દેવભૂમિ દ્વારકા (Devbhoomi Dwarka) જિલ્લામાં આવેલા યાત્રાધામ દ્વારકા (Dwarka) જિલ્લામાં આવેલા જગત મંદિર ખાતે કાળિયા ઠાકરના ચરણે સુવર્ણનું દાન (Golden Donation) અર્પણ કરવામાં આવ્યું છે. જેતપુરના નિવાસી ગોરધનભાઈ માધવજીભાઈ સરેરીયા ગુર્જર પ્રજાપતિ પરિવાર દ્વારા દ્વારિકાધીશના ચરણે સોનાના 2 હાર, 1 ગંઠો, 1 જોડી કુંડળ અર્પણ કરવામાં આવ્યા હતા. જે સોનાનું વજન અંદાજે 675 ગ્રામ છે. નોંધનીય છે કે જગત મંદિર ખાતે દેશ વિદેશમાંથી ભક્તજનો પોતાની ઇચ્છાઓ પૂર્ણ થતા વિવિધ દાન અર્પણ કરતા હોય છે. દ્વારકા ખાતે દર વર્ષે આવા અનેક ભક્તો પોતાની ઈચ્છા શક્તિ મુજબ દાન અર્પણ કરી ધન્યતાનો અહેસાસ કરતા હોય છે. આ વર્ષે કોરોનાકાળ બાદ બે વર્ષ બાદ મંદિર શ્રાવણ મહિનામાં ખૂલ્લું છે ત્યારે સતત આસ્થાળુઓનો પ્રવાહ દર્શન કરવા માટે આવી રહ્યો છે. ભક્તજનો સોમનાથ થઈ દ્વારકાના દર્શને આવતા હોય છે.
પશ્ચિમ રેલવે (Western railway) વિભાગ દ્વારા 15મી ઓગસ્ટ 2022ના રોજ ઓખાથી મુંબઈ સેન્ટ્રલ અને 12મી ઓગસ્ટ 2022ના રોજ મુંબઈ સેન્ટ્રલથી ઓખા સુધી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનની (Festival Special Train) એક-એક ટ્રીપ દોડાવવામાં આવશે. આ નિર્ણય તહેવારોને ધ્યાનમાં લઇને કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રમાં સાતમ આઠમનો તહેવાર ઉજવવા માટે મુંબઈ અને અન્યત્ર વસતા લોક માદરે વતન પહોંચતા હોય છે તેમની સુવિધા માટે આ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ ટ્રેન બંને દિશામાં માર્ગમાં દ્વારકા, જામનગર, હાપા, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, સુરત, વાપી અને બોરીવલી સ્ટેશનો પર ઉભી રહેશે. આ સ્પેશિયલ ટ્રેનમાં કુલ 20 કોચ હશે, જેમાં 2 થર્ડ એસી, 12 સેકન્ડ સ્લીપર, 4 જનરલ અને 2 લગેજ વાન કોચ હશે. આ ટ્રેન ખાસ ભાડા સાથે દોડશે. ટ્રેન નંબર 09098 અને 09097માં ટિકિટોનું રિઝર્વેશન 08/08/2022ના રોજ તમામ કોમ્પ્યુટરાઈઝડ પેસેન્જર આરક્ષણ કેન્દ્રો અને IRCTC વેબસાઈટ પરથી શરૂ થશે.
આ વર્ષે દ્વારકામાં જન્માષ્ટમી ઉત્સવનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે દ્વારિકાધીશ મંદિર ખાતે તમામ ઉત્સવ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવ્યા છે અને જન્માષ્ટમી ઉત્સવ પણ ભવ્યતાથી ઉજવાશે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરના ગ્રામ પંથકમાં પણ વરસાદી માહોલ સર્જાયો છે. કલ્યાણપુર, હરિપર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો. વરસાદને પગલે આસપાસના ખેતરોમાં પાણી ભરાયા છે. ખંભાળિયા શહેરમા વરસાદ થતા રસ્તાઓ પર નદીઓ વહેતી થઇ. ગુરુવારે વરસાદના કારણે શહેરમાં નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. તો ખંભાળિયાના લુહારશાળ, ગુજરાત મિલ, નગર નાકા સહિત ના વિસ્તાર મા રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં હતા. તો લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. વરસાદના આગમનથી ખેડૂતોના પાકને ફાયદો થશે.