ગત વિધાનસભા ચૂંટણીના સમયથી કોંગ્રેસ ગુજરાતમાં તેનુ રાજકીય અસ્તિત્વ બચાવવા માટે હવાતિયા મારી રહી છે, રોજેરોજ કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ અને એક સાંધે ત્યાં તેર તૂટેનો સિલસિલો અટકી નથી રહ્યો. જો કે હજુ કોંગ્રેસના કેટલાક નેતાઓ બચ્યા છે જેઓ પાર્ટીને સંપૂર્ણરીતે સમર્પિત છે અને કોંગ્રેસમાં પ્રાણ ફુંકવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ કોંગ્રેસને એક બાદ એક ઝટકા મળવાનું અટકી રહ્યુ નથી. હવે નવસારીથી વાંસદાના ધારાસભ્ય અનંત પટેલનો કોંગ્રેસથી મોહભંગ થયો હોય તેવુ તેમની બોડી લેંગવેજ પરથી લાગી રહ્યુ છે. અનંત પટેલે એક કાર્યક્રમ દરમિયાન સભામાં કોંગ્રેસ છોડવાની ચીમકી ઉચ્ચારી છે. તેમણે કહ્યુ જો સમાજ સાથે અન્યાય થશે તો પાર્ટી છોડતા મને કોઈ વાર નહીં લાગે. હાલ અનંત પટેલના આ નિવેદનથી ગુજરાત કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે જ્યારે બીજી તરફ ગુજરાતના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે.
અનંત પટેલે કહ્યુ હું આદિવાસી સમાજમાં જન્મ્યો છુ અને આદિવાસી સમાજમાં જ રહીશ અને આ જ સમાજમાં મરીશ. અમને કોઈ લોભ, લાલચ કે સત્તાની ભૂખ નથી. અમારુ એકમાત્ર લક્ષ્ય સમાજનું કલ્યાણ અને સેવા કરવાનું છે.
ધારાસભ્ય અનંત પટેલના આ નિવેદન બાદ રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે અનંત પટેલ કોંગ્રેસ સાથે છેડો ફાડી શકે છે. છેલ્લા લાંબા સમયથી સૂત્રો દ્વારા દાવો કરાઈ રહ્યો છે કે અનંત પટેલ આપના સંપર્કમાં છે. ત્યારે અનંત પટેલનું હાલનુ નિવેદન ઘણુ સૂચક મનાઈ રહ્યુ છે અને મોટા ઉથલપાથલના સંકેત સૂચવી રહ્યુ છે.
Input Credit- Nilesh Gamit- Navsari