
ગુજરાતના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 76માં જન્મદિવસે, અમદાવાદના જાસપુરમાં આવેલ વિશ્વ ઉમિયાધામ ખાતે, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિતના અગ્રણીઓ, શહેરીજનોએ 12ના ટકોરે, આશીર્વાદનો દીવો" પ્રગટાવીને વડાપ્રધાન મોદીની 25 વર્ષની અવિરત અને સમર્પિત જનસેવાને બિરદાવવામાં આવી હતી.

રાષ્ટ્રસેવાને જ જીવનનો પરમ ધ્યેય બનાવનાર વડાપ્રધાનને સન્માનિત કરતા આ પાવન પ્રસંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ મુખ્ય અતિથિ વિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ સમારોહમાં ભારતના નકશા પર અદ્ભુત દીપોત્સવ પ્રજ્વલિત કરાયેલ તેમજ 76+76 દીકરીઓના સ્વમુખે 'પૂર્ણ વંદે માતરમ્' ગાન ગાવામાં આવ્યું હતું.

વિશ્વ ઉમિયાધામ-જાસપુર ખાતે ભક્તિરસથી છલકાતા ભવ્ય લોક ડાયરા અને ભજન સંધ્યા પણ યોજાઈ હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાદાયી જીવનગાથાની પ્રસ્તુતિ અને 'સંકલ્પ - વિકસિત ભારત 2047' જેવા ભારતીય સંસ્કૃતિ અને દેશભક્તિના પાવન સંગમસમા અનેકવિધ આકર્ષણો રજૂ કરવામાં આવ્યા હતા.

અમદાવાદ શહેરમાંથી ભાઈ -બહેનોએ ઉપસ્થિત રહી વડાપ્રધાનના જન્મ દિવસ નિમિત્તે આશીર્વાદનો દીવો પ્રગટાવ્યો હતો.

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉપ પ્રમુખ ડી.એન. ગોલે આશીર્વાદનો દીવો નામના વિશેષ કાર્યક્રમની રૂપરેખા આપી હતી. આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર હિતેશ બારોટ, સાંસદ હસમુખ પટેલ, ધારાસભ્ય સર્વ જીતુભાઈ, ડો. હર્ષદ પટેલ, કોપોરેટરો, દાતાઓ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના હોદ્દેદારો અને સમગ્ર ટીમ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.