03 ઓગસ્ટના મહત્વના સમાચાર : રાજ્યમાં મેઘ મહેરથી જળાશયોમાં ભરપૂર પાણીની આવક, 206માંથી 34 ડેમ હાઇએલર્ટ પર

આજે 03 ઓગસ્ટને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

03 ઓગસ્ટના મહત્વના સમાચાર : રાજ્યમાં મેઘ મહેરથી જળાશયોમાં ભરપૂર પાણીની આવક, 206માંથી 34 ડેમ હાઇએલર્ટ પર
| Edited By: | Updated on: Aug 03, 2026 | 9:54 AM

LIVE NEWS & UPDATES

  • 03 Aug 2026 09:54 AM (IST)

    માંજલપુર પેટાચૂંટણીમાં પ્રથમ ત્રણ રાઉન્ડ બાદ ભાજપને લીડ

    વડોદરાની માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીની મતગણતરી દરમિયાન પ્રથમ ત્રણ રાઉન્ડ પૂર્ણ થતાં ભાજપના ઉમેદવાર સતિષ પટેલે મજબૂત લીડ મેળવી છે. ત્રીજા રાઉન્ડમાં સતિષ પટેલને 3,058 મત મળતા તેઓ કુલ 5,910 મતની સરસાઈ સાથે આગળ ચાલી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર ભીખા રબારીને ત્રીજા રાઉન્ડમાં 667 મત મળ્યા છે અને ત્રણ રાઉન્ડના અંતે કોંગ્રેસને કુલ 3,435 મત પ્રાપ્ત થયા છે. જ્યારે NOTAને અત્યાર સુધીમાં કુલ 361 મત મળ્યા હોવાનું મતગણતરીના આંકડાઓમાં સામે આવ્યું છે.

  • 03 Aug 2026 08:50 AM (IST)

    ડભોઈનું વઢવાણા સિંચાઈ તળાવ 70 ટકા ભરાયું, ખેડૂતોમાં ખુશીની લહેર

    વડોદરાના ડભોઈમાં થયેલા ભારે વરસાદ બાદ વઢવાણા સિંચાઈ તળાવમાં 70 ટકાથી વધુ પાણીની આવક નોંધાઈ છે. જોજવા ડેમમાંથી પાણી છોડવામાં આવતાં તળાવ ઝડપથી ભરાઈ રહ્યું છે. ડભોઈ અને આસપાસના 32 ગામોની જીવાદોરી ગણાતા આ તળાવમાં છેલ્લા 15 દિવસથી પાણીનો અભાવ હતો, પરંતુ હવે પાણીના જથ્થામાં થયેલા વધારાથી ગ્રામજનો અને ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. વરસાદ બાદ સર્જાયેલા મનમોહક પ્રાકૃતિક વાતાવરણને નિહાળવા મોટી સંખ્યામાં સહેલાણીઓ પણ વઢવાણા તળાવ ખાતે પહોંચી રહ્યા છે.


  • 03 Aug 2026 08:12 AM (IST)

    ગીર સોમનાથમાં રસ્તા પર 12 સિંહોનું ટોળું, વાહનચાલકોમાં રોમાંચ

    ગીર સોમનાથ જિલ્લાના જામવાળા-માધુપુર રોડ પર વરસાદી માહોલ વચ્ચે 12 સિંહોનું ટોળું રસ્તા પર લટાર મારતું જોવા મળતાં વાહનચાલકોમાં રોમાંચ છવાઈ ગયો હતો. સિંહણ અને તેના બચ્ચાં સહિતનું ટોળું રોડ પર આવી જતાં થોડા સમય માટે ટ્રાફિક થંભી ગયો અને વાહનોના પૈડાં અટકી ગયા હતા. માર્ગ પરથી પસાર થતા લોકોએ આ અદ્ભુત દૃશ્યો પોતાના મોબાઇલમાં કેદ કર્યા હતા. થોડા સમય બાદ સિંહો જંગલ તરફ વળતા વાહનવ્યવહાર ફરીથી સામાન્ય બન્યો.

  • 03 Aug 2026 08:12 AM (IST)

    માંજલપુર પેટાચૂંટણીનું આજે પરિણામ, મતગણતરી શરૂ

    વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીનું પરિણામ આજે જાહેર થશે. ભવન્સ સ્કૂલ ખાતે સવારે મતગણતરીનો પ્રારંભ થયો છે અને કુલ 19 રાઉન્ડમાં મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આ પેટાચૂંટણીમાં ભાજપના સતિષ પટેલ અને કોંગ્રેસના ભીખા રબારી વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. મતગણતરીને લઈને સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી છે અને ઉમેદવારો તેમજ તેમના સમર્થકોની નજર પરિણામ પર મંડાઈ છે.

  • 03 Aug 2026 08:11 AM (IST)

    ગ્રીસમાં અગ્નિશામક હેલિકોપ્ટરો અથડાયા, બે ક્રૂ સભ્યોના મોત

    ગ્રીસના પસાથાસ વિસ્તારમાં જંગલમાં લાગેલી આગ પર કાબૂ મેળવવાની કામગીરી દરમિયાન હવામાં બે અગ્નિશામક હેલિકોપ્ટર વચ્ચે ભીષણ ટક્કર સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં બે ક્રૂ સભ્યોના મોત થયા છે, જ્યારે અન્ય બે ક્રૂ સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ગ્રીસના વડાપ્રધાને દુર્ઘટના પર શોક વ્યક્ત કરી મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

  • 03 Aug 2026 08:10 AM (IST)

    રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું, છતાં 226 તાલુકામાં નોંધાયો વરસાદ

    રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોની સરખામણીએ વરસાદનું જોર ઘટ્યું છે, છતાં અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 226 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધુ રાજકોટ શહેરમાં 2.72 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે વલસાડના કપરાડામાં 1.73 ઇંચ, રાજકોટના પડધરીમાં 1.50 ઇંચ અને બનાસકાંઠાના દીયોદરમાં 1.46 ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યના કુલ 11 તાલુકામાં સરેરાશ એક ઇંચથી વધુ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં લોકોને ગરમીમાંથી રાહત મળી છે.

  • 03 Aug 2026 07:54 AM (IST)

    રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી

    રાજ્યમાં આગામી સાત દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આજથી રાજ્યભરમાં ભારે વરસાદનું જોર ઘટવાની શક્યતા છે, જોકે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી અનેક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટાં ચાલુ રહેશે. આજે કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના 13 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વેલમાર્ક લો પ્રેશર હવે સાયકલોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થતાં તેની અસર નબળી પડી છે. સાથે જ દરિયામાં પવન અને મોજાં ઉછળવાની શક્યતાને ધ્યાનમાં રાખી માછીમારોને આગામી બે દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

આજે 03 ઓગસ્ટને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - 7:50 am, Mon, 3 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.