હાઈવે પર પણ અકસ્માત અટકાવવા માટે બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. વન વિભાગ અને હાઈવે ઓથોરિટીએ સંયુક્ત મુલાકાત લઈને સ્થળ પર તપાસ હાથ ધરી હતી. હોટસ્પોટ વિસ્તારોમાં રમ્બલ સ્ટ્રીપ અને કેટઆઈ લાઈટ લગાવવાની કામગીરી હાથ ધરાશે. સાથે જ વન વિભાગે 20 રોડ સેવકોની જોગવાઈ અમલમાં મૂકી છે. ACF વિરલસિંહ ચાવડાએ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થાને લઈ માર્ગદર્શન આપ્યું હતું.
ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન હવે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યું છે. એસોસિએશને આરોપ લગાવ્યો છે કે સસ્તા અનાજની દુકાનના ધારકોએ રૂપિયા ભર્યા હોવા છતાં મે મહિનાનો અનાજનો જથ્થો હજુ સુધી પૂરતા પ્રમાણમાં આપવામાં આવ્યો નથી. જેના કારણે રેશન દુકાનદારોમાં ભારે રોષ ફેલાયો છે. એસોસિએશને સરકાર અને સંબંધિત તંત્રને 21 જૂન સુધીમાં મે મહિનાનો જથ્થો પૂરું પાડવાનું અલ્ટીમેટમ આપ્યું છે. સાથે જ ચેતવણી આપી છે કે જો સમયસર જથ્થો નહીં આપવામાં આવે તો જૂન મહિનાના અનાજના જથ્થાનું ચલણ ભરવામાં નહીં આવે.
બિહારના સસારામ રેલવે સ્ટેશન પર પટના ફાસ્ટ પેસેન્જર ટ્રેનમાં ભયંકર આગ લાગવાની ઘટના સામે આવી છે. ટ્રેન પ્લેટફોર્મ નંબર 6 પર ઉભી હતી ત્યારે એક પેસેન્જર કોચમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ એટલી વિકરાળ હતી કે થોડા જ સમયમાં આખો કોચ બળીને ખાક થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં રેલવે અને ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.
સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી હાઈવે સહિતના અનેક પેટ્રોલપંપ પર પેટ્રોલ અને ડીઝલ માટે વાહનચાલકોની લાંબી લાઈનો જોવા મળી રહી છે. પૂરતા જથ્થાના દાવાઓ વચ્ચે લોકો કેરબા અને અન્ય વાસણો લઈને પેટ્રોલ ભરાવવા ઉમટી પડ્યા હતા. અનેક પંપ પર રાત્રે જ પેટ્રોલ-ડીઝલનો જથ્થો પહોંચે છે અને થોડા જ સમયમાં ખાલી થઈ જતો હોવાની સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે વાહનચાલકોમાં ચિંતા અને અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા (UDF) વી.ડી. સતીસન આજે કેરળના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ સવારે 10 વાગ્યે તિરુવનંતપુરમના સેન્ટ્રલ સ્ટેડિયમ ખાતે યોજાશે. લોકસભામાં વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા માટે દિલ્હીથી કેરળ રવાના થયા છે. કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે.
આજે 18 મેને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:32 am, Mon, 18 May 26