અમદાવાદ શહેરના ખોખરા અને CTMને જોડતા જોડતા વિવાદિત હાટકેશ્વર ઓવરબ્રિજ તોડવાની કામગીરીમાં વિલંબ થતા સ્થાનિકોમાં ભારે રોષ..ઓવરબ્રિજના બાકીના બે સ્પાન તોડવાની કામગીરીમાં વિલંબ થતા આસપાસના દુકાનદારો અને વેપારીઓએ આજે બંધ પાળીને વિરોધ નોંધાવ્યો છે. વેપારીઓનો આક્ષેપ છે કે બ્રિજ તોડવાની કામગીરીમાં વિલંબના કારણે..આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા વધી છે અને દિવસ રાત બ્રિજના કાટમાળમાંથી ધૂળ ઉડે છે. જેના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે બ્રિજ તોડવાની કામગીરી કરનાર કોન્ટ્રાક્ટરે કોઈપણ પ્રકારની આડાશ કરી નથી. બ્રિજના કાટમાળથી ઉડતી ધૂળ સુધી લોકો સુધી પહોંચે છે. વેપારીઓની માગણી છે કે ઝડપથી બ્રિજ તોડવાની કામગીરી પૂર્ણ કરવામાં આવે.
મહીસાગર જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. જિલ્લામાં આકાશમાં વાદળછાયું વાતાવરણ છવાઈ જતા ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. જો કમોસમી માવઠું થાય તો અનેક પાકોને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખાસ કરીને ઘઉં, બાજરી, મકાઈ, સોયાબીન, મગફળી અને મગ જેવા પાકોને અસર થઈ શકે છે. ઉપરાંત ચણા, ઘાસચારો તેમજ વિવિધ ફળાઉ પાકોને પણ નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં જોવા મળી રહી છે.
ભર ઉનાળામાં ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે 18 માર્ચથી 20 માર્ચ સુધી રાજ્યના 20થી વધુ જિલ્લાઓમાં કમોસમી માવઠાનું એલર્ટ જાહેર કર્યું છે. માવઠાની શક્યતાને કારણે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે, કારણ કે પાકને નુકસાન થવાની ભીતિ છે. આગાહી મુજબ આવતીકાલથી રાજ્યમાં મહત્તમ તાપમાન અંદાજે ચાર ડિગ્રી સુધી ઘટી શકે છે. વારંવાર સર્જાતા પશ્ચિમી વિક્ષેપના કારણે ઉનાળામાં પણ ચોમાસા જેવો માહોલ સર્જાઈ રહ્યો છે. 18 માર્ચે કચ્છ, પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં વરસાદ પડી શકે છે, જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગર અને મોરબી જિલ્લામાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 19 માર્ચે રાજ્યના કુલ 22 જિલ્લાઓમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.
પંચમહાલ જિલ્લાના પૂર્વ વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. સવારથી જ આકાશમાં ચોમાસાની ઋતુ જેવી ઘનઘોર વાદળછાયા જોવા મળી રહી છે. ઠંડાગાર પવનના સુસવાટા સાથે સમગ્ર વિસ્તારમાં વાદળો છવાઈ ગયા હોવાથી ઉનાળાની વચ્ચે જ ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે. જો કમોસમી માવઠું થાય તો મહુડાના ફૂલ તેમજ કેરીના પાકને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેને કારણે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે.
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં પોલીસ પર હુમલાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ 112 પર કોલ મળ્યા બાદ પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. જોકે સ્થળ પર પહોંચતા જ પોલીસ અને કેટલાક શખ્સો વચ્ચે બોલાચાલી બાદ મારામારી શરૂ થઈ હતી. આ દરમિયાન કેટલાક લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને પોલીસ વાહનના ડ્રાઈવર પર પણ હુમલો કર્યો હતો. ઘટનામાં એક પોલીસકર્મી અને ડ્રાઈવર ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને હુમલાખોરોને પકડવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઓડિશાના કટકમાં SCB મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ભીષણ આગ લાગી. હોસ્પિટલના ટ્રોમા કેર ઇન્ટેન્સિવ કેર યુનિટમાં લાગેલી આગમાં દસ દર્દીઓના મોત થયા. આ ઘટનાથી સમગ્ર હોસ્પિટલ કેમ્પસમાં ગભરાટ ફેલાયો. ફાયર બ્રિગેડની ઘણી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ, અને આગ ઓલવવાના પ્રયાસો ચાલુ છે.
દેશભરમાં ચાલી રહેલા ગેસ સંકટ વચ્ચે ગુજરાતમાંથી રાહતના સમાચાર સામે આવ્યા છે. કચ્છના મુન્દ્રા પોર્ટ પર આજે સવારે 9.40 કલાકે LPG ટેન્કર ‘શિવાલિક’ પહોંચવાનું છે, જ્યારે આવતીકાલે કંડલા પોર્ટ પર ‘નંદા દેવી’ નામનું અન્ય LPG ટેન્કર આવશે. ભારતીય નૌસેનાએ બંને ટેન્કરોને સુરક્ષા આપીને સુરક્ષિત રીતે ભારત સુધી પહોંચાડ્યા છે. બંને ટેન્કરમાં મળી કુલ 92 હજાર 700 મેટ્રિક ટન LPG ગેસ લાવવામાં આવી રહ્યો છે, જેના કારણે દેશભરમાં ઉભી થયેલી LPGની અછત દૂર થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આજે 16 માર્ચને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:25 am, Mon, 16 March 26