
અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભાજપ ચૂંટણી મોડમાં છે. લોકસભા ચૂંટણી હવે નજીક આવી રહી છે, ત્યારે ગુજરાત ભાજપ એક્શન મોડમાં જોવા મળી રહ્યુ છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ ફરી ગુજરાતની મુલાકાતે છે. આજે ગાંધીનગર, અમદાવાદ અને ભાવનગરમાં તેમના અલગ અલગ કાર્યક્રમો છે. લોકસભા ચૂંટણીને લઇને તેઓ મહત્વની બેઠક પણ યોજવાના છે.
મકરસંક્રાંતિ દરમિયાન પણ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ગુજરાત મુલાકાતે આવ્યા હતા. તેમણે ભાજપના કાર્યકરો સાથે ઉત્તરાયણનો પર્વ પણ મનાવ્યો હતો. જે પછી 15 જાન્યુઆરીએ ગુજરાતમાં તેઓ ગાંધીનગર, અમદાવાદ અને બનાસકાંઠાના વિવિધ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમોમાં હાજરી આપવાના હતા.જો કે અનિવાર્ય સંજોગોને કારણે અમિત શાહના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. તેમના તમામ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો.
આજે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સવારે 11 વાગ્યે ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાં આયોજિત સંમેલનમાં ઉપસ્થિત રહેશે. આ દરમિયાન તેઓ સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન ડિજિટલ ફોરેન્સિક્સનું ઉદ્ઘાટન કરશે. બપોરે 3 વાગ્યે અમિત શાહ ભાવનગરના સોનગઢમાં જૈન સમાજના મહોત્સવમાં હાજરી આપશે. રાત્રે 9 વાગ્યે તેઓ અમદાવાદના રાણીપ સ્થિત રામજી મંદિરે ઉપસ્થિત રહેશે અને ભગવાન રામના આશીર્વાદ લેશે. જે બાદ મોડી રાત્રે તેઓ દિલ્હી જવા રવાના થશે.
આ પણ વાંચો-સાબરકાંઠાઃ તલોદમાં વેપારીના ઘરમાં ધોળા દહાડે તસ્કરો ત્રાટક્યા, રોકડ અને દાગીનાની ચોરી
અમિત શાહ ગુજરાત પ્રવાસ દરમિયાન લોકસભાની ચૂંટણીને લઇને પાર્ટીના આગેવાનો સાથે ચર્ચા કરવા માટે મહત્વની બેઠક પણ યોજી શકે છે. ભાજપે ગુજરાતમાં તમામ 26 બેઠકો પર 5 લાખથી વધુની લીડ સાથે હેટ્રિક સર્જવાનો લક્ષ્યાંક રાખ્યો છે, ત્યારે 26 બેઠક કબ્જે કરવા માટે રણનીતિ ઘડવામાં આવશે. ગુજરાતમાં ભાજપ જ્યાં પણ થોડી નબળી છે, તે તમામ બેઠકો પર પોતાની પકડ વધુ મજબૂત બનાવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવશે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો