અમદાવાદમાં ભરઉનાળે પણ ભુવો પડવાની ઘટનાઓનો સિલસિલો યથાવત રહ્યો છે. વટવા વિસ્તારમાં એક બાઈકચાલક અચાનક પડેલા ભુવામાં પડી જતા હડકંપ મચ્યો હતો. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને ભારે જહેમત બાદ બાઈકચાલકને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો. તાજેતરના ભારે વરસાદના પગલે વટવા વિસ્તારમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી છે.
ગાંધીનગરમાં ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની મહત્વપૂર્ણ બેઠક યોજાનારી છે, જે આજે શરૂ થઈ 8 મે સુધી CM નિવાસ સ્થાને ચાલશે. આ બેઠકમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના મહત્વપૂર્ણ હોદ્દાઓ માટેના નામો નક્કી કરવામાં આવશે. સાથે સાથે જિલ્લા અને તાલુકા પંચાયતના હોદ્દેદારોની પસંદગી પર પણ ચર્ચા થશે. અગાઉ મનપા, નપા, તાલુકા અને જિલ્લા પંચાયતો માટે નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી અને તમામ જિલ્લાઓની સંકલન બેઠક પણ યોજાઈ હતી. હવે 15 મહાનગરપાલિકાઓમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પક્ષના નેતા અને દંડકની પસંદગી માટે અંતિમ કવાયત હાથ ધરાશે.
પંજાબમાં માત્ર 3 કલાકના અંતરમાં બ્લાસ્ટની 2 ઘટનાઓ સામે આવતાં દહેશતનો માહોલ સર્જાયો છે. અમૃતસર અને જાલંધરમાં થયેલા વિસ્ફોટોથી સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. અમૃતસરમાં ખાસા આર્મી કેન્ટ નજીક વિસ્ફોટ થયો હતો, જ્યારે જાલંધરમાં BSF હેડક્વાર્ટર બહાર ધડાકો થતાં ખળભળાટ મચ્યો છે. પ્રાથમિક તપાસમાં IEDનો ઉપયોગ થયો હોવાની પોલીસને આશંકા છે. બંને ઘટનાઓને ગંભીરતાથી લઈને પોલીસ અને સુરક્ષા દળો હુમલાખોરોની શોધખોળમાં જોડાઈ ગયા છે.
વિષયવાર પરિણામમાં બેઝિક ગણિત સૌથી મુશ્કેલ વિષય સાબિત થયો છે, જેમાં 106504 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. વિજ્ઞાનમાં 94645, ગુજરાતીમાં 49321 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. તે જ રીતે અંગ્રેજીમાં 44482 વિદ્યાર્થીઓ અને સોશિયલ સાયન્સમાં 44229 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. જ્યારે સ્ટાન્ડર્ડ ગણિતમાં માત્ર 109 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.
ધોરણ ૧૦નું પરિણામ 83.86 ટકા જાહેર થતાં રાજ્યભરમાં ખુશીની લાગણી ફેલાઈ છે. આ વર્ષે કુલ 1697 શાળાઓએ 100 ટકા પરિણામ નોંધાવ્યું છે, જ્યારે 39 શાળાઓનું પરિણામ ઝીરો આવ્યું છે. વિદ્યાર્થીઓના પ્રદર્શનની વાત કરીએ તો 35508 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી ઉત્તમ સફળતા મેળવી છે અને ગત વર્ષ કરતા 7453 વધુ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. પરિણામમાં દીકરીઓએ ફરી એકવાર આગળ રહીને 88.28 ટકા પરિણામ નોંધાવ્યું છે, જ્યારે દીકરાઓનું પરિણામ 80.12 ટકા રહ્યું છે. આ રીતે દીકરીઓનું પરિણામ દીકરાઓ કરતાં 8.16 ટકા વધુ આવ્યું છે. માધ્યમ મુજબ જોવામાં આવે તો અંગ્રેજી માધ્યમનું પરિણામ 92.50 ટકા રહ્યું છે, જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ 82.67 ટકા નોંધાયું છે.
ધોરણ 10નું પરિણામ 83.86 ટકા જાહેર થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આ વર્ષે પરિણામ ગત વર્ષની 82.56 ટકાની સરખામણીએ 1.30 ટકા જેટલું વધ્યું છે. કેન્દ્રવાર જોવામાં આવે તો ગાંધીનગરના આજોલ કેન્દ્રે 100 ટકા પરિણામ સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, જ્યારે દાહોદના મૂનખોસલા કેન્દ્રનું પરિણામ સૌથી ઓછું 33.74 ટકા નોંધાયું છે. જિલ્લાવાર પરિણામમાં નર્મદા જિલ્લો 90.85 ટકા સાથે આગળ રહ્યો છે, જ્યારે પંચમહાલ જિલ્લાનું પરિણામ 76.42 ટકા સૌથી ઓછું રહ્યું છે. રાજ્યભરમાં 1697 શાળાઓએ 100 ટકા પરિણામ હાંસલ કર્યું છે, જ્યારે 39 શાળાઓમાં એકપણ વિદ્યાર્થી પાસ થયો નથી. આ સાથે 35508 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી શ્રેષ્ઠ સફળતા નોંધાવી છે.
અમદાવાદમાં પડેલા કમોસમી વરસાદે શહેરના નાગરિકોમાં ચિંતા વધારી છે. ખાસ કરીને નિકોલ વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ ડ્રેનેજ સિસ્ટમ ઓવરફ્લો થતી જોવા મળી, જેના કારણે રસ્તાઓ પર ગંદુ પાણી ભરાઈ ગયું અને જનજીવન પ્રભાવિત થયું. આ પરિસ્થિતિએ મનપા પ્રશાસનની તૈયારી અને કામગીરી પર સવાલો ઊભા કર્યા છે. લોકોમાં હવે આ ચિંતા વધી રહી છે કે જ્યારે સામાન્ય વરસાદમાં આવી સ્થિતિ સર્જાય છે, ત્યારે ચોમાસાના ભારે વરસાદ દરમિયાન શું હાલત થશે.
આજે 06 મે અને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:36 am, Wed, 6 May 26