ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લામાં નવરાત્રીની (Navratri 2022) શરૂઆતમાં જ પડેલા વરસાદે લીલા દુકાળ જેવી સ્થિતિ ઉભી કરી છે. ખેડૂતોએ (Farmers) મગફળીની આગોતરા વાવણી કરી હતી, તેમાં પાછોતરા વરસાદને (Rain) કારણે ભારે નુકસાન થયું છે. બીજી તરફ સરકાર તરફથી મદદની કોઈ પહેલ ન થતાં ખેડૂતો બેવડી મુશ્કેલીમાં છે. ગીર સોમનાથ જિલ્લામાં ખેતરોમાં પાણી ભરાયેલા છે. ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી છે.
ગીર સોમનાથના વેરાવળ, સુત્રાપાડા, કોડીનાર અને ઉના સહિતના તમામ તાલુકાના ખેડૂતો અત્યારે મુશ્કેલીમાં છે. ખેડૂતોના ખેતરમાં લણવા તૈયાર કરાયેલા મગફળીના પાથરા જુઓ તો એ પાણીમાં તરી રહ્યા છે. વરસાદ બાદ જે ખેડૂતોએ આગોતરી મગફળી વાવી હતી તે મગફળી પાકી ગઈ છે તેને પણ 10 દિવસથી વધુ થઈ ગયા છે. જો ખેડૂતો મગફળી ન કાઢે તો સડવા લાગે અને રાત્રડ નામનો રોગ પણ ફેલાતો જોવા મળી શકે છે. આ જોતાં ગીરના ખેડૂતોએ મગફળી ઉપાડી તેના પાથરા ખેતરમાં કર્યા હતા અને ત્યાં જ ફરી વરસાદ ખાબક્યો. આમ ખેડૂતોનાં હાથમાંથી મગફળીનો પાક તો ગયો, પરંતુ પશુનો ચારો પણ ન બચ્યો.
સમગ્ર ગીર વિસ્તારમાં મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર થાય છે. જેમાંથી મોટાભાગનું આગોતરૂ વાવેતર છે. જો તે સમયસર ન લણે તો ખેડૂતોના હાથમાં કશું ન રહે અને જો બહાર કાઢે તો વરસાદ બરબાદ કરી નાખે. આમ ખેડૂતોની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ છે.
સુત્રાપાડા તાલુકામાં સીઝનનો પહેલો વરસાદ જ પુષ્કળ હતો. હાલ પણ આ વરસાદ તૈયાર પાકનો નાશ કરી રહ્યો છે. આ તો થઈ ખેડૂતોની વાત. બીજી તરફ પશુપાલકોનો દૂધનો વેપાર અને આવક પણ હતી, પરંતુ લમ્પી વાયરસના કારણે પશુઓના મોત થયા જેને કારણે દૂધની આવક પણ ઘટી. અહીંના ખેડૂતો કહી રહ્યા છે એક તરફ કુદરત રૂઠી છે તો બીજી તરફ સરકાર પણ નારાજ હોય તેવું લાગે છે. આ જોતાં તેઓ સરકાર પાસે વળતરની માગ કરી રહ્યા છે. આમ ગીરસોમનાથ જીલ્લાના ખેડૂતોને બેવડો નહીં પણ ત્રેવડો માર પડ્યો છે એવું કહી શકાય.
(વીથ ઇનપુટ-યોગેશ જોષી, ગીર સોમનાથ)
Published On - 2:00 pm, Sat, 1 October 22