06 મેના મહત્વના સમાચાર : આગામી 48 કલાક રાજ્યમાં કમોસમી વરસાદ તાંડવ કરવાની અંબાલાલ પટેલની આગાહી

આજે 06 મે અને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

06 મેના મહત્વના સમાચાર : આગામી 48 કલાક રાજ્યમાં કમોસમી વરસાદ તાંડવ કરવાની અંબાલાલ પટેલની આગાહી
| Edited By: | Updated on: May 06, 2026 | 9:45 AM

LIVE NEWS & UPDATES

  • 06 May 2026 09:45 AM (IST)

    રાજકોટ જિલ્લામાં 88.11 ટકા પરિણામ

    રાજકોટ જિલ્લામાં આજે ધોરણ 10નું પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે. રાજ્યભરમાં 83.86 ટકા પરિણામ જાહેર થયું છે, જ્યારે રાજકોટ જિલ્લાનું પરિણામ 88.11 ટકા નોંધાયું છે. ગત વર્ષે રાજકોટ જિલ્લાનું પરિણામ 87.19 ટકા હતું, જેમાં આ વર્ષે થોડો સુધારો જોવા મળ્યો છે. જિલ્લામાં 130 શાળાઓએ 100 ટકા પરિણામ હાંસલ કર્યું છે, જ્યારે 3 શાળાઓનું પરિણામ ઝીરો આવ્યું છે. રાજકોટની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓ સારા પરિણામને લઈને ઉજવણી કરતા જોવા મળ્યા હતા અને વાલીઓમાં પણ આનંદની લાગણી જોવા મળી હતી.

  • 06 May 2026 09:25 AM (IST)

    સુરત: ધોરણ-10ના બોર્ડના પરિણામને લઈને વિદ્યાર્થીઓમાં આનંદ

    સુરતમાં ધોરણ-10ના બોર્ડના પરિણામને લઈને વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ભક્તિ ઈન્ટરનેશનલ સ્કૂલમાં સારા પરિણામને પગલે ખાસ ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં ઢોલ-નગાડા વગાડીને વિદ્યાર્થીઓની સફળતા ઉજવાઈ. વિદ્યાર્થીઓને મોઢું મીઠું કરાવીને અને સાફો પહેરાવી અભિનંદન આપવામાં આવ્યા. ઉત્તમ પરિણામથી વિદ્યાર્થીઓ અને વાલીઓ ભાવુક બની ખુશીના આંસુઓ સાથે પોતાની લાગણીઓ વ્યક્ત કરતા જોવા મળ્યા.


  • 06 May 2026 09:15 AM (IST)

    અરવલ્લી: મોડાસામાં ભારે પવન ફૂંકાયો

    અરવલ્લી જિલ્લાના મોડાસામાં ભારે પવન ફૂંકાતા બસ પોર્ટમાં નુકસાન થયું છે. બસ પોર્ટની રેલીંગ ગ્રીલ અચાનક તૂટી પડી હતી, જેના કારણે સ્થળ પર ચિંતા ફેલાઈ હતી. નોંધનીય છે કે આ બસ પોર્ટનું લોકાર્પણ માત્ર એક વર્ષ પહેલા જ કરવામાં આવ્યું હતું, છતાં આવી ઘટના સામે આવતાં કામની ગુણવત્તા અંગે સવાલો ઊભા થયા છે. સદનસીબે તે સમયે ત્યાં અવરજવર ન હોવાથી કોઈ જાનહાની થઈ નથી, પરંતુ આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થાની જરૂરિયાતને ઉજાગર કરી છે.

  • 06 May 2026 09:10 AM (IST)

    અમદાવાદ: ભરઉનાળે ભુવો પડવાનો સિલસિલો યથાવત

    અમદાવાદમાં ભરઉનાળે પણ ભુવો પડવાની ઘટનાઓનો સિલસિલો યથાવત રહ્યો છે. વટવા વિસ્તારમાં એક બાઈકચાલક અચાનક પડેલા ભુવામાં પડી જતા હડકંપ મચ્યો હતો. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને ભારે જહેમત બાદ બાઈકચાલકને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો. તાજેતરના ભારે વરસાદના પગલે વટવા વિસ્તારમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ પણ સામે આવી છે.

  • 06 May 2026 08:54 AM (IST)

    ન્યૂયોર્કના નેવાર્ક એરપોર્ટ પર વિમાન દુર્ઘટના

    ન્યૂયોર્કના નેવાર્ક એરપોર્ટ પર વિમાન દુર્ઘટનાની ઘટના સામે આવી છે, જેમાં યુનાઈટેડ એરલાઈન્સના પ્લેનની ટ્રક સાથે ટક્કર થઈ હતી. લેન્ડિંગ દરમિયાન પ્લેન ટ્રક અને લાઈટના થાંભલા સાથે અથડાતા ભારે નુકસાન થયું હતું. અમેરિકાનું બોઈંગ 767 પ્લેન અંદાજે 160 કિમી પ્રતિ કલાકની ઝડપે હતું, જેના કારણે અકસ્માત ગંભીર બન્યો. આ દુર્ઘટનામાં ટ્રક ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે, જ્યારે પ્લેનમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે.

  • 06 May 2026 08:52 AM (IST)

    ગાંધીનગર: ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની મળશે બેઠક

    ગાંધીનગરમાં ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની મહત્વપૂર્ણ બેઠક યોજાનારી છે, જે આજે શરૂ થઈ 8 મે સુધી CM નિવાસ સ્થાને ચાલશે. આ બેઠકમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના મહત્વપૂર્ણ હોદ્દાઓ માટેના નામો નક્કી કરવામાં આવશે. સાથે સાથે જિલ્લા અને તાલુકા પંચાયતના હોદ્દેદારોની પસંદગી પર પણ ચર્ચા થશે. અગાઉ મનપા, નપા, તાલુકા અને જિલ્લા પંચાયતો માટે નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી અને તમામ જિલ્લાઓની સંકલન બેઠક પણ યોજાઈ હતી. હવે 15 મહાનગરપાલિકાઓમાં મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, પક્ષના નેતા અને દંડકની પસંદગી માટે અંતિમ કવાયત હાથ ધરાશે.

  • 06 May 2026 08:51 AM (IST)

    પંજાબ: 3 કલાકમાં બ્લાસ્ટની 2 ઘટનાથી દહેશત

    પંજાબમાં માત્ર 3 કલાકના અંતરમાં બ્લાસ્ટની 2 ઘટનાઓ સામે આવતાં દહેશતનો માહોલ સર્જાયો છે. અમૃતસર અને જાલંધરમાં થયેલા વિસ્ફોટોથી સુરક્ષા એજન્સીઓ સતર્ક બની ગઈ છે. અમૃતસરમાં ખાસા આર્મી કેન્ટ નજીક વિસ્ફોટ થયો હતો, જ્યારે જાલંધરમાં BSF હેડક્વાર્ટર બહાર ધડાકો થતાં ખળભળાટ મચ્યો છે. પ્રાથમિક તપાસમાં IEDનો ઉપયોગ થયો હોવાની પોલીસને આશંકા છે. બંને ઘટનાઓને ગંભીરતાથી લઈને પોલીસ અને સુરક્ષા દળો હુમલાખોરોની શોધખોળમાં જોડાઈ ગયા છે.

  • 06 May 2026 08:46 AM (IST)

    ધોરણ-10માં બેઝિક ગણિતમાં 106504 વિદ્યાર્થીઓ નાપાસ

    વિષયવાર પરિણામમાં બેઝિક ગણિત સૌથી મુશ્કેલ વિષય સાબિત થયો છે, જેમાં 106504 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. વિજ્ઞાનમાં 94645, ગુજરાતીમાં 49321 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. તે જ રીતે અંગ્રેજીમાં 44482 વિદ્યાર્થીઓ અને સોશિયલ સાયન્સમાં 44229 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. જ્યારે સ્ટાન્ડર્ડ ગણિતમાં માત્ર 109 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે.

  • 06 May 2026 08:45 AM (IST)

    ધોરણ 10નું પરિણામ 83.86 ટકા જાહેર, દીકરીઓએ મારી બાજી

    ધોરણ ૧૦નું પરિણામ 83.86 ટકા જાહેર થતાં રાજ્યભરમાં ખુશીની લાગણી ફેલાઈ છે. આ વર્ષે કુલ 1697 શાળાઓએ 100 ટકા પરિણામ નોંધાવ્યું છે, જ્યારે 39 શાળાઓનું પરિણામ ઝીરો આવ્યું છે. વિદ્યાર્થીઓના પ્રદર્શનની વાત કરીએ તો 35508 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી ઉત્તમ સફળતા મેળવી છે અને ગત વર્ષ કરતા 7453 વધુ વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. પરિણામમાં દીકરીઓએ ફરી એકવાર આગળ રહીને 88.28 ટકા પરિણામ નોંધાવ્યું છે, જ્યારે દીકરાઓનું પરિણામ 80.12 ટકા રહ્યું છે. આ રીતે દીકરીઓનું પરિણામ દીકરાઓ કરતાં 8.16 ટકા વધુ આવ્યું છે. માધ્યમ મુજબ જોવામાં આવે તો અંગ્રેજી માધ્યમનું પરિણામ 92.50 ટકા રહ્યું છે, જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ 82.67 ટકા નોંધાયું છે.

  • 06 May 2026 08:24 AM (IST)

    ધોરણ-10નું પરિણામ જાહેર, આ વખતે 1.30 ટકા ઉંચુ પરિણામ આવ્યુ

    ધોરણ 10નું પરિણામ 83.86 ટકા જાહેર થતાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આ વર્ષે પરિણામ ગત વર્ષની 82.56 ટકાની સરખામણીએ 1.30 ટકા જેટલું વધ્યું છે. કેન્દ્રવાર જોવામાં આવે તો ગાંધીનગરના આજોલ કેન્દ્રે 100 ટકા પરિણામ સાથે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, જ્યારે દાહોદના મૂનખોસલા કેન્દ્રનું પરિણામ સૌથી ઓછું 33.74 ટકા નોંધાયું છે. જિલ્લાવાર પરિણામમાં નર્મદા જિલ્લો 90.85 ટકા સાથે આગળ રહ્યો છે, જ્યારે પંચમહાલ જિલ્લાનું પરિણામ 76.42 ટકા સૌથી ઓછું રહ્યું છે. રાજ્યભરમાં 1697 શાળાઓએ 100 ટકા પરિણામ હાંસલ કર્યું છે, જ્યારે 39 શાળાઓમાં એકપણ વિદ્યાર્થી પાસ થયો નથી. આ સાથે 35508 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી શ્રેષ્ઠ સફળતા નોંધાવી છે.

  • 06 May 2026 07:45 AM (IST)

    અમદાવાદમાં પડેલા કમોસમી વરસાદે શહેરીજનોની ચિંતા વધારી

    અમદાવાદમાં પડેલા કમોસમી વરસાદે શહેરના નાગરિકોમાં ચિંતા વધારી છે. ખાસ કરીને નિકોલ વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ ડ્રેનેજ સિસ્ટમ ઓવરફ્લો થતી જોવા મળી, જેના કારણે રસ્તાઓ પર ગંદુ પાણી ભરાઈ ગયું અને જનજીવન પ્રભાવિત થયું. આ પરિસ્થિતિએ મનપા પ્રશાસનની તૈયારી અને કામગીરી પર સવાલો ઊભા કર્યા છે. લોકોમાં હવે આ ચિંતા વધી રહી છે કે જ્યારે સામાન્ય વરસાદમાં આવી સ્થિતિ સર્જાય છે, ત્યારે ચોમાસાના ભારે વરસાદ દરમિયાન શું હાલત થશે.

આજે 06 મે અને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - 7:36 am, Wed, 6 May 26

Follow Us