સોમનાથમાં મંદિર આસપાસ આવેલી મિલકતો સામે વહીવટી તંત્ર દ્વારા વહેલી સવારે ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ભોંયવાડા અને દિગ્વિજય દ્વાર નજીકના વિસ્તારમાં ધાર્મિક સ્થળો તેમજ ગેરકાયદે બાંધકામો સામે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હતું. પોલીસ અને વહીવટી અધિકારીઓની હાજરીમાં આ કાર્યવાહી કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
ડિમોલિશન કાર્યવાહીમાં એક ધાર્મિક સ્થળ, ત્રણ દુકાન અને એક મકાનને તોડી પાડવામાં આવ્યા હતા. તંત્રની ટીમ દ્વારા જે મિલકતો સામે કાર્યવાહી કરવામાં આવી હતી, તે તમામ મિલકતો સોમનાથ કોરિડોર પ્રોજેક્ટ હેઠળ આવતી હોવાની ચર્ચા છે. બુલડોઝરની મદદથી કાચા-પાકા બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા.
તંત્રની કાર્યવાહી અંગે મળતી માહિતી મુજબ, સંબંધિત મિલકતોના દસ્તાવેજોની ચકાસણી તેમજ વળતરની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે. ત્યારબાદ પ્રોજેક્ટના માર્ગમાં આવતા બાંધકામો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જોકે, સમગ્ર કાર્યવાહી અંગે સત્તાવાર વિગતો તંત્ર દ્વારા જાહેર થવાની બાકી છે.
ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. DySP, 3 PI અને 6 PSI સહિત કુલ 85 જેટલા પોલીસકર્મીઓ બંદોબસ્તમાં જોડાયા હતા. પોલીસની ટીમો દ્વારા સમગ્ર વિસ્તારને સુરક્ષિત રાખવામાં આવ્યો હતો અને કાર્યવાહી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેની ખાસ તકેદારી રાખવામાં આવી હતી.
ડિમોલિશન કામગીરી દરમિયાન પોલીસ અધિકારીઓ ઉપરાંત મામલતદાર સહિતના વહીવટી અધિકારીઓ અને કર્મચારીઓ પણ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા. તંત્રની ટીમની દેખરેખ હેઠળ બુલડોઝર મારફતે મિલકતો દૂર કરવામાં આવી હતી. વહેલી સવારે શરૂ થયેલી કાર્યવાહીને પગલે મંદિર આસપાસના વિસ્તારમાં પોલીસ અને વહીવટી તંત્રનો કાફલો જોવા મળ્યો હતો.
સોમનાથ મંદિર આસપાસના વિસ્તારમાં કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ વિકાસલક્ષી કામગીરી ચાલી રહી છે. પ્રોજેક્ટમાં અડચણરૂપ અથવા નિર્ધારિત વિસ્તારમાં આવતી મિલકતોને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે. આ જ પ્રક્રિયાના ભાગરૂપે ભોંયવાડા અને દિગ્વિજય દ્વાર નજીકની મિલકતો સામે કાર્યવાહી કરાઈ હોવાનું માનવામાં આવે છે.
સોમનાથ જેવા મહત્વના ધાર્મિક સ્થળ નજીક વહેલી સવારે થયેલી ડિમોલિશન કાર્યવાહીને પગલે વિસ્તારમાં ચકચાર મચી હતી. તંત્ર દ્વારા અગાઉની પ્રક્રિયા અને સુરક્ષા વ્યવસ્થા સાથે મિલકતો દૂર કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હાલ સમગ્ર કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.
આ પણ વાંચો-