ગુજરાતમાં (Gujarat) આ વર્ષે 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા પર્વની ઉજવણી ખૂબ જ ધામધૂમપૂર્વક થવા જઇ રહી છે. દેશ આઝાદ થયાને 75 વર્ષ થઈ રહ્યાં હોવાથી આ વર્ષે દેશના નાગરિકો રાષ્ટ્રપ્રેમના રંગે રંગાય અને સ્વતંત્રતા પર્વની ઉજવણી કરે તે હેતુથી કેન્દ્ર સરકારે હર ઘર તિરંગા અભિયાન જાહેર કર્યું છે. જેના પગલે આજે ગાંધીનગરમાં (Gandhinagar) ભાજપ પ્રદેશ યુવા મોરચાની (BJP Pradesh Yuva Morcha) બેઠક મળી હતી. હર ઘર તિરંગા અભિયાનમાં યુવા મોરચાએ પણ જોડાવાનો નિર્ણય લીધો છે. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત યુવા મોરચા દ્વારા 9 ઓગસ્ટથી 14 ઓગસ્ટ સુધી અલગ અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ છે.
ગાંધીનગરમાં આજે ભાજપ પ્રદેશ યુવા મોરચાની બેઠક મળી હતી. હવે સરકારના હર ઘર તિરંગા અભિયાનમાં યુવા મોરચો જોડાશે. ભાજપ પ્રદેશ યુવા મોરચા દ્વારા 9 થી 11 ઓગસ્ટ દરમિયાન તિરંગા યાત્રા કરવામાં આવશે. 11 ઓગસ્ટે સ્વતંત્રતા સેનાનીઓની પ્રતિમાને પુષ્પાંજલિ આપવામાં આવશે. 14 ઓગસ્ટે વિભાજન વિભીષીકા દિવસએ મશાલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. હર ઘર તિરંગા અભિયાનમાં યુવાનોને આઝાદીનું મહત્વ સમજાવવા જોડાશે.
રાજ્યમાં સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન મહત્વપૂર્ણ ભૂમિકાઓના સાક્ષી રહેલા 7 ઐતિહાસિક સ્થળોએ વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. હર ઘર તિરંગા અભિયાન માટે એવા 7 સ્થળોને પસંદ કરવામાં આવ્યા છે કે જે સ્વાતંત્ર્ય સંગ્રામના સાક્ષી બન્યા હોય અને જે સ્થળો સાથે આઝાદીની લડત માટેની કોઇને કોઇ કહાની જોડાયેલી હોય.
ગુજરાતમાં હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારના ઘરોમાં કુલ 1 કરોડ તિરંગા ફરકાવવામાં આવશે. તે સિવાય દરેક સરકારી કચેરીઓમાં પણ તિરંગો લહેરાવવામાં આવશે. આ અભિયાન ઓગષ્ટ 13થી 15 સુધી ચાલશે જેમાં સમગ્ર દેશમાં અલગ અલગ સ્થળોએ ઉજવણી કરવામાં આવશે.