
ગુજરાતમાં ગત મહિને યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કેટલાય રાજકારણીઓએ તેમના હરિફને રાજકીય રીતે પતાવવાનો પેંતરો કર્યો હતો. જેમાં કેટલાક સફળ રહ્યાં છે તો કેટલાક ઊંધા કાંધ પડ્યાં છે. ચૂંટણી લક્ષી કાવાદાવા અને રાજકીય દુશ્મનાવટને લઈને સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લામાં એક કિસ્સો હાલમાં બહુ ચર્ચાસ્પદ બન્યો છે.
વાત છે સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયા અને ગુજરાતના પૂર્વ પ્રધાન જવાહર ચાવડા વચ્ચેની. બે દિવસ પૂર્વે સાવજ ડેરીના ચેરમેન દિવનેશ ખટારીયાએ જાહેરમા જવાહર ચાવડા વિરુદ્ધ રાજકીય જંગ છેડવાની વાત કરી હતી. જેનો જવાબ જવાહર ચાવડાએ નામ લીધી વિના આપ્યો છે. તેમણે કહ્યું કે, ઉંદરડાને દિપડો બનાવ્યો હતો અને હવે ફરી દિપડાને ઉંદર બનાવી દીધો છે.
જૂનાગઢ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં પડી ગયેલા જૂથને કારણે આંતરીક રાજકારણે માઝા મુકી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં, સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયાની પૂત્રવધુની કારમી હાર થઈ હતી. આ હારનો બોજો સહન ના થતા, દિનેશ ખટારીયાએ ટેકેદારોને બોલાવીને જવાહર ચાવડાને જાહેરમાં શીખંડી કહ્યાં હતા. એટલું જ નહીં, જવાહર ચાવડા વિરુદ્ધ રાજકીય લડાઈની પણ જાહેરાત કરી દીધી હતી. આ ધટના બાદ, કણઝા સીટ પર પ્રવીણ ચાવડાની ભવ્ય જીત બાદ તેમના ફાર્મહાઉસ ખાતે વિજય સંમેલન યોજાયું હતું
વિજય સંમેલનમાં સંબોધન કરતાં જવાહર ચાવડાએ વિરોધીઓને નિશાન બનાવતાં જણાવ્યું કે, “ઉંદરડાને દિપડો બનાવ્યો હતો અને હવે ફરી દિપડાને ઉંદર બનાવી દીધાનો દાખલો આપ્યો છે.” તેમના આ નિવેદનથી સભામાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. તેમણે વધુમાં ઉમેર્યું કે, “મેં કોઈને ફોન નથી કર્યો કે કોઈ સભા નથી કરી, છતાં તમે જે કરી બતાવ્યું છે તે તમારી શક્તિ છે.”
આ ચૂંટણીમાં ભાજપના અગ્રણી અને સાવજ ડેરીના ચેરેમેન દિનેશ ખટારીયાના પુત્રવધૂને હારનો સામનો કરવો પડ્યો હોવાનો પણ ઉલ્લેખ થયો હતો, જેને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. જવાહર ચાવડાએ ધારદાર પરંતુ સભ્ય ભાષામાં વિરોધીઓ પર પ્રહાર કરતાં પોતાની રાજકીય અને સામાજીક તાકાતની અસર ફરી એકવાર દેખાડી છે. જૂનાગઢના રાજકારણમાં પહેલા દિનેશ ખટારીયા અને ત્યાર બાદ જવાહર ચાવડાના નિવેદનો બાદ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે, આવનારા સમયમાં આ મુદ્દો રાજકીય રીતે વધુ ચર્ચામાં રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.