03 જુલાઇના મહત્વના સમાચાર : ગીર સોમનાથમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત, સૂત્રાપાડામાં 12 ઈંચ વરસાદ

આજે 03 જુલાઇને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

03 જુલાઇના મહત્વના સમાચાર : ગીર સોમનાથમાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત, સૂત્રાપાડામાં 12 ઈંચ વરસાદ
| Edited By: | Updated on: Jul 03, 2026 | 9:28 AM

LIVE NEWS & UPDATES

  • 03 Jul 2026 09:28 AM (IST)

    ડીસાના શેરપુરા ગામે બે જૂથ વચ્ચે મારામારી, અનેક લોકો ઈજાગ્રસ્ત

    બનાસકાંઠાના ડીસા તાલુકાના શેરપુરા ગામમાં જાટ સમાજમાં સગાઈ તોડવાના મુદ્દે બે જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. બંને પક્ષોએ લાકડી અને ધોકા વડે સામસામે હુમલો કરતાં ગામમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનામાં અનેક લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે ગુનો નોંધી ઘટનાની વધુ તપાસ શરૂ કરી છે.

  • 03 Jul 2026 09:24 AM (IST)

    વરસાદથી જનજીવન પ્રભાવિત, સૂત્રાપાડામાં 12 ઈંચ વરસાદ

    ગીર સોમનાથ જિલ્લામાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને સૂત્રાપાડામાં 12 ઈંચ જેટલો વરસાદ નોંધાતા રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ભારે વરસાદના કારણે સૂત્રાપાડાનો લોઢવા-પ્રાચી રોડ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો છે, જ્યારે લોઢવા-પાધરૂકા રોડ પર પણ પાણી ભરાઈ જતા વાહનવ્યવહાર પ્રભાવિત બન્યો છે. સતત વરસેલા વરસાદથી ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે, જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં જનજીવન પર અસર જોવા મળી રહી છે.


  • 03 Jul 2026 08:58 AM (IST)

    વલસાડ: વરસાદના કારણે જર્જરિત લાઈબ્રેરીનો ભાગ ધરાશાયી

    વલસાડમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે વ્હોરા મસ્જિદ નજીક આવેલી જર્જરિત લાઈબ્રેરીનો એક ભાગ અચાનક ધરાશાયી થયો હતો. ઘટનાની જાણ થતાં પાલિકાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજા થઈ નથી, જોકે ઘટનાએ જર્જરિત ઇમારતોની સલામતી અંગે ફરી એકવાર પ્રશ્નો ઊભા ઊભા કર્યા છે.

  • 03 Jul 2026 08:50 AM (IST)

    મધ્ય પ્રદેશ: ભારે વરસાદ બાદ ક્ષિપ્રા નદીનું વધ્યું જળસ્તર

    મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ બાદ ક્ષિપ્રા નદીનું જળસ્તર ઝડપથી વધતાં ઉજ્જૈનના રામઘાટ વિસ્તારની સ્થિતિ ચિંતાજનક બની છે. નદીમાં પાણીની આવક વધતા રામઘાટ પાસે આવેલા અનેક નાના મંદિરો પાણીમાં ગરક થઈ ગયા છે. ક્ષિપ્રા નદીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે અને હોમ ગાર્ડ તેમજ SDRFની ટીમોને ખડેપગે તૈનાત કરવામાં આવી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે શ્રદ્ધાળુઓને નદીમાં ઉતરતા રોકવામાં આવી રહ્યા છે અને ઘાટ વિસ્તારની સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.

  • 03 Jul 2026 08:10 AM (IST)

    5 સિસ્ટમ સક્રિય થતાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

    રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદનું જોર વધવાની શક્યતા વચ્ચે હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. ટ્રફ, શિયર ઝોન, લો પ્રેશર સિસ્ટમ, સાઇક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત પાંચ હવામાન પ્રણાલીઓ એકસાથે સક્રિય થતાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે લોકોને સાવચેતી રાખવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરી છે.

  • 03 Jul 2026 07:53 AM (IST)

    જામનગરના કાલાવડમાં સતત બીજા દિવસે વરસાદ, સ્થાનિક નદીઓમાં પૂર

    જામનગર જિલ્લાના કાલાવડ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સતત બીજા દિવસે પણ ભારે વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે મૂળીલા, ધૂનધોરાજી, ખરેડી, ગુંદા સહિતના વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત બન્યું છે. સતત વરસેલા વરસાદથી રીનારી અને મૂળીલા ગામની સ્થાનિક નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં પાણીની આવક વધી છે. તંત્ર દ્વારા નદી કિનારાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે.

  • 03 Jul 2026 07:52 AM (IST)

    રાજકોટના ઉપલેટામાં પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ-2 થયો ઓવરફ્લો

    રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે વેણુ ડેમ-2 પ્રથમ જ વરસાદમાં ઓવરફ્લો થયો છે. ડેમમાં નવા નીરની સતત આવક થતાં તંત્રએ વેણુ ડેમ-2ના બે દરવાજા એક ફૂટ સુધી ખોલ્યા છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારો માટે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથે જ નાગવદર, નીલખા સહિત આસપાસના ગામોના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેતી રાખવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે.

  • 03 Jul 2026 07:52 AM (IST)

    રાજ્યના 172 તાલુકામાં વરસાદી રમઝટ, સૌરાષ્ટ્રમાં મેઘરાજાની જોરદાર બેટિંગ

    છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના 172 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં 12.64 ઇંચ નોંધાયો, જ્યારે ગીર સોમનાથના સૂત્રાપાડામાં 12.36 ઇંચ વરસાદ ખાબક્યો. જૂનાગઢના કેશોદમાં 10.94 ઇંચ અને ગીર સોમનાથના પાટણ-વેરાવળમાં 10.08 ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઉપરાંત માળીયા હાટીના અને માણાવદરમાં 9 ઇંચથી વધુ વરસાદ વરસ્યો. રાજ્યના કુલ 36 તાલુકામાં 2 ઇંચથી લઈને 12.5 ઇંચ સુધી વરસાદ નોંધાયો, જ્યારે 72 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસતા ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ચોમાસાએ જોરદાર બેટિંગ કરી છે.

આજે 03 જુલાઇને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - 7:49 am, Fri, 3 July 26

Follow Us