રાજ્યમાં કોરોના વાઈરસના કેસ રોકેટ ગતિએ વધી રહ્યા છે. દરરોજ ઓલટાઈમ હાઈ કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે છેલ્લાં 24 કલાકમાં નવા કોરોના કેસનો આકંડો 10,340 પર પહોંચ્યો છે. જ્યારે રાજ્યમાં કુલ કેસનો આંકડો 4,04,569 પર પહોંચ્યો. જેમાં ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 110 લોકોનાં મૃત્યુ થયા છે. રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 3,981 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 3,37,545 પર પહોંચી છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 61,647 છે. એટલું જ નહીં પણ રાજ્યના ચાર મહાનગરોમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.
જેમાં અમદાવાદમાં સૌથી વધુ 3,694 કેસ નોંધાયા છે. અમદાવાદમાં મૃત્યુનો આંકડો 27 નોંધાયો છે. માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં સતત ફેરફાર થઈ રહ્યો છે. શહેરમાં 435 વિસ્તાર માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન હતા, જેમાંથી 28 વિસ્તાર દૂર કરાયા. જ્યારે વધુ 28 સોસાયટી અને એપાર્ટમેન્ટનો ઉમેરો થયો છે. હવે માઈક્રો કન્ટેઈનમેન્ટનો આંકડો 435 પર યથાવત રહ્યો છે. નવા જાહેર કરેલ વિસ્તારમાં જોધપુર, સેટેલાઈટ, મણિનગર, ઘોડાસર, ચાંદખેડા, બોડકદેવ, ચાંદલોડિયા અને ગોતના સૌથી વધુ મકાન અને લોકોનો સમાવેશ થાય છે.
જેમાં ઘોડાસર મંગલ મૂર્તિ સોસાયટીના 165 મકાન અને 545 લોકોનો સમાવેશ કરાયો છે. તેમજ મંગલમ સોસાયટીના 334 મકાન અને 1,211 લોકોનો સમાવેશ તો ચાંદખેડામાં સેવી સોલારેસના 338 મકાન અને 1,512 લોકોનો સમાવેશ થાય છે. ત્યારે આ આંકડા જ બતાવે છે કે રાજ્ય અને શહેરમાં કોરોના સંક્રમણ કેટલી હદે અને કેટલી તીવ્રતાથી વધી રહ્યું છે. જે ખૂબ ચિંતા જનક અને ગંભીર બાબત છે. જેને કંટ્રોલમાં લાવવું ખૂબ જરૂરી છે. જેના માટે લોકોએ ફરજીયાત નિયમ પાડવા પડશે સાથે સરકારે પણ વધતા કોરોના કેસ સામે તે જ પ્રકારની વ્યવસ્થાઓ પણ ઉભી કરવી પડશે. જેથી દર્દીની સંખ્યાને પહોંચી વળી સારવાર આપી દર્દીને સાજા કરીને કોરોના એક્ટિવ કેસનો આંકડો ઘટાડી લોકોને સાજા કરી શકાય.
આ પણ વાંચો: કોરોનાથી ગુજરાતને બચાવવા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનો શું છે પ્લાન?