
આજે 10 જૂનને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા અમદાવાદના સાબરમતી ગાંધી આશ્રમ નવીનીકરણને અડચણરૂપ રિટ ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે. સાબરમતી આશ્રમ ટ્રસ્ટની જગ્યા પર અધિકારના દાવો કરતી રાઠોડ પરિવારની અરજીને કોર્ટે ફગાવી દિધી છે. 6000 ચો.મી જગ્યા પર વારસાગત માલિકીનો દાવો કરી રાઠોડ પરિવારે હાઇકોર્ટમાં અરજી કરી હતી. 1930-40 માં મહાત્મા ગાંધીએ તેમના પૂર્વજો માટે ભેટ આપવામાં આવી હોવાનો અરજીમાં કર્યો હતો દાવો. વિવાદિત જમીનમાં “વણકર વાસ” સહિતની જગ્યાનો સમાવેશ હતો તેમ પણ જણાવાયું હતું. અરજદારો જમીનના ભાગો પર માલિકીનો અધિકાર પુરવાર કરવામાં નિષ્ફ નીવડ્યા છે તેમ હાઇકોર્ટ ઠરાવ્યું છે. વિવાદિત સમગ્ર જગ્યા સાબરમતી આશ્રમ મેમોરિયલ ટ્રસ્ટની માલિકીની છે અને રાઠોડ પરિવારનો કોઈ હક ના હોવાનો ટ્રસ્ટનો દાવો છે. ટ્રસ્ટ વતી હાજર થયેલા જી એચ વીર્કની રજૂઆતને ધ્યાને રાખી કોર્ટે નિર્ણય આપ્યો છે. હાઇકોર્ટના નિર્ણય બાદ હવે નવીનીકરણનું કામ થશે ઝડપી.
ભરૂચના અંકલેશ્વરમાં નર્મદા નદીના કિનારે આવેલ અંબાગિરી આશ્રમમાં લૂંટ થઈ છે. લૂંટારુઓ આશ્રમના સેવકને માર મારી ચપ્પુની અણીએ સોનાની વીંટી અને રોકડા 30 હજારની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે. આશ્રમ નજીક લાકડા ના કાપવા દેવાની રીસ રાખીને સેવકને નિશાન બનાવી લૂંટ ચલાવાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આશ્રમના 2 સેવકને ઇજા પહોંચી છે.
બી ડિવિઝન પોલીસે, લૂંટ અંગેનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ગુજરાતમાં આજે કોરોનાના નવા 223 દર્દીઓ નોંધાયા છે. જેની સાથે રાજ્યમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 1227 થઈ છે. હાલમાં 23 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામા આવ્યા છે. જ્યારે 1204 દર્દીઓને ઓપીડી જેવી સારવાર આપવામાં આવી છે. હોસ્પિટલમાં દાખલ થયેલા કૂલ દર્દીઓમાંથી 105 દર્દીઓને રજા આપવામાં આવી છે. ગુજરાતના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગની અખબારી યાદીમાં આજે 10મી જૂનને મંગળવારના રોજ એક પણ મૃત્યુ કોરાનાથી થયું નથી તેમ જણાવવામાં આવ્યું છે.
અમદાવાદના જૂહાપુરામાં બે અસામાજીક તત્વોના ગેરકાયદે બાંધકામને તોડી પાડવામાં આવ્યું છે. જુહાપુરાના કુખ્યાત નઝીર વોરા બાદ વધુ આરોપીના ઘર પર ડિમોલેશન કાર્ય હાથ ધરાયુ હતું. સરફરાઝ કીટલીના ગેરકાયદેસર બાંધકામને એએમસી સત્તાવાળાઓએ તોડી પાડયું છે. જુહાપુરા ખાતે અહેસાન પાર્કમાં આવેલું છે સરફરાઝ કીટલીનું ઘર. ગ્રાઉન્ડ ફ્લોર અને ફસ્ટ ફ્લોર પર ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું. એએમસી એ પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશનની કામગીરી કરી.
મોરબીના ટંકારામાં જુગાર રમતા જુગારીઓ પાસેથી રૂપિયા 51 લાખનો તોડ કરનારા પોલીસ ઈન્સ્પેક્ટર વાય કે ગોહિલના આજે રિમાન્ડ પૂર્ણ થતા તેમને અદાલતમાં હાજર કરાયા હતા. મોરબી કોર્ટે, તોડપાણી કરનારા પોલીસ ઈન્સ્પેકટર ગોહિલને જેલમાં ઘકેલવાનો આદેશ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ટંકારાના તત્કાલીન પીઆઇ અને હેડ કોન્સ્ટેબલ દ્વારા 51 લાખનો તોડ કરવામાં આવ્યો હતો. પીઆઇ વાય કે ગોહિલના રિમાન્ડ પુરા થતા આજે ફરી કોર્ટમાં રજૂ કરાયા હતા.
છોટાઉદેપુરથી વડોદરા તરફ જતા ટ્રેલરે એક વ્યક્તિને અડફેટે લીધો હતો. નાયરા પેટ્રોલ પંપ પાસે ટ્રેલરની ટક્કર વાગતા બાઈક ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું. છોટાઉદેપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી
અમદાવાદમાં આવતીકાલ બુધવારે યોજાશે ભગવાન જગન્નાથની જળયાત્રા. જળયાત્રાને લઈને જગન્નાથ મંદિરના વ્યવસ્થાપકો દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. જગન્નાથ મંદિર, સાબરમતી નદી ભૂદરના આરાથી ભગવાન જગન્નાથ મંદિરે સુધી યોજાતી જળયાત્રામાં ગજરાજ, ભજન મંડળીઓ, સાધુ સંતો સહિત ભક્તગણ જોડાશે. ગજરાજને જળયાત્રા માટે વિશેષ શણગાર કરાયો છે. જળયાત્રામાં 14 ગજરાજ જોડાશે.
સુરેન્દ્રનગરના લીંબડી અમદાવાદ હાઇવે ઉપર અકસ્માત સર્જાયો છે જેમા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. જાખણ નજીક છોટા હાથી ટેમ્પોનું ટાયર ફાટતાં અકસ્માત સર્જાયો હતો. ડ્રાઇવરનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. મૃતદેહને પીએમ માટે લીંબડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
વિશ્વ યોગ દિવસ-2025ની ઉજવણીના ભાગરૂપે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આવતીકાલ 11 જૂનના રોજ સવારે 5.30 થી 7.30કલાક દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને યોગશિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ સ્થિત ઇવેંટ સેન્ટર ખાતે આયોજિત આ વિશિષ્ટ યોગશિબિરમાં આશરે 10 હજારથી વધુ યોગપ્રેમીઓ યોગાભ્યાસ કરશે. તદુપરાંત મુખ્યમંત્રી, કાર્યક્રમમાં સહભાગી થયેલા યોગપ્રેમીઓને યોગના પ્રાચીન જ્ઞાનને નવી પેઢી સુધી પહોંચાડવાનો સંદેશ આપશે. આ અવસરે રમતગમત મંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિ રહેશે.
ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને, અમદાવાદના જમાલપુર જગન્નાથ મંદિરે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ વર્ષે જળયાત્રા માટેનુ જળ સાબરમતી રિવરક્રુઝમાં સવાર થઈને સાબરમતી નદીમાંથી પાણી ભરવામાં આવશે. આ વર્ષની જળયાત્રામાં જળ ભરવાની વિધિ ઐતિહાસિક બનશે. જગન્નાથ મંદિરના મહંત, ટ્રસ્ટીઓ અને મહેમાનો ક્રૂઝમાં સવાર થશે. ક્રુઝમાં સવાર થઈને સાબરમતી નદીમાંથી જળ લીધા બાદ, સાબરમતીના કિનારે આવેલ ભુદરના આરે લાવવામાં આવશે સાબરમતી નદીનું જળ. ભુદરના આરે સાબરમતી નદીના પાણીનું પૂજન બાદ જળ મંદિરમાં લાવવામાં આવશે. પરંતુ જો સાબરમતી નદીમાં પાણીનું લેવલ જણાશે તો જ રિવર ક્રૂઝમાં જળયાત્રાનુ જળ ભરવાની વિધિ કરાશે.
સુરત શહેરમાંથી SOG એ ફરી પ્રતિબંધિત E-સિગરેટ ઝડપી પાડી છે. SOG પોલીસે, બાતમીના આધારે દરોડા પાડીને રૂપિયા 1.71 કરોડની E સિગરેટ ઝડપી પાડી છે. ટેટુ પાડવાના ધંધાની આડમાં E-સિગરેટનું વેચાણ કરવામાં આવતું હતું. પોલીસે બાતમીના આધારે અડાજણ અને પાલ વિસ્તારમાં રેડ કરી હતી. આરોપી મંથન શાહ અને જનક પટેલ પાસે E સિગરેટનો જથ્થો મળી આવ્યો છે. મંથન શાહ દિલ્હીથી લાવ્યો હતો પ્રતિબંધિત E-સિગરેટનો જથ્થો. પોલીસે ઈ સિગારેટનો જથ્થો કબ્જે કરી વધુ તપાસ શરૂ કરી.
જૂનાગઢ SOG પોલીસે, પોરબંદરના હિરલ બા જાડેજા અને તેના અન્ય 2 સાગરીતોની ધરપકડ કરવામાં આવી છે. સાયબર ફ્રોડના ગુન્હામાં ધરપકડ કરાઈ છે. હિરલ બા અને તેના સાગરીતોએ 3 લોકોના નામે બોગસ પેઢી બનાવી પૈસાની હેરા ફેરી કરી હતી. કુલ 3 ઈસમોના નામે 22 બેંક એકાઉન્ટ તૈયાર કરાવી પૈસાની કરાઇ હતી હેરાફેરી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
કેરળ: કાર્ગો શિપમાં વિસ્ફોટ બાદ આગની ઘટના બની હતી. આગને કાબૂમાં લેવા સતત ઑપરેશન યથાવત છે. જહાજ પર સતત વિસ્ફોટ થઈ રહ્યા છે. દુર્ઘટના સમયે જહાજ પર 22 ક્રૂ મેમ્બર્સ સવાર હતા. 18 ક્રૂ મેમ્બર્સનું રેસ્ક્યુ કરાયું, 4 હજુ પણ ગૂમ છે.
સુરતઃ નવી સિવિલ હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. 4 દિવસથી ડાયાલિસિસ મશીન બંધ થતા હાલાકી થઇ રહી છે. 14માંથી 4 મશીનો બંધ રહેતા દર્દીઓને હાલાકી થઇ રહી છે. ડાયાલિસિસ મશીન બંધ હોવાથી દર્દીઓ રઝળ્યા છે.
વડોદરાઃ પાદરામાં મહિલાઓને મધમાખીએ ડંખ માર્યા. વડ સાવિત્રીના વ્રત વખતે મધમાખીઓ ત્રાટકી હતી. 7 મહિલાને મધમાખીઓએ ડંખ માર્યા. ઈજાગ્રસ્ત મહિલાઓ સારવાર હેઠળ છે.
સુરત: ખટોદરા વિસ્તારમાં પ્રેમ લગ્નનો કરૂણ અંજામ આવ્યો છે. 20 વર્ષીય પરિણીતાએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો. અન્ય જાતિના હોવાથી સાસરીયા પક્ષ દ્વારા ત્રાસ અપાતો હોવાનો આક્ષેપ છે. 7 મહિના અગાઉ જ પ્રેમ લગ્ન થયા હતા. પતિ સહિત સાસરીયા પક્ષ ત્રાસ આપતા હોવાનો દાવો છે. પોલીસે એટ્રોસિટી મુજબ ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી.
અમદાવાદ: કુખ્યાત નઝીર વોરાના ગેરકાયદે બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફર્યુ છે. જુહાપુરા સ્થિત ગેર બાંધકામ તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે. 1000 વાર જગ્યા પર બાંધેલા ઝુબેદા હાઉસ પર બુલડોઝર ફરી વળ્યું. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ગેરકાયદે બાંધકામ પહોંચ્યા. આરોપી નઝીર વોરા પર 29 થી વધુ ગુના નોંધાયેલા છે.
રાજકોટ: વાણીયાવાડીમાં ACBએ લાંચ લેતાં 2 શખ્સને ઝડપ્યા છે. પાળ ગામની ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટના MD, ક્લાર્કની ધરપકડ કરી. રૂપિયા 2 લાખની લાંચ લેતાં રંગે હાથ પકડાયા છે. ગુણવંતરાય ખીરા અને ધર્મેન્દ્ર ખીરાની ધરપકડ કરી. ફરિયાદી નિવૃત શિક્ષક પાસે લાંચ માગી હતી. મોંઘવારી, રજા, એરિયર્સના 12 લાખ અપાવવા લાંચ માગી હતી.
હવામાન વિભાગનું કહેવું છે કે ગુજરાતમાં ચોમાસું 15 જૂનની આસપાસ જ આવી શકે છે. દર વર્ષે ચોમાસું 15 જૂનની આસપાસ જ એન્ટ્રી કરે છે. જેથી હજુ પણ હવામાન વિભાગ પોતાના અનુમાન પર કાયમ છે. જો કે આગાહીકાર અંબાલાલનું અનુમાન છે કે 12થી 15 જૂન સુધીમાં ગુજરાતમાં પહોંચશે ચોમાસું. 15થી 19 જૂન સુધીમાં ચોમાસું કેટલાક વિસ્તારોને આવરી લેશે. સુરેન્દ્રનગર, ચોટીલા અને હળવદમાં વરસાદની શક્યતા છે. જ્યારે વડોદરા અને પંચમહાલમાં અતિ ભારે વરસાદની સંભાવના છે. ભાવનગર, બોટાદ, અમરેલીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં કડી, કલોલ, મહેસાણામાં ધોધમાર વરસાદ વરસી શકે છે. દક્ષિણ મહારાષ્ટ્ર અને મુંબઈના ભાગોમાં હવે ચોમાસું સક્રીય થશે. પછી ચોમાસું ગુજરાત તરફ આગળ વધશે.
Published On - 7:39 am, Tue, 10 June 25