ગુજરાતના મંત્રીના ઘરે મન મૂકીને નાચ્યો મોર, Tv9ના કેમેરામાં કેદ થયો મોરનો ડાન્સ
ગુજરાતના એક મંત્રીના ઘરની બહાર મોર ડાન્સ (Peacock dance) કરતો જોવા મળ્યો. Tv9 ગુજરાતીના કેમેરામેન દિવ્યાંગ ભાવસારે આ અદભુત ક્ષણ પોતાના કેમેરામાં કેદ કરી લીધી હતી.
વરસાદની શરુઆત થાય ત્યારે આ ધરતી પર સૌથી વધારે ખુશ મોર પક્ષી થાય છે. મોર (Peacock) તેના રંગબેરંગી પીછા, તેના રુપ, તેના ટહુકા તેની કલગી અને તેની કળા માટે જાણીતો છે. મોર એ સૌથી સુંદર અને માનવવસ્તીની સૌથી નજીક રહેતુ પક્ષી છે. તે ભારતનું રાષ્ટ્રીય પક્ષી પણ છે. મોરનો પુરાણોમાં પણ ઘણો ઉલ્લેખ છે. મોર ભગવાન શિવના પુત્ર કાર્તિકેયનું વાહન હતુ. તેના પીંછા ભગવાન કૃષ્ણના માથા પર શોભતુ હતુ અને લોકો પોતાની કલમ પર પણ મોર પંખ લગાવી તેને શણગારતા હતા. મોરપંખને સૌભાગ્યનું પ્રતિક માનીને ઘરમાં રાખવામાં આવે છે. કલ્પના કરો કે આકાશ કાળા વાદળોથી ઘેરાયેલુ છે, વરસાદના હળવા છાંટા પડવાની શરુઆત થાય છે અને સુંદર મોર પોતાની પીંછા પ્રસારીને કળા કરી રહ્યો છે. આ અદભુત ઘટનાની કલ્પના માત્રથી દિલ ખુશ થઈ જાય છે. એક આવો જ વીડિયો હાલ TV9ના કેમેરામાં કેદ થયો છે.
આ વીડિયો ગાંધીનગરમાં મંત્રીના સરકારી આવાસ પાસેનો છે. આજે આકાશમાં ઘેરાયેલા કાળા વાદળના કારણે ગાંધીનગરમાં સર્જાયેલા આહ્લાદક દ્રશ્યનો જોઈ મોરનું મન પ્રશંન થયુ અને તેણે પોતાના પીંછા પ્રસારીને કળા બતાવી હતી. તે ગોળ ગોળ ફરીને મન મૂકીને નાચતો જોવા મળ્યો. આ નયનરમ્ય દ્રશ્યને Tv9 ગુજરાતીના કેમેરામેન દિવ્યાંગ ભાવસારે પોતાના કેમેરામાં કેદ કરી કર્યો હતો.
મંત્રીના ઘરની બહાર મોરનો થનગનાટ, જુઓ એક્સક્લુઝિવ વીડિયો
આ વીડિયો ગુજરાત સરકારના મંત્રી મનિષાબેન વકીલના સરકારી બંગલાની બહારનો છે. મનિષાબેન વકીલ ગુજરાત સરકારમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી છે. સામાન્ય રીતે મોર તેના પીંછા પ્રસારીને કળા કરે છે, તે આ કળા માદા મોર એટલે કે ઢેલને આકર્ષવા માટે કરે છે. આ મોર બગીચામાં કળા કરતો હતો અને તેની આસપાસ 2-3 ઢેલ પણ જોવા મળી રહી હતી. મોરનો આ વીડિયો ખરેખર નયનરમ્ય છે. મોરના ડાન્સનો આવો વીડિયો ભાગ્યે જ તમે પહેલા જોયો હશે.
મોર અને ઈન્દ્ર દેવની વાર્તા
પુરાણો અને રામાયણમાં મોર અને ઈન્દ્ર દેવની વચ્ચેની એક ઘટનાનો ઉલ્લેખ છે. લંકાપતિ રાવણ વિશ્વ વિજયની માટે નીકળ્યો હતો. તે સ્વર્ગના રાજા ઈન્દ્રને હરાવી, સ્વર્ગનો રાજા બનવા માંગતો હતો પણ ઈન્દ્રદેવ તેનાથી બચાવા માટે પૃથ્વી પર એમ તેમ ભાગી રહ્યા હતા. તે સમયે તેમને આકશમાં મોરનું એક ઝૂંડ દેખાયુ. રાવણથી બચવા માટે ઈન્દ્રને મોર બનીને ઉડીને જવાનો વિચાર આવ્યો. તેઓ મોરનું રુપ ધારણ કરી આકાશમાં ઉડી ગયા અને રાવણ તેને પકડીના શકયો.
ઈન્દ્રને મોર બનીને મોરના ઝૂંડ સાથે ભળી જઈ તેમની સાથે દૂર સુધી ઉડી ગયા. જેને કારણે રાવણ તેમને શોધીના શક્યો અને ઈન્દ્રનો જીવ બચ્યો. જેને કારણે ઈન્દ્રએ તેમનો આભાર માન્યો અને તેમને વરદાન આપ્યા કે હવે પછી મોરને ક્યારે સાપ જેવા ખતરનાક પ્રાણીઓનો ડર નહીં રહે. તમે પક્ષીઓમાં સૌથી પ્રિય બનશો અને પૃથ્વી પર જ્યારે હું વરસાદ રુપે આવીશ ત્યારે તમે સૌથી વધારે ખુશ થશો. તેથી જ વરસાદમાં મોર સૌથી વધારે આનંદિત હોય છે અને પોતાની કળાઓ બતાવીને પોતાનો આનંદ અને ખુશી વ્યક્ત કરે છે.