
ગુજરાતની મહાનગર પાલિકાઓના તાજેતરમાં જાહેર થયેલા પરિણામોએ રાજકીય પેંચ સર્જ્યો છે. એક એવી પરિસ્થિતિને લઈને કોંગ્રેસ માટે ચિંતાજનક સ્થિતિ ઉભી થઈ છે. ગુજરાતની નવી અસ્તિત્વમાં આવેલ નવ સહીત કુલ 15 મહાનગરપાલિકામાંથી આશરે 10 મહાનગરપાલિકામાં કોંગ્રેસને વિપક્ષના નેતાનું પદ મળે તેવી સ્થિતિ નથી. આવી સ્થિતિ સર્જાવા માટેનું મુખ્ય કારણ “માવળંકર રૂલ” (Mavalankar Rule) જવાબદાર કહેવાય છે. આ નિયમ અનુસાર જો કુલ સભ્ય સંખ્યાના 10 ટકા સભ્યો ચૂટાંયેલા ના હોય તો વિપક્ષનું પદ જે તે રાજકીય પાર્ટીને ફાળે જતુ નથી. આથી એ જરૂરી છે કે, કૂલ સભ્ય સંખ્યાના 10 ટકા બેઠકોની સંખ્યા પૂર્ણ થવી જોઈએ.
નિયમો મુજબ કોઈપણ પક્ષને સત્તાવાર વિપક્ષ તરીકે માન્યતા ત્યારે જ મળે છે જ્યારે તેઓના પક્ષના ચૂંટાયેલા સભ્યોની સંખ્યા કુલ બેઠકોના ઓછામાં ઓછા 10 ટકા સભ્યો હોવા અનિવાર્ય છે. જો આ માપદંડ પૂર્ણ ના થાય તો વિપક્ષ નેતાનું પદ આપવામાં આવતું નથી. ઉદાહરણ તરીકે, 192 બેઠકો ધરાવતા ગૃહમાં ઓછામાં ઓછા 19 સભ્યો જીતવા જરૂરી બને છે.
જો લોકસભાના નિયમોનું કડક પાલન કરવામાં આવે, તો કેટલાક સ્થળોએ કોંગ્રેસનું વિપક્ષ નેતૃત્વ છીનવાઈ શકે છે.
ભાજપના મુખ્ય પ્રવક્તા અનિલ પટેલે જણાવ્યું કે, કોંગ્રેસને અપેક્ષા મુજબ પરિણામ મળ્યા નથી અને જનતાએ તેમને સંપૂર્ણ સ્વીકાર્યા નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે નિયમોનું પાલન કરવું જરૂરી છે અને જો જરૂરી બેઠકો નહીં હોય તો વિપક્ષ નેતાનું પદ આપવું યોગ્ય નથી.
કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ ભાજપના અભિગમને પડકારતા કહ્યું કે, એ વાસ્તવિકતા છે કે, કોંગ્રેસને અપેક્ષા કરતા ઓછા પરિણામ મળ્યા છે. આમ હોવા છતાં શહેરી વિસ્તારોમાં મતની ટકાવારીમાં વધારો થયા પામ્યો છે. ગુજરાતમાં સત્તાઘારી પાર્ટીએ, તેમના વિરોધી રાજકીય પક્ષને વિપક્ષ નેતાનું પદ આપવું એક લોકતાંત્રિક પરંપરા રહી છે. ભૂતકાળમાં પણ વિપક્ષના ચૂંટાયેલા સભ્યોની સંખ્યા ઓછી હોવા છતાં પણ વિપક્ષને આ પદ અપાતુ રહ્યું છે. સત્તા પક્ષ સામે મજબૂત વિપક્ષ લોકશાહી માટે જરૂરી છે તેથી વિપક્ષના નેતા હોવા પણ આવશ્યક છે. તેમણે ઉમેર્યું કે વિપક્ષને માત્ર સંખ્યાના આધારે નહીં, પરંતુ લોકશાહી સંતુલન જાળવવા માટે હક્કરૂપે સ્થાન આપવું જોઈએ.