Breaking News : ખેડૂતો માટે સરકારનો મોટો નિર્ણય, ખરીફ પાક બચાવવા નર્મદા યોજના અને સુજલામ-સુફલામ યોજનાથી પાણી અપાશે

અલ નીનોની પરિસ્થિતિને કારણે રાજ્યમાં વરસાદ અને પાણીની ઉપલબ્ધતા પર થનારી સંભવિત અસરો અંગે પણ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યપ્રધાને સ્પષ્ટ સૂચના આપી છે કે, જો આગામી સમયમાં પર્યાપ્ત વરસાદ ના થાય અને જળાશયોમાં પાણીની આવકમાં વધારો ના થાય તો પીવાના પાણીની જરૂરિયાતને પ્રાથમિકતા આપવામાં આવે.

Breaking News : ખેડૂતો માટે સરકારનો મોટો નિર્ણય, ખરીફ પાક બચાવવા નર્મદા યોજના અને સુજલામ-સુફલામ યોજનાથી પાણી અપાશે
| Updated on: Sep 06, 2026 | 8:51 AM

Gujarat Water Crisis : ગુજરાત રાજ્યમાં પીવાના અને સિંચાઈના પાણીના યોગ્ય વ્યવસ્થાપનને લઈને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ બેઠકમાં જોડાયા હતા. રાજ્યમાં પ્રવર્તમાન અલ નીનોની સ્થિતિને ધ્યાનમાં રાખીને આગામી સમયના પાણી વ્યવસ્થાપન અંગે બેઠકમાં વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

ખરીફ ઋતુમાં ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તે માટે નર્મદા યોજના અને સુજલામ-સુફલામ યોજના અંતર્ગત ત્રણ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.

મહી કમાન્ડ વિસ્તારમાં 20 દિવસ માટે 5 હજાર ક્યુસેક પાણી

રાજ્ય સરકારે મહી કમાન્ડ વિસ્તારમાં સિંચાઈ માટે નર્મદા યોજનામાંથી 20 દિવસ માટે 5,000 ક્યુસેક પાણી આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી મહી કમાન્ડ વિસ્તારના ખેડૂતોને ખરીફ પાક માટે સિંચાઈનું પાણી ઉપલબ્ધ થશે.

જામનગર-દેવભૂમિ દ્વારકામાં 10 દિવસ પાણી ચાલુ રહેશે

સૌની યોજનાની લિંક-1 મારફતે ઓછા વરસાદવાળા દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લામાં નર્મદાનું પાણી 19 ઓગસ્ટ, 2026થી આપવામાં આવી રહ્યું છે. હાલ ઉભા પાકને બચાવવા માટે આ પાણીનો પુરવઠો વધુ 10 દિવસ સુધી ચાલુ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ઉત્તર ગુજરાતને 2 હજાર ક્યુસેક પાણી વધુ 15 દિવસ મળશે

ઉત્તર ગુજરાત વિસ્તારમાં સુજલામ-સુફલામ પાઇપલાઇન યોજના મારફતે 19 ઓગસ્ટથી નર્મદા યોજનામાંથી 2,000 ક્યુસેક પાણી આપવામાં આવી રહ્યું છે. રાજ્ય સરકારે હવે આ પાણીનો પુરવઠો વધુ 15 દિવસ સુધી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.

વરસાદની અછત વચ્ચે પાણીની સ્થિતિ પર સરકારની નજર

બેઠકમાં અલ નીનોની પરિસ્થિતિને કારણે રાજ્યમાં વરસાદ અને પાણીની ઉપલબ્ધતા પર થનારી સંભવિત અસરો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યપ્રધાને સ્પષ્ટ સૂચના આપી છે કે જો આગામી સમયમાં પર્યાપ્ત વરસાદ ન થાય અને જળાશયોમાં પાણીની આવકમાં વધારો ન થાય તો પીવાના પાણીની જરૂરિયાતને પ્રાથમિકતા આપવામાં આવે.

શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં, ખાસ કરીને પાણીની અછતવાળા અને સંવેદનશીલ વિસ્તારોમાં પીવાના પાણીનો પુરવઠો સુચારુ અને અવિરત રહે તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવા પણ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે.

પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અપીલ

મુખ્ય પ્રધાને સંબંધિત વિભાગો અને જિલ્લા કક્ષાના અધિકારીઓને રાજ્યમાં પાણીની સ્થિતિ પર સતત નજર રાખવા અને ઉપલબ્ધ જળસંસાધનોનો કાર્યક્ષમ તથા કરકસરપૂર્વક ઉપયોગ કરવા તાકીદ કરી છે. રાજ્ય સરકાર વરસાદ, જળાશયોમાં પાણીની સપાટી અને પાણીની ઉપલબ્ધતા પર સતત નજર રાખી રહી છે.

પરિસ્થિતિ અનુસાર ખેડૂતો અને રાજ્યની જનતાના વ્યાપક હિતમાં જરૂરી નિર્ણયો લેવામાં આવશે. આ સાથે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકો અને ખેડૂતોને પણ પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવા અને જળસંરક્ષણમાં સહયોગ આપવા અપીલ કરી છે

06 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : ગુજરાતમા છેલ્લા 24 કલાકમાં 13 તાલુકામાં વરસાદ, સૌથી વધુ કવાંટમાં એક ઈંચ

 

Published On - 8:46 am, Sun, 6 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.