Devbhoomi Dwarka: દેવભૂમિ દ્વારકાના ચાર તાલુકામાં સાર્વત્રિક વરસાદ (Monsoon 2022) વરસ્યો છે. ખંભાળિયા, દ્વારકા, ભાણવડ અને કલ્યાણપુરમાં વરસાદી માહોલ છવાતા ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી ગઈ હતી. કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા હતા. ભારે બફારાથી લોકોને રાહત મળી હતી. વરસાદના પગલે સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. ગઈ કાલે અમાસના દિવસે પણ દરીયો તોફાની બન્યો હતો અને દરિયામાં કરંટ જોવા મળ્યો હતો. ગોમતીઘાટ કિનારે 10 ફૂટ ઉંચા મોજા ઉછળતા પ્રવાસીઓ ઉમટી પડયા હતા. જયાં પ્રવાસીઓ દરિયાના મોજાની જોખમી મજા માનતા નજરે પડયા હતા. અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના કેટલાક દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે.
દ્વારકાના પ્રસિદ્ધ જગત મંદિર ખાતે રણછોડ રાયની રથયાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે મંદિરમાં અષાઢી બીજ ના દિવસે સાંજે પાંચ વાગ્યાથી સાત વાગ્યા સુધી રથયાત્રા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં વારાદાર પૂજારીથી માંડીને ભાવિક ભક્તો, દેવસ્થાન સમિતિના કર્મચારીઓ અને સ્થાનિક દર્શનાર્થીઓથી માંડીને પ્રવાસીઓ -તમામ આ દર્શનનો લ્હાવો લઈ શકશે.
રથયાત્રા નિમિત્તે ભગવાનને મંદિર સંકુલની પરિક્રમા કરાવવામાં આવતી હોય છે. ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા પણ આ રથયાત્રાની તૈયારીઓ માટે બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે. રથયાત્રા નિમિત્તે દ્વારિકાધીશના બાલ સ્વરૂપને ભવ્ય વાઘાનો શણગાર કરવામાં આવતા હોય છે તેમજ રથમાં બિરાજમાન કરાવીને મંદિરની પરિક્રમા કરાવવામાં આવતી હોય છે.
Published On - 11:14 pm, Thu, 30 June 22