રાજ્યભરના અનેક વિસ્તારમાં વરસાદે (Rain) એન્ટ્રી કરી છે. જેમાં અનેક વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડતા અનેક સ્થળે ભારે તારાજી પણ સર્જાઈ છે. અનેક જગ્યાએ વાવાઝોડા અને વીજળી પડવાની ઘટનાઓ પણ સામે આવી છે. દાહોદ (Dahod) જિલ્લામાં અનેક મકાનોના છાપરા ઉડી ગયા હતા. છાપરા ઉડી જતાં વરસાદી પાણી મકાનમાં ભરાઈ જતાં પરિવાર મુશ્કેલીમાં મુકાયા હતા. તો અનેક સ્થળે વીજ થાંભલા પણ ધરાશાયી થવાની ઘટના બની છે. જેને લઇને વીજ પુરવઠો (Power supply) ખોરવાતા લોકોને હાલાકી પણ સહન કરવાનો વારો આવ્યો હતો.
દાહોદના ધાનપુર તાલુકામાં ભારે વાવાઝોડા સાથે વરસાદ સાથે ફૂંકાયેલા તારાજી સર્જી છે. વાવાઝોડાને કારણે કેટલાક લોકો બેઘર બન્યાં છે. તો 5થી વધુ મકાન જમીનદોસ્ત થયા છે. ધાનપુર, ધનાર પાટિયા અને વાંસીયાડુંગરીમાં ભારે નુકસાન થયું છે. અનેક વીજ થાંભલા જમીનદોસ્ત થતા સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાયો છે. મકાન જમીનદોસ્ત થતાં લોકોને ખાવા પીવાના પણ ફાંફા પડી રહ્યાં છે. તો બીજી તરફ ગરબાડાના ધારાસભ્ય અસરગ્રસ્તોની મુલાકાતે પહોંચ્યાં હતા અને મદદની ખાતરી આપી હતી. જ્યારે અસરગ્રસ્ત ગામોમાં તલાટીએ સર્વેની કામગીરી હાથ ધરી છે. સર્વે બાદ સરકારને રિપોર્ટ સોંપાશે.
મહત્વનું છે કે આગામી દિવસોમાં પણ રાજ્યમાં (Gujarat) આગામી 5 દિવસ મેઘમહેર રહેશે. હવામાન વિભાગે (IMD) આગાહી કરી છે કે અરબી સમુદ્રમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાના કારણે આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. 28 અને 29 જૂને સામાન્ય વરસાદ રહ્યા બાદ 30 જૂન અને 1 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદ પડશે. રથયાત્રાના (Rathyatra) દિવસે રાજ્યમાં સાર્વત્રિક મેઘકૃપા વરસશે. દાહોદમાં ન્યૂનતમ તાપમાન 26 અને મહતમ તાપમાન 32 રહેશે. તેમજ દાહોદવાસીઓને ગરમીથી રાહત મળશે, કારણ કે હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ, મહીસાગર અને ભરૂચમાં અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર, જૂનાગઢ અને સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. કચ્છમાં સામાન્ય વરસાદની શક્યતા છે. આવતીકાલથી 1 જુલાઈ સુધી વરસાદ વરસશે. રાજ્યમાં જૂન મહિનામાં પોણા બે ઇંચ વરસાદ સાથે 54 ટકા વરસાદ નોંધાયો. એટલે કે હજુ જૂન મહિનાનો 46 ટકા વરસાદ બાકી છે.