Rathyatra 2022: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે CM ડેશબોર્ડના માધ્યમથી રાજ્યભરની રથયાત્રાનું નિરીક્ષણ કર્યું

|

Jul 01, 2022 | 2:57 PM

અમદાવાદ (Ahmedabad) શહેર પોલીસ અને મહાનગરપાલિકા બંને દ્વારા 100થી વધુ પોઇન્ટ્સ પર કેમેરા ગોઠવીને રથયાત્રાની (Rathyatra) પળેપળની નજર રાખવામાં આવે છે, તેની વિગતો પણ મુખ્યમંત્રીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પાસેથી જાણી હતી.

Rathyatra 2022: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે CM ડેશબોર્ડના માધ્યમથી રાજ્યભરની રથયાત્રાનું નિરીક્ષણ કર્યું
મુખ્યમંત્રીએ રાજ્યભરની રથયાત્રાનું સીએમ ડેશબોર્ડ થકી નિરીક્ષણ કર્યું

Follow us on

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (Chief Minister Bhupendra Patel) અમદાવાદના (Ahmedabad) જગન્નાથ મંદિરેથી વહેલી સવારે પહિંદ વિધિ કરીને ભગવાનના રથને નગરચર્યાએ પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારબાદ મુખ્યમંત્રી નિવાસ સ્થાને પહોચીને તેમણે સી.એમ. ડેશબોર્ડની (C.M. Dashboard) વિડિયો વોલ પર આ રથયાત્રાનું થઇ રહેલું રિયલ ટાઇમ મોનિટરિંગ રસપૂર્વક નિહાળ્યું હતું. CM ભૂપેન્દ્ર પટેલે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના રથ, ભાવિક ભક્તોની પદયાત્રા તથા યાત્રા રૂટ પર પોલીસ પેટ્રોલિંગ, બંદોબસ્તની ગતિવિધિઓ ઝીણવટપૂર્વક નિહાળી હતી.

મુખ્યમંત્રીએ રથયાત્રાની સુરક્ષા નિહાળી

આ વર્ષની રથયાત્રામાં રાજ્યના ગૃહ વિભાગે પ્રથમવાર ડ્રોન ટેકનોલોજી દ્વારા 65 મીટર જેટલી ઉંચાઇએથી યાત્રા પર બાજ નજર રાખવાનો જે સફળ પ્રયોગ કર્યો છે, તે પણ મુખ્યમંત્રીએ ઊંડાણપૂર્વક જોયો હતો. હેલિકોપ્ટર અને ડ્રોનથી રથયાત્રાની થઇ રહેલી સુરક્ષાની તેમણે સરાહના કરી હતી. ગુજરાત પોલીસના જે જવાનો કર્મચારીઓ અમદાવાદની આ રથયાત્રામાં સંવેદનશીલ સ્થળો, પોઇન્ટ પર તહેનાત છે તેમને પણ પહેલીવાર 2500 જેટલા બોડીવોર્ન કેમેરાથી સજ્જ કરવામાં આવેલા છે તેની ગતિવિધિઓ પણ મુખ્યમંત્રીએ નિહાળી હતી.

અમદાવાદમાં 100થી વધુ પોઇન્ટ્સ પર કેમેરા

અમદાવાદ શહેર પોલીસ અને મહાનગરપાલિકા બંને દ્વારા 100થી વધુ પોઇન્ટ્સ પર કેમેરા ગોઠવીને રથયાત્રાની પળેપળની નજર રાખવામાં આવે છે, તેની વિગતો પણ મુખ્યમંત્રીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પાસેથી જાણી હતી. તેમણે આ વર્ષની રથયાત્રામાં અખાડા-ભજન મંડળીઓ તથા ટ્રક અને યાત્રામાં સામેલ વાહનોનું રિયલ ટાઇમ મોનિટરિંગ જી.પી.એસ. સિસ્ટમથી થઇ રહ્યું છે તે પણ ડેશબોર્ડની વિડિયો વોલ પર જોયુ હતું. સમગ્ર યાત્રાનું 46 ફિક્સ્ડ લોકેશન સહિત અન્ય મુવિંગ, વિહિકલ માઉન્ટેડ કેમેરા અને હાઇ રિઝોલ્યુશન સી.સી.ટી.વી. કેમેરાથી જે સતત મોનિટરિંગ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. તેની પણ વિગતો મુખ્યમંત્રીએ મેળવી હતી.

આ પણ વાંચો

ડાકોર, મહેમદાવાદની રથયાત્રા પણ નિહાળી

મુખ્યમંત્રીએ અમદાવાદ ઉપરાંત ડાકોર, મહેમદાવાદમાં જે રથયાત્રા યોજાઇ છે તેનું પણ જીવંત પ્રસારણ અને કંટ્રોલરૂમ મોનિટરિંગ સી.એમ. ડેશબોર્ડ પરથી નિહાળ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, મુખ્ય સચિવ પંકજ કુમાર, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજકુમાર તેમજ પોલિસ મહાનિદેશક આશિષ ભાટિયા પણ આ નિરીક્ષણમાં જોડાયા હતા.

મુખ્યમંત્રીએ રથયાત્રાના માર્ગમાં આવતા ધાબા પોઇન્ટ, વ્યુહાત્મક પોલીસ પોઇન્ટ અને બંદોબસ્તમાં જોડાયેલા કર્મીઓ-અધિકારીઓને મોબાઇલ વોટ્સએપથી જોડીને યાત્રા દરમિયાન કોમ્યુનિકેશન સુદ્રઢ અને સરળ બનાવાયું છે, તેમજ વી.એચ.એફ. વોકી ટોકીથી 16 ચેનલ પર સંદેશા વ્યવહાર પદ્ધતિ આ વર્ષે ગોઠવવામાં આવી છે તેની વિગતો જાણી હતી.

CM ભૂપેન્દ્ર પટેલે રથયાત્રામાં જોડાયેલા શ્રદ્ધાળુઓ, ભક્તો, સંતો માટે ભોજન-પ્રસાદ, પાણી, પ્રાથમિક સારવાર વગેરેની જે સુવિધા કરવામાં આવી છે તે અંગેની વિગતો જાણીને સંતોષ વ્યક્ત કર્યો હતો.

Published On - 2:56 pm, Fri, 1 July 22

Next Article