ગુજરાતમાં ચોમાસાની (Monsoon) શરુઆત થઇ ચુકી છે. ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં મેઘ મહેર જોવા મળી રહી છે. ચોમાસાની શરૂઆતમાં જ ગુજરાતમાં (Gujarat) સારો એવો વરસાદ વરસ્યો છે. ચોમાસાની શરુઆત થતા છોટા ઉદેપુર (Chhota udepur) જિલ્લામાં સારો એવો વરસાદ વરસ્યો હતો. જે પછી સારો પાક થવાની આશાએ ખેડૂતોએ ખેતરમાં વાવણી પણ કરી દીધી હતી. જો કે છેલ્લા થોડા દિવસથી છોટા ઉદેપુરમાં સારો વરસાદ ન થતા ખેડૂતોને તેમની વાવણી વ્યર્થ જાય તેવુ લાગી રહ્યુ છે. જેથી અહીંના બોરિયાદ ગામના આદિવાસી સમાજના લોકોએ મેઘરાજાને રીઝવવા અનોખી પરંપરાને અનુસરી છે. આ વર્ષે પણ નસવાડી તાલુકાના લોકોએ આ પરંપરા અનુસરી છે.
છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં બોરિયાદ ગામમાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. ખેડૂતોએ વાવણી કરેલુ બિયારણ સુકાઈ રહ્યું છે. ત્યારે મેઘ રાજાને રીઝવવા માટે આદિવાસીઓમાં એક એવી પ્રથા છે કે, જેમાં ગામની આદિવાસી મહિલાઓ મહિલાઓ મોટી સંખ્યામાં એકત્ર થાય છે અને પછી ગામની બહાર આવેલા બોર કે કુવામાંથી ઘડામાં પાણી ભરીને મંદિર સુધી જાય છે. બાદમાં ગામની બહાર આવેલા મંદિરમાં ઘડા ભરેલુ પાણી રેડી મંદિરમાં અભિષેક કરવામાં આવે છે.
છોટા ઉદેપુરની આદિવાસી વિસ્તારની મહિલાઓ જૂની પરંપરા અનુસાર મેઘરાજાને વિનવવા માટે ભગવાનની અનોખી પૂજા કરે છે. આ મહિલાઓ ન માત્ર એક મંદિરમાં પરંતુ ગામ બહાર આવેલા અલગ અલગ મંદિરમાં પણ પાણીથી અભિષેક કરે છે. મહત્વની વાત એ છે કે આ પરંપરા મહિલાઓ દ્વારા જ અનુસરવામાં આવે છે. મહિલાઓ ભગવાનને તેમનું બિયારણ ન સુકાય અને સારો વરસાદ પડે તે માટે પ્રાર્થના કરે છે. આ પરંપરા અનુસરવાથી વરસાદ વરસે છે તેવી મહિલાઓમાં અનેરી શ્રદ્ધા અને આશા છે.
ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે પણ ચોમાસાના ઓછો વરસાદ થયો હતો. જેના કારણે લોકોને પાણી મેળવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આ વર્ષે સારો વરસાદ થાય તે માટે આવી અલગ અલગ પ્રથાથી મેઘરાજાને મનાવવાના લોકો દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
Published On - 5:27 pm, Tue, 28 June 22