રાજકોટ, વડોદરા બાદ સુરતમાં પણ જન્મ મરણના દાખલા માટે અરજદારોને હાલાકી, કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા છતા નથી મળતા દાખલા

રાજ્યમાં સ્કૂલોમાં નવુ સત્ર શરૂ થતા જ જન્મ-મરણના દાખલા માટે સિવિક સેન્ટરોમાં લાઈનો લાગવાની શરૂઆત થઈ ગઈ છે. આ અંગે જાણ હોવા છતા તંત્ર દ્વારા નક્કર આયોજન ન કરાતા હવે અરજદારો ધક્કા ખાવા અને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા મજબુર બન્યા છે અને કંઈક આવાજ દૃશ્યો રાજકોટ, વડોદરા બાદ ડ્રીમ સિટી સુરતમાંથી પણ સામે આવ્યા છે.

રાજકોટ, વડોદરા બાદ સુરતમાં પણ જન્મ મરણના દાખલા માટે અરજદારોને હાલાકી, કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા છતા નથી મળતા દાખલા
| Edited By: | Updated on: Jun 18, 2026 | 6:01 PM

રાજ્યમાં જન્મ-મરણના દાખલ માટે અરજદારો ધક્કે ચડી રહ્યા છે. આ કાળજાળ ગરમી વચ્ચે કલાકો સુધી બાળકો સાથે લાઈનમાં ઉભા રહેવા મજબુર બન્યા છે અને છતા અરજદારોને દાખલા મળી નથી રહ્યા અને ધક્કા ખાવા અને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. રાજકોટ, વડોદરા બાદ સુરતના વરાછામાંથી પણ અરજદારોની હેરાનગતિના દૃશ્યો સામે આવ્યા છે. તંત્ર દ્વારા દાખલા કાઢવા માટેનું નક્કર આયોજન ન કરતા દર વર્ષની જેમ આ વર્ષે પણ અરજદાર ને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવુ પડે છે, વારંવાર સર્વર ડાઉન થતુ હોવાથી અરજદારોને એક ધક્કે કામ થતુ નથી અને અનેક ધક્કા ખાધા બાદ માંડ માંડ દાખલા મળી રહ્યા છે.

હજારો અરજદારો વચ્ચે માત્ર 11 થી 2 વાગ્યા સુધી જ કામગીરી

સુરતના વરાછામાં A ઝોન ખાતે દાખલા માટે અરજદારોની લાંબી કતારો લાગી હતી. ભારે ગરમી અને ઉકળાટમાં લોકો કલાકો લાઈનમાં ઊભા રહેવા મજબૂર થયા. સવારથી ઉભેલા અરજદારોને એક દિવસમાં કામ થતુ નથી. સવારે 11 વાગ્યે કામગીરી શરૂ થાય છે અને માત્ર 2 વાગ્યા સુધી જ દાખલા આપવાની કામગીરી કરવામાં આવે છે. એક જ બારી પર દાખલા કાઢવાની કામગીરી કરવામાં આવે છે. બપોર બાદ કર્મચારીઓ વસ્તી ગણતરી માટે જતા હોવાથી અરજદારોને પાંચ છ ધક્કા ખાય ત્યારે એક સર્ટી મળે છે. હાલ કલાકો સુધી તપ ધર્યા બાદ પણ દાખલા ન મળતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે. બીજી આ તરફ ઓપરેટર સ્ટાફનું કહેવું છે કે ટેક્નિકલ ખામીના લીધે એક જ સિસ્ટમ કાર્યરત છે.

તંત્રના નક્કર આયોજનની પાપે અરજદારોને ધરમધક્કા

આ માત્ર એક વર્ષની વાત નથી. તંત્રના આયોજનના પાપે દર વર્ષે આજ પ્રકારે દાખલા માટે અરજદારો પારાવાર પરેશાની ભોગવવા મજબુર બને છે અને તેમની સમસ્યા સાંભળવાવાળુ કોઈ નથી. ડિજિટલ ઈન્ડિયાના મસમોટા દાવા વચ્ચે વારંવાર સિસ્ટમ ઠપ્પ થઈ જવી અને હજારો અરજદારો વચ્ચે એક જ સિસ્ટમ કાર્યરત હોવી એ પણ તંત્રની કામ ન કરવાની નિયતની સાબિતી આપે છે. અરજદારોને કલાકો સુધી ઉભા રહેવુ પડે તો પડે, બે થી ત્રણ ધક્કા ખાવા પડે તો ભલે પડે પરંતુ તંત્ર તેની રેઢિયાળ સિસ્ટમને ઠીક નહીં કરે. તંત્ર ધારે તો વધુ સિસ્ટમ અને ટેકનિકલ સ્ટાફ બેસાડીને કામગીરી ઝડપી બનાવી શકે છે અને લોકોની પરેશાની ઓછી કરી શકતુ હતુ પરંતુ નિયત જ ન હોય કામ કરવાની ત્યાં આજ પ્રકારની હાલાકી જોવા મળે….

આપને જણાવી દઈએ કે આ માત્ર એક શહેર પૂરતી હાલાકી નથી. રાજ્યની તમામ મહાનગરપાલિકામાંથી આ જ પ્રકારના દૃશ્યો સામે આવ્યા છે. રાજકોટ કે હોય કે વડોદરા તમામ શહેરોમાં શાળાઓ શરૂ થયા બાદ દાખલા માટે વાલીઓ આ જ પ્રકારે ધક્કા ખાઈ રહ્યા છે અને એસી ચેમ્બરમાં બેસેલા અધિકારીઓ માત્ર તમાશો જોઈ રહ્યા છે. ક્યારેક તેઓ એસી ઓફિસોની બહાર આવી લોકોને પડતી હાલાકીના દૃશ્યો જુએ અ્ને તેમની પીડાનો તાગ મેળવે તેવી અપીલ અરજદારો કરી રહ્યા છે.

Input Credit- Baldev Suthar- Surat

 

રાજ્યમાં ચોમાસાને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ તારીખથી રાજ્યમાં બેસી જશે વિધિવત ચોમાસુ

Published On - 5:43 pm, Thu, 18 June 26

Follow Us