અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રાને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. રથયાત્રા પૂર્વે મેયર, મંદિરના ટ્રસ્ટીઓ તેમજ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર રથયાત્રા રૂટનું નિરીક્ષણ કર્યું હતું. યાત્રા દરમિયાન કોઈ અવરોધ ન સર્જાય તે માટે માર્ગ પર આવેલા જર્જરિત મકાનોની તપાસ, રસ્તાઓના સમારકામ તેમજ વૃક્ષોની ડાળીઓના ટ્રિમિંગ સહિતની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. યાત્રા સુચારુ અને સુરક્ષિત રીતે સંપન્ન થાય તે માટે તંત્ર તમામ જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરી રહ્યું છે.
રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસોને લઈને ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. અત્યાર સુધીમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કારણે 5 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જેમાં માત્ર સાબરકાંઠાના હિંમતનગરમાં જ 7 દર્દીઓમાંથી 3 દર્દીઓના મોત થયા છે. મૃત્યુ પામેલા ત્રણ દર્દીઓમાંથી એકનો રિપોર્ટ ચાંદીપુરા વાયરસ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે એક બાળકનો રિપોર્ટ નેગેટિવ હોવા છતાં તેનું મોત થયું છે. અન્ય એક મૃતકનો રિપોર્ટ હજુ આવવાનો બાકી છે. હાલ બે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સમગ્ર ઘટનાને લઈને જિલ્લા આરોગ્ય વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે અને મહત્વની માહિતી છુપાવવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર મામલે તપાસ અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
ઈરાન અને અમેરિકા વચ્ચેનો તણાવ ફરી એકવાર ખુલ્લા સંઘર્ષમાં ફેરવાયો છે. અમેરિકાએ ઈરાનના અનેક વ્યૂહાત્મક સ્થળો પર હવાઈ હુમલા કર્યા હોવાનું સામે આવ્યું છે. દક્ષિણ ઈરાનના વ્યૂહાત્મક ચાબહાર પોર્ટ પર પ્રથમ વખત અમેરિકાએ હુમલો કર્યો હોવાનું અહેવાલો સૂચવે છે. હુમલા દરમિયાન ચાબહારના ટ્રાફિક કંટ્રોલ ટાવર અને ઈમામ અલી બેઝ સહિતના મહત્વના લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા હોવાનું કહેવાય છે. ચાબહાર પોર્ટના શાહિદ બેહેશ્તી પોર્ટ વિસ્તારમાં પણ ભારે નુકસાન થયાના અહેવાલો સામે આવ્યા છે. આ હુમલા બાદ મધ્ય પૂર્વમાં ફરીથી યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે અને વૈશ્વિક સ્તરે ચિંતા વધી છે. ચાબહાર પોર્ટ ભારત માટે પણ વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે, જ્યાં ભારતે અંદાજે ₹1,000 કરોડનું રોકાણ કર્યું હતું. જોકે હુમલાથી ભારતના રોકાણને કેટલી અસર થઈ છે તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.
ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધી સરેરાશ માત્ર 9 ઈંચ વરસાદ નોંધાયો છે, જે સિઝનના કુલ સરેરાશ વરસાદના માત્ર 24.63 ટકા જેટલો છે. ગત વર્ષની સરખામણીએ રાજ્યમાં 23.37 ટકા ઓછો વરસાદ નોંધાતા કૃષિ અને જળસંચય અંગે ચિંતા વધી છે. ગયા વર્ષે 9 જુલાઈ સુધીમાં રાજ્યમાં સરેરાશ 16.45 ઈંચ વરસાદ વરસ્યો હતો. હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી એક અઠવાડિયા દરમિયાન રાજ્યમાં વ્યાપક વરસાદની શક્યતા નહીંવત્ છે અને વિવિધ વિસ્તારોમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની જ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
મહારાષ્ટ્રના નાંદેડ-લાતુર રોડ પર આવેલા એક વર્ષ પહેલાં બનાવાયેલા ફ્લાયઓવરનો એક હિસ્સો અચાનક ધરાશાયી થતાં ભારે અફરાતફરી મચી હતી. બ્રિજનો કાટમાળ નીચે પડતાં ત્યાંથી પસાર થતા કેટલાક વાહનચાલકો માંડમાંડ બચી ગયા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની કે ઇજાના અહેવાલ સામે આવ્યા નથી. ઘટનાની જાણ થતાં સ્થાનિક તંત્ર અને પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને વિસ્તારને સુરક્ષિત કરી વધુ તપાસ હાથ ધરી છે.
ખેડાના કપડવંજમાં 27 જૂને થયેલા ફટાકડા ફેક્ટરીના પ્રચંડ બ્લાસ્ટ કેસમાં પોલીસને મહત્વની સફળતા મળી છે. વિસ્ફોટના 11 દિવસ બાદ ફેક્ટરી માલિક અને મુખ્ય આરોપી મિતુલ પટેલની બાતમીના આધારે ધરપકડ કરવામાં આવી છે. કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પ્રાથમિક તપાસમાં મંજૂરી વિના ગેરકાયદેસર રીતે ફેક્ટરી ચલાવવામાં આવતી હોવાનો આરોપ સામે આવ્યો છે. આ દુર્ઘટનામાં બે શ્રમિકો ગંભીર રીતે દાઝ્યા હતા, જેમાં એક શ્રમિકનું સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસનું માનવું છે કે આરોપીની પૂછપરછ દરમિયાન વિસ્ફોટ કેસમાં વધુ મહત્વના ખુલાસા થઈ શકે છે.
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મધ્યરાત્રિએ પૂરગ્રસ્ત વિસ્તારોમાં સફાઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
Gujarat Deputy Chief Minister Harsh Sanghavi conducted a midnight ground inspection of cleanup operations in flood-affected areas.
(Image source: X/Harsh Sanghvi) pic.twitter.com/OIKvg3BSzz
— ANI (@ANI) July 9, 2026
દેશભરમાં ચોમાસું સંપૂર્ણપણે સક્રિય થઈ ગયું છે. ગુજરાત, દિલ્હી-એનસીઆર અને ઉત્તર પ્રદેશ સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવી છે.
આજે 10 જુલાઈને શુક્વારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:33 am, Fri, 10 July 26