કહેવાય છે ને કે જરૂરિયાત જ શોધખોળની જનની છે. જેમ-જેમ માણસને જરૂરિયાત પડતી ગઈ તેમ-તેમ માનવીએ નવી ચીજવસ્તુની શોધખોળ કરી. કંઈક આવી જ કહાની છે, પોરબંદર જિલ્લાના કુછડી ગામમાં રહેતા ધરતીપુત્ર બાલુભાઇની, જેમને ખેતી કરવા માટે જરૂર હતી ટ્રેક્ટરની. તેઓ જે પ્રકારની ખેતી કરતા હતા તેમાં વજનદાર ટ્રેક્ટરની જરૂર ન હતી, તેથી પ્રગતિશીલ ખેડૂતોએ વિચાર કર્યો મિની ટ્રેક્ટર બનાવાનો. પોતાની આવડત અને કોઠાસૂઝથી બાબુભાઈએ કમાલ કરી અને બનાવ્યું મિની ટ્રેક્ટર.
ચાર પૈડા નહિ ત્રણ પૈડાનું ટ્રેકટર. આ ટ્રેકટરને જોઇને કોઇ કહિ ઉઠે કે આ તે કેવુ સાધન છે. પરંતુ જે ખેડૂત મિત્રો મગફળી જેવા પાકની ખેતી કરે છે તેમને ખબર છે કે આ ટ્રેકટર કેટલુ ઉપયોગી છે. આ ટ્રેકટર બનાવ્યું છે પોરબંદર જીલ્લાનાં કુછડી ગામના ધરતીપુત્ર બાલુભાઇ કુછડ઼ીયાએ. તેઓને ખેતીનો વ્યવસાય વારસામાં મળ્યો છે. તેઓ મગફળીની ખેતી કરતા હતા. તેનાં માટે ભારે વજનનું ટ્રેક્ટર વધુ લાભદાયક ન હતું. તેથી તેઓ બળદથી ખેતર ખેડતા હતા જેથી જમીન પર વજન ન આવે અને તે દબાઇ ન જાય. પરંતુ બળદથી ખેતી કરતા કાર્યક્ષમતા ઓછી રહેતી હતી. ફ્ટાફટ કામ થતુ નહોતુ. આ બધી સમસ્યાઓનો ઉકેલ લાવવા તેમને મિનિ ટ્રેક્ટર બનાવવાનું વિચાર્યું. તેમને પ્રયત્ન કર્યા પણ 2006ના વર્ષમાં તેમને નિષ્ફળતા મળી તો પણ ખરા ધરતીપુત્રની જેમ તેમણે પોતાના પ્રયત્નો ચાલુ રાખ્યા અને છેવટે 2012માં તેમણે સફળતા પુર્વક મિનિટ્રેક્ટર બનાવ્યું.
વર્ષ-2012માં આ ટ્રેક્ટર બનાવવા બાલુભાઇએ 60 હજાર જેટલો ખર્ચો કર્યો હતો. આ મિનિ ટ્રેક્ટર બનાવવા માટે તેમણે દેશી છકડાનાં એન્જિન અને મારૂતિવાનનાં ગિયરબોક્ષનો ઉપયોગ કર્યો. અહિં ખાસ વાત તો એ છે કે બાલુભાઇ માત્ર 6 ધોરણ ભણ્યા છે, પરંતુ પોતાની કોઠાસુઝ તેમણે કામે લગાડી આ ટ્રેક્ટર ત્રણ પૈડાનું હોવાને કારણે વાળવામાં સમય ઓછો જાય છે. જમીનનો વધુ કાર્યક્ષમ ઉપયોગ થઇ શકે છે. પ્રતિ કલાક મોટા ટ્રેકટરની સરખામણીએ આ ટ્રેક્ટર ચલાવવાનો ખર્ચ 255 જેટલો ઓછો છે. પાકની હાર પ્રમાણે પાછળનાં બે પૈડા વચ્ચેના ગાળામાં પણ ફેરફાર કરી શકાય છે.
આ મિનિ ટ્રેક્ટરથી ખેતકાર્યો જેવા કે જમીનની તૈયારી, વાવણી, આંતરખેડ વગેરે સરળતાથી થઇ શકે છે. બાલુભાઇનું માનવું છે કે બળદને બદલે જો ખેડૂત આ ટ્રેક્ટર અપનાવે તો તેને ફાયદો છે. બે બળદને બદલે ખેડૂત જો બે ગાય પાળે તો તેને છાણ અને ગૌમુત્રમાંથી ખાતર મળી રહેશે અને દૂધ પણ મળશે. આ રીતે ખેડૂતને ફાયદો જ ફાયદો છે. આવુ અનોખુ અને ઉપયોગી ટ્રેક્ટર બનાવવા માટે સરકારે પણ બાલુભાઇને બિરદાવ્યા છે. 2013માં તેમને કૃષિક્ષેત્રમાં આ યોગદાન આપવા બદલ ગુજરાત સરકાર દ્વારા સન્માનિત કારાયા હતા. હાલમાં જો કોઇ ખેડૂત ઓર્ડર આપે તો બાલુભાઇ આ રીતના ટ્રેક્ટર બનાવીને વેચે છે. હવે તો અન્ય ખેડૂતની જરૂરિયાત મૂજબ તે ટ્રેક્ટરમાં મોડિફિકેશન પણ કરે છે. જાત મહેનત જીંદાબાદ વિચારથી બાલુભાઇએ બનાવેલુ આ ટ્રેક્ટર આવનાર સમયમાં પણ ખેડૂતોને પ્રગતિનાં પંથે આગળ લઇ જશે.
Published On - 6:41 pm, Sun, 3 January 21