ગઈકાલે વાંકાનેરના કોટડા નાયાણી ગામે પિતા પુત્ર તણાયા હોવાનો બનાવ બન્યો હતો. આ બનાવના 16 કલાક બાદ પણ તણાયેલ બાળકનો કોઈ પત્તો નથી મળ્યો. પાણીના વહેણ વચ્ચે રિક્ષા લઈને નીકળેલા પિતા પુત્ર રિક્ષા સાથે તણાયા હતા. ફાયર અને પોલીસ દ્વારા રેસ્ક્યુ કામગીરી કરી પિતાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. પિતા શીરાનભાઈ કાતિયાર (ઉમર આશરે 35) નો મૃતદેહ મળી આવ્યો છે. જ્યારે પુત્ર કાશીમ કાતિયાર (ઉમર 7) ની 16 કલાક બાદ પણ શોધખોળ યથાવત છે.
રાજકોટ બેડીપરા વિસ્તારમાં આવેલ શ્રમજીવી સોસાયટીમાં રામજી મંદિર ચોક ખાતે જર્જરિત મકાન મોડી રાત્રે ધરાશાયી થયું છે. ઘટનામાં જર્જરિત મકાનમાં રહેતા એક વ્યક્તિનું મોત થયું છે. ઘટનાની જાણ થતા ફાયર વિભાગ અને 108 સહિત નો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ફાયર વિભાગ દ્વારા તરત જ કાર્ય હાથ કરવામાં આવ્યું હતું. અજયભાઈ કુરજીભાઈ બેલદાર ઉંમર વર્ષ 48નું આ ઘટનામાં મોત થયું છે. અજયભાઈ કુરજીભાઈ બેલદાર ત્યાં 40 વર્ષથી રહેતા હતા. તંત્ર દ્વારા જેસીબી મંગાવી પડેલ મકાનનો કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે. રાજકોટમાં સતત બે દિવસથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. જર્જરીત મકાનમાં રહેતા લોકોને વરસાદ વચ્ચે તંત્રએ મકાન ખાલી કરવા ચોમાસા પહેલા પણ સૂચના આપી હતી.
મોરબીમાં પડેલા ભારે વરસાદને પગલે, જિલ્લામાં કેટલાક સ્થળોએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. મોરબીમાં હળવદ તાલુકાના ઈંગોરાળા ગામે પાણી ફરી વળ્યા હતા. ઈંગોરાળાના ખેતરમાં પાણી વચ્ચે 3 બાળકો સહિત કૂલ 7 વ્યક્તિઓ ફસાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતા જ એનડીઆરએફ, એસડીઆરએફે જિલ્લાના વહિવટી તંત્ર અને પોલીસ સાથે સંકલન કરીને મોડી રાત્રે રેસ્ક્યુ કર્યું હતું.
વડોદરામાં ડભોઇના બે ગામ હુજ પણ સંપર્ક વિહોણા છે. ગઈકાલના પાણી હજુ ઉતર્યા નથી. દેવ ડેમ અને ઢાઢર નદીના પૂરના પાણીની અસર ગામમાં જોવા મળી છે. વાયાદપુર અને કડધરા ગામને જોડતા મુખ્ય માર્ગ ઉપર નદી અને ડેમના પાણી ફરી વળતા રસ્તો તદ્દન બંધ થઈ ગયો છે. વાયાદપુર અને કડધરા વચ્ચેનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો છે. ડભોઇ તાલુકામાં રસ્તાની સમસ્યાને કારણે બે ગામોનો સંપર્ક તૂટી ગયો છે.
આજે 02 ઓગસ્ટને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:15 am, Sun, 2 August 26