
સુરતમાં વસતી ગણતરીના પહેલા જ દિવસે કામગીરી ખોરવાઈ ગઈ છે અને આ પ્રક્રિયા બંધ કરવાની ફરજ પડી છે. વસતી ગણતરી માટે ફાળવવામાં આવેલા કર્મચારીઓ અને ગણતરીદારો સુધી હજુ સુધી જરૂરી કીટ પહોંચાડવામાં આવી નથી.
કીટ ન મળવાને કારણે પહેલા જ દિવસથી કામગીરી અટકી પડી છે. આ ઉપરાંત, વસતી ગણતરીની કામગીરીમાં જોડાયેલા શિક્ષકો પણ પોતાની વિવિધ પડતર માગોને લઈને તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.
આજથી સમગ્ર ગુજરાતમાં વસતી ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભ થવાનો હતો. જો કે, સુરત મહાનગરપાલિકાના મોટાભાગના વિસ્તારોમાં પહેલા જ દિવસે આ કામગીરી બંધ રાખવાની ફરજ પડી હતી. સુરતમાં આ પ્રક્રિયા માટે 10,800 ગણતરીદાર અને 1800 સુપરવાઈઝરનો સ્ટાફ નક્કી કરવામાં આવ્યો હતો.
આગામી 30 જૂન સુધીમાં આ કર્મચારીઓએ આવાસની સ્થિતિ, પીવાના પાણીનો સ્ત્રોત અને શૌચાલય સહિતના 33 પ્રશ્નો પૂછીને ફોર્મ ભરવાના હતા. હવે આ બધા વચ્ચે જે કીટ ગણતરીદારોને મળવી જોઈતી હતી, તે હજુ સુધી પહોંચી જ નથી. કીટ ન મળવાના કારણે પહેલા દિવસે જ કામગીરી શરૂ થઈ શકી નથી.
બીજી તરફ, સરકારી આયોજનના અભાવે વસતી ગણતરીની કામગીરી કરતા શિક્ષકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. સમયસર કામ શરૂ ન થતા હવે છેલ્લા દિવસોમાં શિક્ષકો પર વર્ક લોડ વધશે. એવામાં બીજી તરફ શાળાઓનું વેકેશન પણ ખૂલવાની તૈયારીમાં છે.
શિક્ષકોએ પોતાની જુદી-જુદી માંગોને લઈને આક્રોશ વ્યક્ત કર્યો છે. શિક્ષકોની માંગ છે કે, એક શિક્ષકને એક જ બ્લોક સોંપવામાં આવે, સગર્ભા અને મેડિકલ ઇમરજન્સીવાળી મહિલાઓને આ કામગીરીમાંથી બાકાત રાખવામાં આવે. તેમને પોતાની શાળા અથવા રહેણાંક વિસ્તારની નજીકની જગ્યાઓ જ ફાળવવામાં આવે.