PSP ડેલ્ટા કેન્ડલ વિક સિગ્નલ સૂચક મુજબ, છેલ્લા 90 દિવસમાં આજ જેવી પરિસ્થિતિ 12 વખત આવી છે. જ્યારે પણ આવું બન્યું છે, ત્યારે બીજા દિવસે, નિફ્ટી કાં તો ગેપ ડાઉન ખુલ્યો છે અથવા બજાર ગેપ ડાઉન સાથે મંદીભર્યું રહ્યું છે.
આણંદ જિલ્લાના તારાપુર નજીક ફતેપુરા ગામ પાસે આવેલા CNG પંપ નજીક ભયાનક અકસ્માત સર્જાતા 4 લોકોના મોત થયા છે, જ્યારે 5 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પ્રાથમિક માહિતી મુજબ ગુજરાત ગેસના CNG પંપ પાસે ઊભેલી ટ્રક પાછળ ટેમ્પો ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ઘટનાસ્થળે માનવ અંગો વિખેરાઈ ગયા હતા. મૃતકોમાં 2 મહિલાઓ, 1 પુરુષ અને 1 પાંચ વર્ષની બાળકીનો સમાવેશ થાય છે. તમામ મૃતકો દાહોદ તરફના મજૂર વર્ગના હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને તારાપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. Tarapur Police ઘટનાસ્થળે પહોંચી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગરના એક પરિવારને હિમાચલ પ્રદેશ પ્રવાસ દરમિયાન ગંભીર અકસ્માત નડ્યો છે. ભાવનગરથી કુલ 9 લોકો ફરવા માટે હિમાચલ પ્રદેશ ગયા હતા, ત્યારે ચંબા નજીક કિંકરી ગામ પાસે તેમનું વાહન અકસ્માતગ્રસ્ત બની ખીણમાં ખાબક્યું હતું. આ ભયાનક અકસ્માતમાં 5 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક બચાવ ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી. ઇજાગ્રસ્તોને બહાર કાઢી સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને લઈને પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.
Suratના લીંબાયત વિસ્તારમાં પોલીસ અને આરોપી વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. હત્યાના કેસમાં વોન્ટેડ રીઢા ગુનેગાર રાહુલ જોગીને ઝડપી પાડવા ગયેલી પોલીસ ટીમ પર આરોપીએ અચાનક છરી વડે હુમલો કર્યો હતો. ઘટનામાં એક પોલીસકર્મી મુકેશ બાગુલ ઇજાગ્રસ્ત થતાં પરિસ્થિતિ તંગ બની ગઈ હતી. સ્વબચાવમાં Limbayat Police Stationના PI ડી.ડી. ચૌહાણે આરોપી પર ફાયરિંગ કર્યું હતું. ગોળી આરોપીના પગમાં વાગતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. સાથે જ ઇજાગ્રસ્ત પોલીસકર્મી મુકેશ બાગુલને પણ સારવાર હેઠળ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.
Ahmedabad જિલ્લાના સાણંદ તાલુકાના સનાથલ ગામમાં નજીવી બાબતને લઈને થયેલા ઝગડામાં યુવકની હત્યાનો બનાવ સામે આવ્યો છે. પ્રાથમિક માહિતી મુજબ લગ્ન પ્રસંગ દરમિયાન કાર લઈને જવા બાબતે થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, જેમાં દેવેન્દ્રસિંહ ઉર્ફે જીગો ભરતસિંહ ચૌહાણ પર છરીના તીક્ષ્ણ ઘા ઝીંકી તેમની નિર્દયી હત્યા કરવામાં આવી હતી. ઘટનાને પગલે વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. બનાવની જાણ થતાં Changodar Police તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસે આ મામલે બે આરોપીઓને રાઉન્ડ અપ કરી આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરી છે.
નરેન્દ્ર મોદી આજે સાંજે વડોદરા ખાતે સરદારધામ-3નું ભવ્ય લોકાર્પણ કરશે. સરદારધામ પરિસરમાં ત્રણ વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં મધ્ય ડોમમાં વિશાળ સ્ટેજ પરથી PM મોદી જનસભાને સંબોધશે. લોકાર્પણ કાર્યક્રમ બાદ ગદા સર્કલથી જૂના એરપોર્ટ સુધી અંદાજે દોઢ કિમી લાંબો ભવ્ય રોડ-શો યોજાશે, જેમાં 15 વિશેષ સ્ટેજ તૈયાર કરાયા છે. સમગ્ર રૂટ પર બેનર્સ, વીજ પોલ પર આકર્ષક લાઇટિંગ, LED સ્ક્રીન્સ અને થીમ આધારિત સજાવટ કરવામાં આવી છે. સાથે જ Narendra Modi અને Sardar Vallabhbhai Patelની રોશનીથી બનાવેલી પ્રતિકૃતિઓ લોકોમાં ખાસ આકર્ષણનું કેન્દ્ર બની છે.
આજે 11 મેને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:28 am, Mon, 11 May 26