ગુજરાતમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ હવે સક્રિય થઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા 7 નવી સ્ટેટ લેવલ કમિટી બનાવવામાં આવી છે. ત્યારે પ્રભારી મુકુલ વાસનિકે આજે નવા કમિટીના ચેરમેન સાથે બેઠક કરી હતી. બેઠકમાં ભાજપને કેવી રીતે હરાવવી તે અંગે ચર્ચા થઈ હતી. આગામી બે દિવસોમાં ચૂંટણીને લઈને કોંગ્રેસ કમરતોડ મહેનત કરશે. કમિટી કેવી રીતે કામ કરશે તે અંગે પણ બેઠકમાં ચર્ચા થઈ હતી. મેનિફેસ્ટો કમિટી જનતાની વચ્ચે જઈને મેનિફેસ્ટો બનાવશે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા માટે કોંગ્રેસે જિલ્લાવાર તૈયારીઓ શરૂ કરી છે. જે સંદર્ભમાં તેમણે 7 સ્ટેટ લેવલ કમિટીની ઘોષણા કરી છે. સ્ટ્રેટેજી કમિટીમાં ચેરમેન તરીકે ભરતસિંહ સોલંકીને સ્થાન આપવામાં આવ્યુ છે. તો શક્તિસિંહ ગોહિલને કેમ્પેઈન કમિટીના ચેરમેન બનાવાયા છે. પરેશ ધાનાણી અને લાલજી દેસાઈને વાઈસ ચેરમેન નિયુક્ત કરાયા છે. આ તરફ સાંસદ ગેનીબેન ઠાકોરને કન્વીનર બનાવાયા છે. સિદ્ધાર્થ પટેલને ઈલેક્શન મેનેજમેન્ટ કમિટીના ચેરમેન બનાવાયા છે. જીગ્નેશ મેવાણી ઇલેક્શન મેનેજમેન્ટ કમિટીના વાઇસ ચેરમેન, બિમલ શાહ ઇલેક્શન મેનેજમેન્ટ કમિટીના કન્વીનર, શૈલેષ પરમાર મેનીફેસ્ટો કમિટીના ચેરમેન અને અમી યાજ્ઞિકને મીડિયા કમિટીના ચેરમેન બનાવાયા છે.
કોંગ્રેસે જાહેર કરેલી કમિટી પર ભાજપે કટાક્ષ કર્યો છે. જીતુ વાઘાણીએ આજે રાજકોટમાં એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યુ કે જે લોકોને હારવાનો રેકોર્ડ છે તેઓ કમિટીની રચના કરે છે. રાજ્યની વિધાનસભામાં 7મી વખત હાર્યા છે તેમને કમિટીના ચેરમેન બનાવ્યા છે. જે લોકોએ હારવાના રેકોર્ડ બનાવ્યા છે તેઓ ભાજપને હરાવવા નીકળ્યા છે. વાઘાણીએ દાવો કર્યો કે કોંગ્રેસ ગમે તેટલી કમિટીઓ બનાવે ભાજપને નહીં હરાવી શકે.
Input Credit- Sachin Patil, Mohit Bhatt