રાજ્યમાંથી વિદેશ જવાની ઘેલછા ખુબ વધારે છે, જેનો લાભ ગઈને અત્યારે મોટી સંખ્યામાં ગેરકાયદેસર રીતે વિદેશ મોકલનારા એજન્ટો ફૂટી નીકળ્યા છે. લોકોને વિદોશ મોકલવા માટેનું કામ કરનારા એજન્ટોને લાયસન્સ લેવું પડે છે પણ આવું કોઈ પણ લાયસન્સ લીધા વિનો ગેરકાયદેસર એજન્ટો દ્વારા લોકોને જીવના જોખમે વિદેશ મોકલાઈ રહ્યા છે.
ગેરકાયદે વિદેશ મોકલવાની વાત આવે એટલે તરત જ ગાંધીનગર જિલ્લાનું ડિંગુચા ગામ યાદ આવી જાય છે કેમ કે ત્યાંથી ગેરકાયદેસર રીતે અમેરિકા જઈ રહેલા પરિવારના 4 જણા કેનેડા-અમેરિકા બોર્ડર પર બરફમાં થીજી જવાથી મૃત્યુ પામ્યા હતા. આ ડિંગુચા ગામમાં 18 બોગસ એજન્ટો દ્વારા લોકોને ગેરકાયદેસર રીતે વિદેશ મોકલવાનું કામ કરાઈ રહ્યું છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, માનવ દાણચોરો પર કાર્યવાહી કરતી વખતે, અમે ગુજરાતમાંથી 8 એજન્ટોની ધરપકડ કરી હતી, જેમણે લોકોને મેક્સિકો અથવા કેનેડા મારફતે ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલ્યા હતા. આ આરોપીઓના કોલ રેકોર્ડની તપાસ કરતી વખતે પોલીસને અન્ય 20 એજન્ટોના સંપર્ક અને ફોનની વિગતો મળી હતી, જે એજન્ટોએ લોકોને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલ્યા હતા. આમાંથી 18 એજન્ટો ડિંગુચા ગામના હતા.
પોલીસ અધિકારીએ ઉમેર્યું કે અમે ગામમાં જે એજન્ટોને શોધી કાઢ્યા છે, તેઓ તેમના ગ્રાહકોને મેક્સિકો અને કેનેડા મારફત પણ મોકલે છે, જે બંને અત્યંત જોખમી છે. જ્યારે મેક્સિકો માર્ગ જોખમ વધારે હોવાથી આ લોકો હવે કેનેડાના માર્ગે ગેરકાયદેસર રીતે લોકોને અમેરિકા મોકલે છે.
અધિકારીએ કહ્યું કે તમામ એજન્ટોએ લોકોને યુએસ મોકલવા માટે બનાવટી દસ્તાવેજો બનાવ્યા હતા. આ એજન્ટો પર છેતરપિંડી કરવાના આરોપો હેઠળ કેસ દાખલ કરી શકાય તેમ છે. જોકે, અમે હજી સુધી કોઈ ધરપકડ કરી નથી, કારણ કે અમે કેસને વધુ મજબૂત બનાવવા માટે તેમની વિરુદ્ધ પુરાવા એકત્ર કરી રહ્યા છીએ.
તેમની ધરપકડો વધુ ઊંડાણપૂર્વકની તપાસનો માર્ગ મોકળો કરશે જેમાં ભારતમાં દિલ્હી અને મુંબઈના એજન્ટો તેમજ યુએસ અને કેનેડામાં તેમના સમકક્ષો સામેલ હશે.
19 જાન્યુઆરીના રોજ ડિંગુચાના જગદીશ પટેલ, તેની પત્ની વૈશાલી અને તેમના બાળકો વિહંગા અને ધાર્મિકના મોત થયાં હતાં. આ ઘટના બાદ ગુજરાત પોલીસ અને રાજ્યની એજન્સીઓએ માનવ દાણચોરીના રેકેટ પર કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચોઃ યુક્રેનથી ગુજરાતના 220 વિદ્યાર્થીઓ ગાંધીનગર પહોંચ્યા, સર્કિટ હાઉસ ખાતે જીતુ વાઘાણીએ તમામને આવકાર્યાં
આ પણ વાંચોઃ નવા પ્રધાનો અને નવા એજન્ડા સાથે રજૂ થશે વિધાનસભામાં બજેટ, 2.50 લાખ કરોડ આસપાસનું બજેટ રહેવાની ધારણા