વૈશ્વિક ફલક પર ગુંજશે ગુજરાતના ગરબા, UNESCOના સાંસ્કૃતિક વારસા માટે ગરબાને કરાયા નોમિનેટ

આ નવરાત્રિ પહેલા જ ગરબા પ્રેમીઓના દિલ ખુશ થઈ જાય તેવા સમાચાર આવ્યા છે. ગુજરાતના પરંપરાગત નૃત્ય ગરબાને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ (UNESCO World Heritage) માટે નોમિનેટ કરવામાં આવ્યુ છે.

વૈશ્વિક ફલક પર ગુંજશે ગુજરાતના ગરબા, UNESCOના સાંસ્કૃતિક વારસા માટે ગરબાને કરાયા નોમિનેટ
Garba nominated for UNESCO World Heritage
Image Credit source: file photo
| Edited By: | Updated on: Aug 29, 2022 | 5:27 PM

ગુજરાત સહિત આખા દેશમાં હાલ તહેવારોનો મહોલ છે. ભારતમાં દરેક ધર્મના લોકો દરેક તહેવાર હર્ષોઉલ્લાસથી ઉજવે છે. તે બધા વચ્ચે ગુજરાતીઓ માટે એક આનંદ અને ગર્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતીઓ પોતાના મોજીલા મિજાજ માટે જાણીતા છે. હાલમાં ગણેશ ચર્તુથીનો તહેવાર શરુ થવા જઈ રહ્યો છે. અને ત્યારબાદ ગણતરીના દિવસોમાં ગુજરાતીઓનો મનપસંદ તહેવાર નવરાત્રિ આવી રહ્યો છે. આ તહેવારમાં ગુજરાતીઓ આનંદ અને હર્ષોઉલ્લાસથી ગરબા (Garba) અને દાંડિયા રમે છે. આ નવરાત્રિ પહેલા જ ગરબા પ્રેમીઓના દિલ ખુશ થઈ જાય તેવા સમાચાર આવ્યા છે. ગુજરાતના પરંપરાગત નૃત્ય ગરબાને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ (UNESCO World Heritage) માટે નોમિનેટ કરવામાં આવ્યુ છે.

ગુજરાતમાં અમદાવાદના કર્ણાવતીના ગરબા હોય કે સુરતના સરસાણામાં એશિયાની સૌથી મોટી નવરાત્રિ, વડોદરાના ‘યુનાઈટેડ વે’ના ગરબા હોય કે ગુજરાતના દરેક ગામ કે શહેરની પોળ, શેરી-સોસાયટી, ફ્લેટ કે ચાલીમાં રમાતા ગરબા. આ તમામ થકી ગુજરાત હર્ષોઉલ્લાસથી જૂમી ઉઠે છે. તેવામાં કોરોના મહામારીના 2 વર્ષ પછી યોજાવા જઈ રહેલી નવરાત્રિને લઈને ગરબાપ્રેમીઓ ભારે ઉત્સાહમાં છે. તે બધા વચ્ચે ગરબાને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજમાં નોમિનેશન મળવું એ ગુજરાતીઓ માટે ગર્વની વાત છે.

36 પ્રકારના હોય છે ગરબા

ગુજરાતના પરંપરાગત નૃત્ય ગરબના 36 પ્રકાર છે. તેમાં રાસ, દાંડિયા, મટકી, ગોફ, મટકી વગેરેનો સમાવેશ થાય છે. ગરબા આ મૂળ શબ્દ સંસ્કૃત શબ્દ ગર્ભદીપ પરથી આવ્યો છે. ગરબાના મૂળ સ્વરુપની શરુઆત પ્રાચીનકાળમાં ઉત્તર ગુજરાતથી થઈ હોવાનું માનવામાં આવે છે. અમેરિકા સહિત દુનિયાના 20થી વધુ દેશોમાં ગરબા રમવામાં આવે છે.

ભારતની 14 પરંપરા યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ યાદીમાં છે સામેલ

ભારતના યોગ, કુડિયટ્ટમ સંસ્કૃત નાટ્યકળા, કલબેલા સહિત 14 પરંપરા યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ યાદીમાં સામેલ છે. આ વર્ષે ગરબા નોમિનેટ થયા છે જેના પણ નિર્ણય 2023ના અંતમાં થશે. એટલે કે 2023ની યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ યાદી માટે હાલ પરંપરાઓને નોમિનેટ કરવામાં આવી રહ્યા છે. અગાઉ બંગાળના દૂર્ગા પૂજા મહોત્સવને આ યાદીમાં સ્થાન મળ્યુ હતુ.

યુનેસ્કોના અમૂર્ત સાંસ્કૃતિક વારસા વિભાગના સચિવ ટિમ કર્ટિસનું કહેવુ છે કે, આગામી વર્ષ માટે નવીનતમ નોમિનેશન પર વિચાર કરવામાં આવશે. 2023ના મધ્યમાં મૂલ્યાંકન સંસ્થા દ્વારા નામાંકન ફાઈલોની ચકાસણી કરવામાં આવશે અને આગામી વર્ષના અંત સુધીમાં સમિતિના 2023 સત્ર માટેના નામો નક્કી કરવામાં આવશે. તેમણે ગરબા સહિતના અનેક નોમિનેટ થયેલી પરંપરા વિશેની માહિતી પ્રેઝન્ટેશન દ્વારા આપી હતી.કર્ટિસના પ્રેઝન્ટેશનમાંથી એક સ્લાઇડમાં ગરબા કલાકારોની તસવીર હતી અને તેનું શીર્ષક હતું ‘ગુજરાત કા ગરબાઃ ઇન્ડિયાઝ નેક્સ્ટ એલિમેન્ટ’.