10 એપ્રિલના મહત્વના સમાચાર : અમરેલીના રાજુલાના જાફરાબાદમાં મોડી રાત્રે આવ્યો ભૂકંપ

આજે 10 એપ્રિલને  શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

10 એપ્રિલના મહત્વના સમાચાર : અમરેલીના રાજુલાના જાફરાબાદમાં મોડી રાત્રે આવ્યો ભૂકંપ
| Edited By: | Updated on: Apr 10, 2026 | 11:01 AM

LIVE NEWS & UPDATES

  • 10 Apr 2026 11:01 AM (IST)

    સુરત મનપાની ચૂંટણીમાં ટિકિટ વહેંચણી મુદ્દે આવ્યો ગરમાવો

    સુરત મનપાની આવનારી ચૂંટણીમાં ટિકિટ વહેંચણીને લઈને ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના મવડી મંડળમાં ઉમેદવારોની પસંદગી મુદ્દે પેચ ફસાયો હોવાનું જાણવા મળ્યું છે. સેન્સ પ્રક્રિયામાં આવેલા કુલ 2062 દાવેદારોનું લિસ્ટ ફરીથી પ્રદેશ સ્તરે મંગાવવામાં આવ્યું છે, જેથી સમગ્ર પ્રક્રિયાનો પુનઃમૂલ્યાંકન થઈ શકે. સ્થાનિક નેતાઓ દ્વારા પોતાના માનીતા ઉમેદવારોના નામ આગળ ધપાવવા માટે લોબિંગ કરવામાં આવ્યું હોવાની રાવ સામે આવી છે, જેના કારણે સંનિષ્ઠ કાર્યકરોની બાદબાકી થવાની ફરિયાદો ઉઠી છે અને આ મુદ્દો સીધો ગાંધીનગર સુધી પહોંચી ગયો છે. ધારાસભ્યો અને સંગઠન વચ્ચેના જૂથવાદને કારણે સમગ્ર પ્રક્રિયા વધુ ગૂંચવાઈ ગઈ છે. ખાસ કરીને સુરતના પાટીદાર વિસ્તારના ઉમેદવારો નક્કી કરવામાં પણ ભારે ખેંચતાણ ચાલી રહી છે. હવે લિસ્ટના પુનઃમૂલ્યાંકન બાદ જ અંતિમ ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવશે તેવી શક્યતા છે.

  • 10 Apr 2026 09:45 AM (IST)

    આણંદ: કોંગ્રેસના યુવા નેતાને ‘નેતાગીરી’ ભારે પડી

    આણંદમાં કોંગ્રેસના યુવા નેતાને ‘નેતાગીરી’ ભારે પડી હોવાનું સામે આવ્યું છે. ગણેશ ચોકડી વિસ્તારમાં કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરતા યુવા નેતા હર્ષિલ લંડનવાલાની પોલીસે ધરપકડ કરી છે. રેલવે ઓવરબ્રિજની કામગીરીને કારણે ગણેશ ચોકડીથી અમૂલ ડેરી સુધીનો માર્ગ સુરક્ષા કારણોસર બંધ રાખવામાં આવ્યો હતો, છતાં બેરિકેડ્સ હટાવી વાહનવ્યવહાર શરૂ કરાતા લોકોના જીવને જોખમ ઉભું થયું હતું. આ મામલે આણંદ ટાઉન પોલીસ દ્વારા જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


  • 10 Apr 2026 09:08 AM (IST)

    ઢોંસાકાંડમાં દંપતીના બ્લડ સેમ્પલમાંથી પણ એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ મળ્યું

    અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બે બાળકીઓના શંકાસ્પદ મોતનો મામલો વધુ ગૂંચવણભર્યો બન્યો છે. તપાસ દરમિયાન દંપતીના બ્લડ સેમ્પલમાંથી એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ મળ્યું છે, જ્યારે બાળકીઓના શરીરમાંથી પણ આ જ ઝેરી પદાર્થ મળ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બાળકીઓના પિતાએ અનાજમાં મુકવાની 10 ઝેરી દવાઓ ખરીદી હતી, જેમાંથી 8 મળી આવી છે અને બાકી 2 દવાઓ ક્યાં વપરાઈ તે દિશામાં તપાસ ચાલી રહી છે. આ સમગ્ર ઘટનામાં સામૂહિક આપઘાતનો પ્રયાસ કે પછી હત્યાની સંભાવના છે કે કેમ તે મુદ્દે તપાસ એજન્સીઓ સઘન તપાસ કરી રહી છે. હવે બાળકીઓના પોસ્ટમોર્ટમ (PM) રિપોર્ટ અને FSL રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે.

  • 10 Apr 2026 08:42 AM (IST)

    અમરેલી: રાજુલાના જાફરાબાદમાં મોડી રાત્રે આવ્યો ભૂકંપ

    અમરેલી જિલ્લામાં આવેલા રાજુલાના જાફરાબાદ વિસ્તારમાં મોડી રાત્રે ભૂકંપનો ઝટકો અનુભવાયો હતો, જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. રાત્રે લગભગ 2:24 કલાકે આવેલા આ 3.7 તીવ્રતાના ભૂકંપથી પીપાવાવ કોસ્ટલ બેલ્ટ સહિત આસપાસના વિસ્તારોમાં ધરા ધ્રુજી ઉઠી હતી અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ મહુવા હોવાનું સામે આવ્યું છે. આ ઝટકાની અસર ખાંભા અને સાવરકુંડલા સહિતના વિસ્તારોમાં પણ જોવા મળી હતી, જ્યાં કેટલાક ઘરોની દિવાલોમાં તિરાડો પડતા લોકોમાં ભયની લાગણી વધુ વધી હતી.

  • 10 Apr 2026 08:38 AM (IST)

    આજે નાસાનું ઓરાયન ચંદ્રયાત્રા પરથી પરત પૃથ્વી પર ફરશે

    નાસા નું ઓરાયન ચંદ્ર મિશન આજે સફળ ચંદ્રયાત્રા પૂર્ણ કરીને પૃથ્વી પર પરત ફરવા જઈ રહ્યું છે. યાન લગભગ 40 હજાર કિમી પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરશે અને ત્યારબાદ ચારેય અવકાશયાત્રીઓ સાન ડિયેગો નજીક સમુદ્રમાં સુરક્ષિત રીતે ઉતરશે. ભારતીય સમય અનુસાર સાંજે 5:07 વાગ્યે આ ઐતિહાસિક ક્ષણ સર્જાશે, જેને વૈજ્ઞાનિકો અને વિશ્વભરના લોકો આતુરતાથી જોઈ રહ્યા છે.

  • 10 Apr 2026 07:41 AM (IST)

    નીતિશ કુમાર આજે રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લેશે

    બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર આજે બપોરે 12:15 વાગ્યે રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લેશે. ત્યારબાદ તેઓ પટના પરત ફરશે.

  • 10 Apr 2026 07:38 AM (IST)

    યુદ્ધ વિરામ વચ્ચે ઇઝરાયલના લેબેનોન પર ઘાતક પ્રહાર

    યુદ્ધ વિરામની સ્થિતિ વચ્ચે ઇઝરાયલ દ્વારા લેબેનોન પર કરવામાં આવેલા ઘાતક હુમલાઓએ પરિસ્થિતિને ફરીથી તંગ બનાવી દીધી છે. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ હિઝબુલ્લાહ ના ઠેકાણાઓને નિશાન બનાવી ભીષણ પ્રહાર કર્યા, જેમાં અંદાજે 10 લોન્ચર પેડ તબાહ થયા હોવાનું જણાવાયું છે. આ હુમલાઓના કારણે લેબેનોનમાં મોટાપાયે તબાહી સર્જાઈ છે અને પ્રદેશમાં ફરી એકવાર અશાંતિનું માહોલ ઉભું થયું છે.

  • 10 Apr 2026 07:23 AM (IST)

    આજે પાકિસ્તાનમાં ઈરાન-અમેરિકા વાટાઘાટો યોજાશે

    પાકિસ્તાન આજે અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટોનું આયોજન કરશે. આનો ઉદ્દેશ્ય યુદ્ધવિરામને મજબૂત બનાવવાનો અને પશ્ચિમ એશિયામાં તણાવ ઘટાડવાનો છે.

આજે 10 એપ્રિલને  શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - 7:22 am, Fri, 10 April 26

Follow Us