આજે 10 એપ્રિલને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં રાજકોટ મહાનગરપાલિકાના ઉમેદવારોના નામ ચર્ચાયા બાદ, આખરે જાહેર કરવામાં આવી છે.
મનપા ટિકિટ વહેચણીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મણિનગર વિધાનસભામાં આવતા વોર્ડને લઈને કોકડું ગૂંચવાયું છે. પરાગ નાઈકના નામની જાહેરાત બાદ આક્ષેપ પ્રતિ આક્ષેપનો મારો થયો છે. પેનલમાં આવેલા તમામ નામોને લઈને માથાકૂટ થવા પામી હતી. દાવેદારો પર ભ્રષ્ટાચાર, ગુનાહિત કાવતરામાં સામેલ હોવા સહિતના મામલે છાંટા ઉડ્યા છે. બેઠકમાં વિવાદ વધુ વકરતા ધારાસભ્ય સહિત તમામને રવાના કરી દેવાયા છે. અમદાવાદ પૂર્વના મોટા ભાગના વોર્ડ મામલે અસમંજસની સ્થિતિ.
પંચમહાલ જિલ્લામાં આવતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. ભાજપે મહદઅંશે નો રિપીટ થિયરી અપનાવી છે. જિલ્લા પંચાયતની 38 બેઠકોમાં 36 બેઠકો પર નવા ચેહરા અને 2 ઉમેદવારોને રિપિટ કરાયા છે. 7 તાલુકા પંચાયતની 178 બેઠકો 172 બેઠકો પર નવા ચહેરા અને 6 બેઠકો પર ઉમેદવારોને રિપીટ કરાયા છે. ગોધરા નગરપાલિકાની જાહેર કરવામાં આવેલી 26 બેઠકો પૈકી 23 બેઠકો પર નવા ચહેરા જ્યારે 3 ઉમેદવારોને કરાયા રિપીટ કરાયા છે.
અમદાવાદના ચાંદખેડામાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાને મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી માટેની ટિકિટ આપવામાં આવતા અનુ.જાતિ મોરચાના વોર્ડ પ્રમુખ નારાજ થયા છે. ચાંદખેડા વોર્ડના અનુસૂચિત જાતિ મોરચાના ચાંદખેડા વોર્ડના પ્રમુખ હિરેન પરમાર ભાજપ શહેર કાર્યાલયે પહોચ્યા હતા. ભાજપમાં અનુસૂચિત જાતિના પાયાના કાર્યકર્તાઓની અવગણના કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ચાંદખેડામાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જેંતીલાલ જાદવના, યશ જાદવને ટિકિટ આપવામાં આવી છે.
અમદાવાદમાં કોંગ્રેસ ઉમેદવારો અને પૂર્વ ધારાસભ્ય સામે દરિયાપુર વોર્ડમાં આક્રોશ. કોંગ્રેસના ઉમેદવારો અને પૂર્વ ધારાસભ્યના વિરોધમાં પત્રિકા વાયરલ થઈ છે. દરિયાપુર વિસ્તારમાં કોંગ્રેસને મત નહીં આપવાના પોસ્ટર પણ લાગ્યા છે. ચારવાટ વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવારોએ પ્રવેશ ના કરવાના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. વાયરલ પત્રિકામાં પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સામે આક્રોશ. છેલ્લા 15 વર્ષમાં પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટરોએ વિકાસ ના કર્યો હોવાનો પત્રિકામાં દાવો કરાયો છે.
જૂનાગઢ જિલ્લા પંચાયત 27 સાસણ બેઠક પર ભડકો થયો છે. ભાજપના પૂર્વ જિલ્લા પંચાયતના મહિલા સદસ્ય નિર્મળા બુહાના પુત્ર જોલીત બુહાએ કોંગ્રેસનો હાથ પકડ્યો. પોતાને તેમજ તેમની માતાને ટિકિટ નહીં મળતા ભાજપનો સાથ છોડ્યો. અમે સક્ષમ ઉમેદવાર હોવા છતા અમારી કરી બાદબાકી તેમ જોલીત બુહાએ કહ્યું છે. અમે ખેડૂતો માટે અવાજ ઉઠાવતા ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ બાદબાકી કરી હોવાનો આક્ષેપ કર્યો છે.
મથુરાના વૃંદાવનમાં યમુના નદીમાં 32 શ્રદ્ધાળુઓને લઈ જતી હોડી પલટી ગઈ. આ અકસ્માતમાં 10 શ્રદ્ધાળુઓ ડૂબી ગયા. હોડીમાં સવાર તમામ લોકો પંજાબથી મથુરા મુલાકાત લેવા માટે ગયા હતા. યમુનામાં પોન્ટૂન પુલ સાથે અથડાયા બાદ હોડી પલટી ગઈ, જેના કારણે મુસાફરો ડૂબવા લાગ્યા હતા.
ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં મંજૂરી મળ્યાં બાદ, વડોદરા મહાનગરપાલિકાના 19 વોર્ડના 76 ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. આવતીકાલે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ છે. આથી ભાજપના તમામ ઉમેદવારો આવતીકાલે તેમની ઉમેદવારી નોંધાવશે.
ભારતીય જનતા પાર્ટીએ આજે વાપી મહાનગરપાલિકા તેમજ વલસાડ જિલ્લા પંચાયતની 36 બેઠક, વલસાડ તાલુકા પંચાયત, પારડી તાલુકા પંચાયત, ઉમરગામ તાલુકા પંચાયત, કપરાડા તાલુકા પંચાયત, ધરમપુર તાલુકા પંચાયત, નાના પૌંઢા તાલુકા પંચાયત, ઉમરગામ નગરપાલિકાના ઉમેદવારો જાહેર કર્યાં છે. ભારતીય જનતા પાર્ટીએ આજે વાપી મહાનગરપાલિકાના 13 વોર્ડના 52 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.
વાપી મહાનગરપાલિકાના ઉમેદવારો
વલસાડ જિલ્લા પંચાયત, વલસાડ તાલુકા પંચાયત, પારડી તાલુકા પંચાયત, ઉમરગામ તાલુકા પંચાયત, કપરાડા તાલુકા પંચાયત, ધરમપુર તાલુકા પંચાયત, નાના પૌંઢા તાલુકા પંચાયત, ઉમરગામ નગરપાલિકાના ઉમેદવારો
ભારતીય જનતા પાર્ટીએ, અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને ઉમેદવારોને ફોન કરવાનું શર્યું કર્યું છે. અમદાવાદના બોડકદેવ વોર્ડમાં વર્તમાન કોર્પોરેટર અને સ્ટેન્ડિગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીને રિપીટ કર્યાં છે. એએમટીએસના ચેરમેન ધરમશી દેસાઈને પણ ટિકિટ આપવામાં આવી છે.
બોડકદેવ વોર્ડ ભાજપ વોર્ડ ઉમેદવાર
દેવાંગ દાણી
ધરમશી દેસાઇ
ભાવનાબેન પટેલ
પારુલ મકવાણા
=========
અમદાવાદમાં વિધાનસભા વાઇસ કરવામાં આવી રહી છે ટેલિફોનીક જાણ. વેજલપુર વિધાનસભામાં આવતા તમામ વોર્ડમાં કરાઈ ટેલીફોનિક જાણ. સરખેજ વોર્ડના ઉમેદવારોને ટેલીફોનિક જાણ કરાઈ છે.
રાજુ શુક્લા
દ્વિયેશ ત્રિપાઠી
હેમા શાહ
જેઠી ભરવાડ
==========
વેજલપુર વોર્ડના ઉમેદવારોને પણ ટેલિફોનિક સુચનાઓ આપવામાં આવી છે.
– દેવાંગ મહેતા
– પારુલ દવે
– રાજેશ ઠાકોર
– જુલી ચૌહાણ
=============
જોધપુર વોર્ડમાં મહિલા ઉમેદવાર ભારતી ગોહિલને રિપિટ કરવામાં આવ્યા છે. જ્યારે બાકીના ત્રણ નવા ચહેરાને સ્થાન આપવામાં આવ્યું છે.
– ભાગ્યેશ પટેલ
– વિનોદ પટેલ (જાખડ)
– ભારતીબેન ગોહિલ
– નયનાબેન કોટક
વડોદરા: ST ડેપો પર દુર્ઘટનામાં એકનું મોત થયુ છે. શેડ ધરાશાયી થતા એક વ્યક્તિનું મોત થયુ. ફાયર વિભાગની ટીમે કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી. ST ડેપો પરથી દરરોજ હજારો બસોની અવરજવર થાય છે. શેડ ધરાશાયી થતા બસ સેવાને અસર પહોંચી છે.
ગુજરાતમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ હવે ઉમેદવારોની અન્ય કોઈ યાદી જાહેર નહીં કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. પાર્ટીએ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સીધા જ મેન્ડેટ મોકલી આપ્યા છે, જેથી ઉમેદવારોને સમયસર ચૂંટણી પ્રક્રિયામાં જોડાઈ શકાય. આ મેન્ડેટ પ્રભારીઓ અને નિરીક્ષકો મારફતે સંબંધિત ઉમેદવારો સુધી પહોંચાડવાની જવાબદારી સોંપવામાં આવી છે. કોંગ્રેસે ઉમેદવારોને સૂચના આપી છે કે તેઓ મેન્ડેટ મળતા જ સીધા ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરે. આ પગલાથી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને વધુ ઝડપી અને સુગમ બનાવવા પાર્ટી પ્રયાસ કરી રહી છે.
સુરેન્દ્રનગરમાં ભારતીય જનતા પાર્ટી તરફથી ટિકિટ ન મળતા પાટીદાર સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સુરેન્દ્રનગર મનપાની ચૂંટણીમાં 52માંથી માત્ર 1 પટેલ ઉમેદવારને ટિકિટ આપવામાં આવતા પાટીદાર આગેવાનો દ્વારા અન્યાય થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આશરે 50 હજાર પાટીદાર મતદારોની અવગણના કરવામાં આવી હોવાનું પણ જણાવાયું છે. આ મુદ્દે પાટીદાર સમાજે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે અને ભાજપની ટિકિટ વહેંચણી પ્રક્રિયા સામે નારાજગી વ્યક્ત કરી છે. પાટીદાર આગેવાનોએ ભાજપ સામે બાંયો ચડાવતા રાજકારણ ગરમાયું છે. હાલ પાટીદાર સમાજ દ્વારા બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે અને આગામી સમયમાં નિર્ણાયક લડત માટે તૈયારી ચાલી રહી છે.
મહેસાણામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધ્યો છે, છતાં ટિકિટોની જાહેરાત હજી બાકી રહેતા કાર્યકરોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. ભાજપ અને કોંગ્રેસ બંનેના કાર્યાલયોએ ટિકિટની રાહ જોતા કાર્યકરોની અવરજવર ચાલુ છે. કોંગ્રેસ તરફથી અત્યાર સુધી માત્ર વોર્ડ-13ના ચાર ઉમેદવારોની જ જાહેરાત કરવામાં આવી છે, જ્યારે મનપા, તાલુકા અને જિલ્લા પંચાયત માટેના ઉમેદવારોના નામ હજી જાહેર થયા નથી. બીજી તરફ ભાજપે પણ મહેસાણામાં એકપણ ઉમેદવારનું નામ જાહેર ન કરતા કમલમ કાર્યાલયમાં સન્નાટો છવાયો છે. બંને પક્ષોની મૌન સ્થિતિને કારણે કાર્યકરોમાં અનિશ્ચિતતા અને ચર્ચાઓનું માહોલ ઊભું થયું છે.
ઉમેદવારોની જાહેરાત પહેલા અસંતોષને રોકવા માટે ભાજપે નવી રણનીતિ અપનાવી હોવાના સંકેતો સામે આવ્યા છે. ઉમેદવારોની જાહેરાત બાદ આંતરિક માથાકૂટ ન થાય તે માટે ‘પાણી પહેલા બાંધી પાળ’ જેવી વ્યૂહરચના અપનાવવામાં આવી રહી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ દરમિયાન અમદાવાદ, સુરત અને રાજકોટમાં શહેર ભાજપ પ્રમુખના નામે કેટલાક પોસ્ટર વાયરલ થયા છે, જેમાં “આપણો ઉમેદવાર માત્રને માત્ર કમળ” જેવા સૂત્રો જોવા મળ્યા છે. ઉમેદવારોની સત્તાવાર જાહેરાત પહેલા શહેર પ્રમુખ પ્રેરક શાહ દ્વારા આડકતરી રીતે આપવામાં આવેલા આ સંદેશને પાર્ટીની અંદર એકતા જાળવવાનો પ્રયાસ ગણવામાં આવી રહ્યો છે. આ પોસ્ટરો દ્વારા વ્યક્તિગત ઉમેદવારને બદલે કમળના ચિહ્નને જ ઉમેદવાર ગણવાનો સંદેશ આપવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે, જેથી પાર્ટીમાં આંતરિક અસંતોષને અટકાવી શકાય.
અમદાવાદના ચાંદખેડામાં બે બાળકીના મોતના મામલે પોલીસ તપાસ દરમિયાન અનેક મહત્વપૂર્ણ ખુલાસા સામે આવ્યા છે. પ્રાથમિક આશંકા મુજબ પુત્રપ્રાપ્તિની ઈચ્છા કારણે બાળકીની હત્યા કરવામાં આવી હોવાનો સંદેહ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. ફોરેન્સિક સાયન્સ લેબ (FSL)નો રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે. અત્યાર સુધીની તપાસમાં પોલીસએ કુલ 25 લોકોના નિવેદન નોંધ્યા છે. ઘરમાંથી મળેલી એક ડાયરીમાં પત્નીની પુત્રપ્રાપ્તિ અંગેની ઈચ્છાનો ઉલ્લેખ મળ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે, જેમાં માતાએ પુત્ર માટે માનતા રાખી હોવાનું લખાણ હોવાનું કહેવાય છે. ઉપરાંત, પોલીસએ વધુ તપાસ માટે પતિ અને પત્નીના કોલ ડીટેઇલ રેકોર્ડ (CDR) પણ મંગાવ્યા છે જેથી સમગ્ર ઘટનાની કડી જોડાઈ શકે.
સુરત મનપાની આવનારી ચૂંટણીમાં ટિકિટ વહેંચણીને લઈને ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીના મવડી મંડળમાં ઉમેદવારોની પસંદગી મુદ્દે પેચ ફસાયો હોવાનું જાણવા મળ્યું છે. સેન્સ પ્રક્રિયામાં આવેલા કુલ 2062 દાવેદારોનું લિસ્ટ ફરીથી પ્રદેશ સ્તરે મંગાવવામાં આવ્યું છે, જેથી સમગ્ર પ્રક્રિયાનો પુનઃમૂલ્યાંકન થઈ શકે. સ્થાનિક નેતાઓ દ્વારા પોતાના માનીતા ઉમેદવારોના નામ આગળ ધપાવવા માટે લોબિંગ કરવામાં આવ્યું હોવાની રાવ સામે આવી છે, જેના કારણે સંનિષ્ઠ કાર્યકરોની બાદબાકી થવાની ફરિયાદો ઉઠી છે અને આ મુદ્દો સીધો ગાંધીનગર સુધી પહોંચી ગયો છે. ધારાસભ્યો અને સંગઠન વચ્ચેના જૂથવાદને કારણે સમગ્ર પ્રક્રિયા વધુ ગૂંચવાઈ ગઈ છે. ખાસ કરીને સુરતના પાટીદાર વિસ્તારના ઉમેદવારો નક્કી કરવામાં પણ ભારે ખેંચતાણ ચાલી રહી છે. હવે લિસ્ટના પુનઃમૂલ્યાંકન બાદ જ અંતિમ ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવશે તેવી શક્યતા છે.
આણંદમાં કોંગ્રેસના યુવા નેતાને ‘નેતાગીરી’ ભારે પડી હોવાનું સામે આવ્યું છે. ગણેશ ચોકડી વિસ્તારમાં કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરતા યુવા નેતા હર્ષિલ લંડનવાલાની પોલીસે ધરપકડ કરી છે. રેલવે ઓવરબ્રિજની કામગીરીને કારણે ગણેશ ચોકડીથી અમૂલ ડેરી સુધીનો માર્ગ સુરક્ષા કારણોસર બંધ રાખવામાં આવ્યો હતો, છતાં બેરિકેડ્સ હટાવી વાહનવ્યવહાર શરૂ કરાતા લોકોના જીવને જોખમ ઉભું થયું હતું. આ મામલે આણંદ ટાઉન પોલીસ દ્વારા જાહેરનામા ભંગનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બે બાળકીઓના શંકાસ્પદ મોતનો મામલો વધુ ગૂંચવણભર્યો બન્યો છે. તપાસ દરમિયાન દંપતીના બ્લડ સેમ્પલમાંથી એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ મળ્યું છે, જ્યારે બાળકીઓના શરીરમાંથી પણ આ જ ઝેરી પદાર્થ મળ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બાળકીઓના પિતાએ અનાજમાં મુકવાની 10 ઝેરી દવાઓ ખરીદી હતી, જેમાંથી 8 મળી આવી છે અને બાકી 2 દવાઓ ક્યાં વપરાઈ તે દિશામાં તપાસ ચાલી રહી છે. આ સમગ્ર ઘટનામાં સામૂહિક આપઘાતનો પ્રયાસ કે પછી હત્યાની સંભાવના છે કે કેમ તે મુદ્દે તપાસ એજન્સીઓ સઘન તપાસ કરી રહી છે. હવે બાળકીઓના પોસ્ટમોર્ટમ (PM) રિપોર્ટ અને FSL રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે.
નાસા નું ઓરાયન ચંદ્ર મિશન આજે સફળ ચંદ્રયાત્રા પૂર્ણ કરીને પૃથ્વી પર પરત ફરવા જઈ રહ્યું છે. યાન લગભગ 40 હજાર કિમી પ્રતિ કલાકની ઝડપે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરશે અને ત્યારબાદ ચારેય અવકાશયાત્રીઓ સાન ડિયેગો નજીક સમુદ્રમાં સુરક્ષિત રીતે ઉતરશે. ભારતીય સમય અનુસાર સાંજે 5:07 વાગ્યે આ ઐતિહાસિક ક્ષણ સર્જાશે, જેને વૈજ્ઞાનિકો અને વિશ્વભરના લોકો આતુરતાથી જોઈ રહ્યા છે.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર આજે બપોરે 12:15 વાગ્યે રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લેશે. ત્યારબાદ તેઓ પટના પરત ફરશે.
યુદ્ધ વિરામની સ્થિતિ વચ્ચે ઇઝરાયલ દ્વારા લેબેનોન પર કરવામાં આવેલા ઘાતક હુમલાઓએ પરિસ્થિતિને ફરીથી તંગ બનાવી દીધી છે. ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ હિઝબુલ્લાહ ના ઠેકાણાઓને નિશાન બનાવી ભીષણ પ્રહાર કર્યા, જેમાં અંદાજે 10 લોન્ચર પેડ તબાહ થયા હોવાનું જણાવાયું છે. આ હુમલાઓના કારણે લેબેનોનમાં મોટાપાયે તબાહી સર્જાઈ છે અને પ્રદેશમાં ફરી એકવાર અશાંતિનું માહોલ ઉભું થયું છે.
પાકિસ્તાન આજે અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટોનું આયોજન કરશે. આનો ઉદ્દેશ્ય યુદ્ધવિરામને મજબૂત બનાવવાનો અને પશ્ચિમ એશિયામાં તણાવ ઘટાડવાનો છે.
Published On - 7:22 am, Fri, 10 April 26