સુરેન્દ્રનગરઃ જિલ્લાના લીંબડી ખાતે આવેલી વોરા સોસાયટીના એક મકાનમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાથમિક માહિતી મુજબ મોબાઇલ બેટરી ફાટતા આગ ભભૂકી ઉઠી હતી. રાત્રીના સમયે આગ લાગતાં મકાનમાં રહેલા ત્રણ લોકો ફસાઈ ગયા હતા, જેમાંથી દંપતીનું કમકમાટી ભર્યું મોત થયું છે, જ્યારે એક વ્યક્તિનો આબાદ બચાવ કરવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતા પોલીસ તેમજ સ્થાનિક વહીવટી તંત્રની ટીમો તરત જ સ્થળ પર પહોંચી બચાવ અને તપાસની કામગીરી હાથ ધરી છે.
સુરતમાં વધુ એક ભાજપના મહિલા ઉમેદવાર વિવાદમાં આવ્યા છે. વોર્ડ નંબર-8ની ઉમેદવાર વંદના ઘોઘારી સામે સંતાન અંગે વિવાદ ઊભો થયો છે. આક્ષેપ છે કે બે કરતાં વધુ સંતાન હોવા છતાં તેમણે સોગંદનામામાં તેનો ઉલ્લેખ કર્યો નથી. કોંગ્રેસે આ મામલે ગંભીર આક્ષેપો લગાવીને ચૂંટણી પંચમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી છે, જેના કારણે રાજકીય માહોલ ગરમાયો છે.
નવસારીમાં મનપા તંત્ર દ્વારા કોંગ્રેસનું કાર્યાલય બંધ કરાવવાની કાર્યવાહી કરવામાં આવી છે. વોર્ડ નંબર-2માં કોંગ્રેસ દ્વારા મંજૂરી વિના કાર્યાલય શરૂ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો, જેના આધારે મામલતદારના આદેશ બાદ મનપાએ પગલું લીધું. કાર્યાલય બંધ કરાવાતા કોંગ્રેસ ઉમેદવાર વિપુલ મકવાણાએ તંત્ર પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમનું કહેવું છે કે ખાનગી માલિકીની જગ્યામાં મંજૂરી લેવાની જરૂર નથી, છતાં પણ તેઓએ નિયમ મુજબ મંજૂરી મેળવીને કાર્યાલય શરૂ કર્યું હતું. સાથે જ તેમણે આ કાર્યવાહી ભાજપના ઇશારે કોંગ્રેસ વિરુદ્ધ કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ પણ કર્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાના દાવાને Mohammad Bagher Ghalibafએ કડક શબ્દોમાં ફગાવી દીધો છે. કાલીબાફે જણાવ્યું કે ટ્રમ્પે એક કલાકમાં કરેલા સાતેય દાવા સંપૂર્ણપણે ખોટા છે. તેમણે સ્પષ્ટ કર્યું કે નાકાબંધીની પરિસ્થિતિમાં હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લું રહી શકે નહીં અને ત્યાંથી પસાર થવા માટે ઇરાનની મંજૂરી અનિવાર્ય રહેશે. વધુમાં તેમણે કહ્યું કે જહાજોને નિર્ધારિત માર્ગ પરથી જ પસાર થવું પડશે અને હોર્મુઝ સંબંધિત નિયમો જમીનસ્તરે નક્કી કરવામાં આવશે. સોશિયલ મીડિયા પરના નિવેદનો દ્વારા હોર્મુઝ ખુલ્લું રહેશે કે બંધ તે નક્કી થતું નથી, એવો પણ તેમણે ભાર મૂક્યો.
કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના લોડાઇ ગામમાં ફૂડ પોઇઝનિંગની ઘટનાઓને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે. સતત બીજા દિવસે વધુ 34 નવા કેસ નોંધાતા કુલ પરિસ્થિતિ ગંભીર બની રહી છે. વિભાગ દ્વારા ગામમાં વ્યાપક સર્વે હાથ ધરાયો હતો, જેમાં 2671 લોકોની તપાસ કરવામાં આવી. ઉપરાંત શંકાસ્પદ ખાદ્યપદાર્થોના 6 સેમ્પલ લેબમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. રોગચાળો વધુ ન ફેલાય તે માટે સાવચેતીના પગલા તરીકે ગામમાં પકોડીની લારીઓ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
આજે 18 એપ્રિલને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:31 am, Sat, 18 April 26