Cyclone Biparjoy : ગુજરાતના(Gujarat) દરિયાકાંઠાના વિસ્તારો માટે ચિંતાજનક સમાચાર છે. અરબ સાગરમાં ઉદભવેલું બિપરજોય વાવાઝોડું વધારે તીવ્ર બન્યું છે. બિપોરજોય વાવાઝોડું હાલ પોરબંદરના દરિયાકાંઠેથી 540 કિલોમીટર દૂર છે.આ વાવાઝોડાની દિશા હાલ ગુજરાત અને પાકિસ્તાન વચ્ચે છે.આગામી 24 કલાકમાં વાવાઝોડું ક્યાં જશે તેની દિશાની જાણકારી મળશે. તો આગામી 24 કલાકમાં વાવાઝોડું વધારે મજબૂત બનશે. વાવાઝોડાની અસરને પગલે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડે તેવી પણ શક્યતા છે.
જે મુંબઈથી લગભગ 600 કિમી દૂર પશ્ચિમ-દક્ષિણ પશ્ચિમ તરફ,પોરબંદરથી 540 કિમી દૂર દક્ષિણ -દક્ષિણપશ્ચિમ તરફ,દ્વારકાથી 600 કિમી દૂર દક્ષિણ -દક્ષિણ પશ્ચિમ તરફ અને 680 કિમી દક્ષિણ-દક્ષિણમાં નલીયા થી દુર અને 840 કિમી કરાચીની દક્ષિણે છે. તેમજ આગામી 06 કલાક દરમિયાન તે અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાનમાં વધુ તીવ્ર બને તેવી શક્યતા છે.
વાવાઝાડોથી કોઈ નુકસાન ન થાય તે માટે NDRF, સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસના જવાનો સતર્ક છે. ગુજરાતના દરિયાકાંઠાના ગામ અને વિસ્તારોમાંથી જરૂર પડે લોકોનું સલામત સ્થળોએ સ્થળાંતર પણ કરવામાં આવશે. આ માટે વહીવટી તંત્રએ સલામત રોકાણના સ્થળો, ભોજનની વ્યવસ્થાની તૈયારી કરી છે.તો વીજળી, સિંચાઈ સહિતના વિવિધ સરકારી વિભાગો સતર્ક છે. અને અધિકારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ કરાયો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આજે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત અમદાવાદ ઉપરાંત સુરત, વલસાડ અને નવસારી પંથકમાં વરસાદ પડી શકે છે. વાવાઝોડાને પગલે તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે. રાજ્યના તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
તો વાવાઝોડાની અસરને પગલે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વેગવાન બનશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ગતિએ પવન ફૂંકાશે. 12 તારીખથી દરિયામાં પવનની તીવ્રતા વધશે. 12, 14 અને 15 જૂનના રોજ ભારે પવન સાથે વરસાદી માહોલ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે
Published On - 6:21 am, Sun, 11 June 23